છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો
- વૈશ્વિક તણાવ ઓછો થવાને કારણે શેરોની ખરીદીમાં વધારો થતા સાનુકુળ સ્થિતિનું નિર્માણ
અમદાવાદ : ભૂરાજકીય અને વેપાર સંઘર્ષ ઓછો થવાના સંકેતો પછી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ (MF) સ્કીમ્સે છ મહિનામાં પહેલી વાર મે મહિનામાં તેમની રોકડ હોલ્ડિંગ ઘટાડી હોવાના અહેવાલ સાંપડે છે. ૩૧ મે સુધીમાં અગ્રણી ૨૦ ફંડ હાઉસ પાસે તેમના પોર્ટફોલિયોનો ૬.૮ ટકા રોકડમાં હતો, જે એપ્રિલ ૨૦૨૫માં ૭.૨ ટકાના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર કરતા ઓછો છે.
બજારમાં ઘટાડા અને વધતી જતી વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ફંડ મેનેજરો ડિસેમ્બર ૨૦૨૪થી રોકડ સ્તરમાં વધારો કરી રહ્યા હતા. મે મહિનામાં ઘણા મોરચે રાહત મળી છે. યુદ્ધવિરામથી ભારત-પાકિસ્તાન યુદ્ધનો ભય ઓછો થયો જ્યારે ભારત-યુકે વેપાર સોદા પર પ્રગતિ અને યુએસ-ચીન તણાવ ઓછો થવાથી વ્યવસાયિક દૃષ્ટિકોણમાં સુધારો થયો છે. ઉપરાંત, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો તરફથી સતત આવતા રોકાણપ્રવાહને કારણે સ્થાનિક બજારને વેગ મળ્યો છે.
જોકે, સ્થાનિક રોકાણકારોની ભાગીદારી ધીમી રહી છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણપ્રવાહ સતત પાંચમા મહિને ઘટીને રૂ. ૧૯,૦૧૩ કરોડ થયો હતો, જે ૧૩ મહિનામાં સૌથી ઓછો છે. આમ છતાં, ફંડ મેનેજરોએ મે મહિનામાં આક્રમક રીતે રોકડનો ઉપયોગ કર્યો અને રૂ. ૪૯,૦૦૦ કરોડના શેર ખરીદ્યા હતા, જે એપ્રિલ કરતા લગભગ ત્રણ ગણા વધારે છે.
મોટા ફંડ હાઉસોએ રોકડનું સ્તર ઘટાડયું છે. એસબીઆઈએ તેનું રોકડ હોલ્ડિંગ ૧૦ ટકાથી ઘટાડીને ૮.૬ ટકા કર્યું છે જ્યારે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનું રોકડ હોલ્ડિંગ ૮.૨ ટકાથી ઘટીને ૬.૯ ટકા થયું છે.
બોન્ડ યીલ્ડમાં તાજેતરના ઘટાડાએ બજારની તેજી પછી પણ ઇક્વિટી વેલ્યુએશનને ઐતિહાસિક સરેરાશની નજીક રાખ્યું છે.