- UPI વ્યવહારો વધુને વધુ ગ્રાહક સુધી પહોંચે તે માટે જૂન મહિનામાં જ રિઝર્વ બેન્કે નવી વ્યવસ્થા શરૂ કરી હતી
નવી દિલ્હી, તા. 22 ઓગષ્ટ 2022, સોમવાર
બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમ માટે દેશમાં નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ ભારતમાં સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા UPI ઉપર ચાર્જ વસૂલવા કે નહિ તેના માટે વિચારણા આરંભી હતી. RBIએ તે માટે સંબંધિત લોકોના વિચાર જાણવા માટે સૂચનો પણ મંગાવ્યા હતા. જોકે નાણા મંત્રાલયે આ મામલે મહત્વની સ્પષ્ટતા કરીને UPI ઉપર કોઈ ચાર્જ નહિ લાગે તેમ જણાવ્યું છે.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, UPI એ જાહેર જનતાને સગવડ મળી રહે અને અર્થતંત્રમાં ઉત્પાદકતા વધે તે માટે છે. સરકાર UPI પર કોઈ પણ ચાર્જ વસૂલવા માટે વિચારણા નથી કરી રહી. આ પ્રકારની સેવા પ્રદાન કરનારાઓની પોતાનું રોકાણ પાછું મેળવવા માટેની ચિંતા અન્ય માધ્યમો દ્વારા સંતોષવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે, સરકારે ગયા વર્ષે ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે નાણાકીય સહાય પૂરી પાડી હતી. વધુને વધુ ડિજિટલ પેમેન્ટ અપનાવાય તથા પરવડે તેવા અને વપરાશકર્તા માટે મૈત્રીપૂર્ણ પેમેન્ટ પ્લેટફોર્મના પ્રમોશનને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પણ જાહેરાત કરાઈ છે.
આ પણ વાંચોઃ મહિને રૂ 10 લાખ કરોડના UPI વ્યવહારો ઉપર ચાર્જ વસૂલવા અંગે રિઝર્વ બેન્કે વિચાર શરૂ કર્યો
ઉલ્લેખનીય છે કે, યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ કે UPI ભારતમાં સૌથી લોકપ્રિય નાણાકીય વ્યવહાર કે ડિજિટલ પેમેન્ટનું સાધન છે. મહિને 6 અબજ વ્યવહારો થકી રૂ. 10 લાખ કરોડની લેવડ દેવડ થાય છે. દુનિયામાં આ સૌથી મોટી પેમેન્ટ વ્યવસ્થા છે. તા. 1 જાન્યુઆરીથી આ નાણાકીય વ્યવહાર ઉપર કોઈપણ ચાર્જ નહિ લેવા માટે કેન્દ્ર સરકારે આદેશ કર્યો હતો. સૌથી મહત્વનું છે કે UPI વ્યવહારો વધુને વધુ ગ્રાહક સુધી પહોંચે તે માટે જૂન મહિનામાં જ રિઝર્વ બેન્કે નવી વ્યવસ્થા શરૂ કરી હતી. આ વ્યવસ્થામાં જેની પાસે સ્માર્ટફોન હોય નહિ તે પણ હવે UPIનો લાભ લઇ શકે છે.


