Business

નિકાસકારો દ્વારા લોન રિપેમેન્ટમાં રાહત, સાનુકૂળ વિનિમય દર પૂરા પાડવા રજૂઆત

By GS TEAM
13 Sep 20252 mins read
નિકાસકારો દ્વારા લોન રિપેમેન્ટમાં રાહત, સાનુકૂળ વિનિમય દર પૂરા પાડવા રજૂઆત

મુંબઈ તા.૧૨ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ઊંચા ટેરિફને કારણે વેપાર પર પડેલી અસરમાંથી રાહત મેળવવા દેશના નિકાસકારોએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સમક્ષ ગુરુવારે રજૂઆત કરી હતી જેમાં લોનના રિપેમેન્ટમાં મોરેટોરિઅમ તથા ડોલર-રૂપિયાનો સાનુકૂળ વિનિમય દર પૂરો પાડવા અનુરોધ કરાયો હતો.

અમેરિકાએ ભારતના માલસામાન પર કુલ ૫૦ ટકા ટેરિફ લાગુ કરી છે જેને પરિણામે અમેરિકા ખાતે દેશની નિકાસ પર પ્રતિકૂળ અસર પડવાની ચિંતા ઊભી થઈ છે. નિકાસકારોની ચિંતા દૂર કરવા સરકાર કેટલીક યોજના બનાવી રહી છે. 

ટેરિફને કારણે અમેરિકા ખાતે ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી, ટેકસટાઈલ, ફિશરીસ અને કેમિકલ્સની નિકાસને મોટો ફટકો પડવાની શકયતા રહેલી છે. 

રિઝર્વ બેન્કના અધિકારીઓ સાથે મળેલી ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફીઓ)ના હોદ્દેદારોની બેઠકમાં ફીઓ દ્વારા એક લેખિત પત્ર અપાયો છે જેમાં નિકાસકારોને તેમની લોનની ચૂકવણીમાં એક વર્ષનું મોરેટોરિઅમ પૂરું પાડવા વિનંતી કરવામાં આવી હોવાનું ફીઓના  સુત્રોએ જણાવ્યું હતું.આ ઉપરાંત નિકાસકારોને કોલેટરલ વગરની ક્રેડિટ ગેરન્ટી સ્કીમ પૂરી પાડવા પણ અનુરોધ કરાયો છે. કોરોનાના કાળમાં નાના ઉદ્યોગોને બેન્કિંગ લોનમાં સરકારે ગેરન્ટી પૂરી પાડી હતી.

આવા પ્રકારની રાહતથી નિકાસકારો તેમના વેપારને નવેસરથી આકાર આપી શકશે એટલું જ નહીં અગાઉ લોન મેળવી ચૂકેલા નિકાસકારો લોનમાં ડીફોલ્ટ જતા અટકાવી શકાશે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું. નિકાસ લક્ષી વેપારની નાણાંકીય તંદૂરસ્તી જાળવવા હાલના સંજોગોમાં સરકાર તરફથી રાહત મળી રહે તે જરૂરી છે. બીજી બાજુ અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર માટે પણ ટૂંક સમયમાં વાટાઘાટ ફરી શરૂ થવાની અપેક્ષા છે. કેટલાક નિકાસકારોએ તેમના ડોલર હોલ્ડિંગ માટે  રૂપિયાના સાનુકૂળ વિનિમય દર માટે માગણી કરી છે. 

નિકાસકારો ડોલરના સ્પોટ ભાવને બદલે રિઅલ ઈફેકટિવ એકસચેન્જ રેટ પર ડોલર વેચવા દેવા રજૂઆત કરી છે. રિઅલ ઈફેકટિવ એકસચેન્જ રેટ માત્ર ડોલર સામે જ નહીં પરંતુ વેપાર કરતા દેશોની કરન્સીસની બાસ્કેટ સામે ફુગાવાને એડજસ્ટ થયેલો એકસચેન્જ રેટ હોય છે. 

હાલમાં આ રેટ ડોલરના હાજર ભાવથી અંદાજે ૧૫ ટકા ઊંચો છે. આને કારણે નિકાસકારોને તેમની પાસેના ડોલર સામે વધુ રૂપિયા પ્રાપ્ત થઈ શકે છે. 

નિકાસકારોને નાણાંકીય રાહત પૂરી પાડવા બેન્કો તૈયાર છે પરંતુ લોનની ચૂકવણીમાં ઢીલ માટે કદાચ તૈયાર નહીં થાય એમ પણ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.