માર્ચ ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં ૧૮.૮૪ અબજ ડોલરનું વેચવાલી
મુંબઈ : અમેરિકા-ઈરાન યુદ્ધને પરિણામે ક્રુડ તેલના ભાવમાં આવેલા ઉછાળાની ભારતના આર્થિક વિકાસ પર અસર પડવાની શકયતાને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડોએ વર્તમાન વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ ભારતીય ઈક્વિટીસમાં ૧૮.૮૪ અબજ ડોલરનું વેચાણ કર્યું છે જે ગયા સંપૂર્ણ વર્ષ દરમિયાન કરાયેલા ૧૮.૭૯ અબજ ડોલરના વેચાણને પાર કરી ગયું છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલીથી બજાર દબાણ હેઠળ રહ્યા કરે છે અને યુદ્ધ વિરામની જાહેરાત છતાં ગયા સપ્તાહમાં બજારના મૂડમાં સાવચેતીભર્યો સુધારો જોવા મળ્યો હતો.
ગયા વર્ષની ઓલટાઈમ હાઈથી ભારતીય ઈક્વિટીસની માર્કેટ કેપમાં ૬૦૦ અબજ ડોલરનું ધોવાણ થઈ ગયું છે.
આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના આક્રમણથી ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) ક્ષેત્રની કંપનીઓ પર અસર, અમેરિકા દ્વારા ટેરિફ મુદ્દે બદલાતી સ્થિતિ તથા યુદ્ધને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાએ દેશની ૪.૮૦ ટ્રિલિયન ડોલરની ઈક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણકારોનું આકર્ષણ ઘટી ગયાનું જણાય છે.
ક્રુડ તેલના ઊંચા ભાવને પરિણામે ડોલર સામે રૂપિયામાં બોલાઈ ગયેલા કડાકાએ સ્થિતિને વધુ વણસાવી છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
ભારતની સરખામણીએ દક્ષિણ કોરિઆ તથા તાઈવાન જેવી ઊભરતી બજારો સારી કામગીરી કરી રહી છે. વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોએ દક્ષિણ કોરિઆમાં ૩.૬૦ અબજ ડોલર જ્યારે તાઈવાનમાં ૫.૬૦ ડોલર ઠાલવ્યા છે જ્યારે ભારતમાંથી ૩ અબજ ડોલર જેટલી રકમ પાછી ખેેંચી લેવાઈ હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.
જો કે ભારતમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની સતત લેવાલીને પગલે ઈક્વિટીસને ટેકો મળી રહ્યો છે. એફઆઈઆઈની વેચવાલી સામે ડીઆઈઆઈની ખરીદી જોવા મળી રહી છે.
મ્યુચ્યુઅલ ફન્ડસ તથા નાણાં સંસ્થાઓએ મળીને વર્તમાન વર્ષમાં અત્યારસુધી ૩૧ અબજ ડોલરની ઠાલવણી કરી છે.
ભારતીય ઈક્વિટીસના મૂલ્યાંકન હાલમાં વ્યવહારુ સ્તરે આવી ગયા હોવાથી યુદ્ધની સમાપ્તિ બાદ ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની ખરીદી નીકળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.


