Business

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ.22,751 કરોડ પાછા ખેંચી લીધા

By GS TEAM
31 Aug 20251 min read
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ.22,751 કરોડ પાછા ખેંચી લીધા

અમદાવાદ : ભારતીય શેરબજારો ઓગસ્ટમાં સતત બીજા મહિને બેન્ચમાર્ક અને અન્ય સૂચકાંકોના નકારાત્મક પ્રદર્શન સાથે બંધ રહ્યા હતા. ઓગસ્ટમાં, સેન્સેક્સ ૧.૭ ટકા જ્યારે નિફ્ટી ૧.૪ ટકા નબળો પડયો હતો. નિફ્ટી મિડકેપ ૧૦૦માં ૨.૯ ટકાનો અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦માં ૪.૧ ટકાનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી માટે, ઓક્ટોબર-ફેબ્રુઆરી ૨૦૨૫ પછીનો આ સૌથી મોટો માસિક ઘટાડો હતો.

ઓગસ્ટ માસમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. ૨૨,૭૫૧ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જેને સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૮૩,૩૪૧ કરોડની ભારે ખરીદી સાથે સરભર થતું જોવા મળ્યું હતું.

ભારતીય માલ પર ૨૫ ટકા ટેરિફ લાદવા અને પછી રશિયન ઊર્જાની ખરીદી પર દંડ તરીકે ૨૫ ટકા વધારાની ડયુટી લાદવાથી શેરબજારો આખા મહિના દરમિયાન સંઘર્ષ કરી રહ્યા હતા. યુએસ ટેરિફ એવા ક્ષેત્રોને નુકસાન પહોંચાડે તેવી અપેક્ષા છે જે યુએસમાં નિકાસ પર ખૂબ આધાર રાખે છે.

જોકે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચેની શિખર બેઠકમાં યુક્રેન યુદ્ધના ઉકેલ અને વધારાના ટેરિફ પાછા ખેંચવાની આશા જાગી હતી, પરંતુ વાટાઘાટોમાં કોઈ નક્કર કરાર ન થતાં આ ઉત્સાહ અલ્પજીવી સાબિત થયો હતો. 

ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સમાં વ્યાપક સુધારા અને લગભગ બે દાયકામાં ભારતના પ્રથમ સાર્વભૌમ ક્રેડિટ અપગ્રેડના કેન્દ્ર સરકારના વચન પર શેરબજારમાં તેજી આવી હતી, પરંતુ આખરે આ સમાચાર રોકાણકારોના ઉદાસ મૂડને સુધારવા માટે અપૂરતા પુરવાર થયા હતા.