Get The App

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો

- પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ચોખા તેમજ ફળો અને શાકભાજીની નિકાસમાં ઘટાડો

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો 1 - image

અમદાવાદ : ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ (FY27) ના પ્રથમ બે મહિના એટલે કે એપ્રિલ-મે દરમિયાન ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ વાર્ષિક ધોરણે ૮% વધીને ૪.૫૧ અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. જોકે, પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ચોખા તેમજ ફળો અને શાકભાજીની નિકાસમાં ઘટાડો નોંધાયો છે.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ કોમર્શિયલ ઈન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, એપ્રિલ-મે દરમિયાન ડેરી અને પોલ્ટ્રી ઉત્પાદનોની નિકાસ ૪૫% ના જબરદસ્ત વધારા સાથે ૧.૧૮ અબજ ડૉલર થઈ ગઈ છે. બીજી તરફ, બાસમતી અને નોન-બાસમતી સહિત ચોખાની નિકાસ નજીવી ઘટીને ૨.૦૩ અબજ ડાલર રહી છે.

ભારતની કૃષિ નિકાસમાં સૌથી મોટો હિસ્સો ધરાવતા ચોખાની નિકાસ ઘટવાનું મુખ્ય કારણ હોર્મુઝની ખાડી બંધ થવાને લીધે ગલ્ફ દેશોમાં બાસમતી ચોખાના સપ્લાયમાં આવેલી અડચણો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની કુલ નિકાસ વાર્ષિક ધોરણે માત્ર ૨% વધીને ૨૫.૭૧ અબજ ડૉલર થઈ હતી. ઈરાનમાં સપ્લાયની સમસ્યાઓ અને પશ્ચિમ એશિયાના યુદ્ધના કારણે ગલ્ફ દેશોમાં નિકાસ ખોરવાતા ચોખાની નિકાસ ૭.૫% ઘટીને ૧૧.૫૩ અબજ ડૉલર થઈ ગઈ હતી.

ગલ્ફ દેશોમાં ડુંગળી, કેરી, દાડમ, કેળા અને લીલા મરચાંની નિકાસ ઘટવાને કારણે એપ્રિલ-મે દરમિયાન ફળો અને શાકભાજીની નિકાસમાં ૧૪% થી વધુનો ઘટાડો થયો છે અને તે ૦.૫૯ અબજ ડાલર પર આવી ગઈ છે. જોકે, દરિયાઈ ઉત્પાદનોની નિકાસમાં વૃદ્ધિ ચાલુ રહી છે, જે FY૨૭ ના પ્રથમ બે મહિનામાં વાર્ષિક ધોરણે ૬.૩૭% વધીને ૧.૩૯ અબજ ડાલર નોંધાઈ છે.