મુંબઈ : રિએકટર્સ તથા સ્ટીમ જનરેશન માટે ઉપયોગમાં લેવાતા પ્રોપેન ગેસની ભારે અછતને પરિણામે દેશના ગુજરાત, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં કેટલાક ફાર્મા ઉત્પાદન એકમોમાં ઉત્પાદનો ખોરવાઈ ગયાના અહેવાલો આવી રહ્યા છે.
પેરાસિટામોલ, વિટામીન્સ સહિતની કેટલીક આવશ્યક દવાના ઉત્પાદન પર અસર પડી હોવાનું ઉદ્યોગના સુત્રો જણાવી રહ્યા છે. બોઈલરની કામગીરી પર ગંભીર અસર પડી છે અને આને કારણે આવનારા સપ્તાહોમાં દવાની અછત વર્તાવાની શકયતા નકારાતી નથી.
ભારત મોટી સંખ્યાના એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રીડીઅન્ટસ (એપીઆઈ) એકમો ધરાવે છે જ્યાં વ્યાપક પ્રકારની દવાઓનું ઉત્પાદન થાય છે.
આગામી આઠથી દસ દિવસમાં ૨૦૦ જેટલા ઉત્પાદન એકમો બંધ પડી જવાની સ્થિતિમાં છે જેને કારણે મહત્વની દવાના પૂરવઠા પર અસર પડી શકે છે.
એપીઆઈ ઉત્પાદનમાં સંકળાયેલી કામગીરી જેમાં સતત ઊર્જાની આવશ્યકતા રહે છે અને બોઈલર ચલાવવા પડતા હોય છે તેની માટે પ્રોપેન ઈંધણનો મુખ્ય સ્રોત છે અને ફાર્મા ઉદ્યોગ તેના પર વધુ આધાર રાખે છે, એમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. હાલના યુદ્ધને કારણે એલએનજી આયાત માર્ગ અટકી પડયો છે.


