Get The App

ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે,  પછી આવી ભૂલ ન કરતાં 1 - image

Credit Card New Rules: શું તમે રોજ-બરોજના ખર્ચ માટે કે ઓનલાઇન શોપિંગ કે ટેક્સની ચૂકવણી માટે ક્રેડિક કાર્ડનો ઉપયોગ કરો છો? તો 1 એપ્રિલ 2026થી ઘણા નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ડ્રાફ્ટ મુજબ ઇન્કમ ટેક્સ રૂલ્સ 2026માં ક્રેડિટ કાર્ડ સંબંધિત પાંચ મોટા ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. છેલ્લી મંજૂરી બાદ આ નિયમો 1962ના જૂના નિયમોની જગ્યા લઈ લેશે. તેવામાં જાણી લો કે આ ફેરફારથી તમારા ખિસ્સા પર કેટલી અસર થશે.

1: મોટા ક્રેડિટ કાર્ડ બિલ પર થશે કડક રિપોર્ટિંગ

નવા ડ્રાફ્ટ મુજબ, જો નાણાકીય વર્ષમાં તમારા એક કે વધુ ક્રેડિટ કાર્ડ દ્વારા કુલ 10 લાખ કે તેથી વધુની ચૂકવણી(કેશ છોડીને) થઈ હોય તો બૅન્ક કે કાર્ડ ઇશ્યુ કરનારી કંપનીએ તેની જાણકારી ઇન્કમ ટેક્સ વિભાગને આપવી પડશે. જો 1 લાખ કે તેથી વધુની ચૂકવણી રોકડ સ્વરૂપે કરવામાં આવી હોય તો તેનું રિપોર્ટિંગ કરવું પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ નિયમનો ઉદ્દેશ્ય મોટી લેણદેણ પર બાજ નજર રાખવાનો તેમજ ટેક્સના નિયમનું મજબૂત પાલન થાય તેવો  છે. 

2: પાનકાર્ડ બનાવતા સમયે કામ આવશે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ

ક્રેડિટ કાર્ડ કઢાવ્યાને ત્રણ મહિના થયા હશે તો પણ સ્ટેટમેન્ટ રહેઠાણ પ્રમાણ(Address Proof)ના રૂપે સ્વીકારવામાં આવશે. આથી નવું પાનકાર્ડ કઢાવવા ઇચ્છિત લોકોને વધારે સુવિધા મળશે. તેમજ ડોક્યુમેન્ટ પ્રક્રિયામાં સરળતા રહેશે

3: ટેક્સની ચૂકવણી માટે ક્રેડિટ કાર્ડને મંજૂરી

હવે ઇન્કમ ટેક્સ વિભાગે ઓનલાઇન ચૂકવણી માટે ક્રેડિટ કાર્ડને પણ માન્યતા આપી છે, ઈલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ હશે. પહેલા માત્ર ડેબિટ કાર્ડ, નેટ બૅકિંગ તેમજ અન્ય વિકલ્પો ઉપલબ્ધ હતા. આ ફેરફારથી કરદાતાઓને ચૂકવણીમાં લચીલાપણું મળશે. જો કે વ્યાજ અને ચાર્જિસનું ધ્યાન રાખવું પડશે. 

4: કંપનીએ આપેલા ક્રેડિટ કાર્ડ પર ટેક્સ નિયમ

જો કોઈ કર્મચારીને કંપની તરફથી ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવી છે તો તેના પર થયેલા ખર્ચની ચૂકવણી કંપની કરે છે. તેવા કિસ્સામાં તેને પરક્વિઝિટ ગણવામાં આવશે અને તેના પર ટેક્સ લાગી શકે છે. જો કે ખર્ચ સંપૂર્ણ રીતે ઑફિસના કામ માટે છે અને કંપની પાસે તેનું રૅકોર્ડ તેમજ પ્રમાણપત્ર છે તો ટેક્સમાં છૂટ મળી શકે છે. 

5: ક્રેડિટ કાર્ડ માટે પાનકાર્ડ નંબર જરૂરી

જો કોઈ બૅન્ક કે સંસ્થામાંથી ક્રેડિટ કાર્ડ લેવું હશે તો પાનકાર્ડ નંબર જરૂરી છે. પાનકાર્ડ વગર અરજી માન્ય ગણવામાં આવશે નહીં. આ નિયમનો હેતુ મોટા લેણદેણને ટેક્સ સિસ્ટમ સાથે જોડવાનો છે તેમજ ખોટા ખાતાઓમાંથી થતી લેવડ દેવડ પર રોક લગાવવાનો છે. 

આ પણ વાંચો: મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું વિચારો : સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

શું ખર્ચની રીતે બદલાશે?

આ નિયમોથી સાફ છે કે સરકાર મોટા ક્રેડિટ કાર્ડ લેણદેણ પર બાજ નજર રાખવાના મૂડમાં છે. સાથે જ ડિજિટલ પેમેન્ટને વધારવા તેમજ સિસ્ટમમાં પારદર્શિતા પર પણ જોર આપવામાં આવ્યું છે. જો તમે મોટા ખર્ચ ક્રેડિટ કાર્ડ દ્વારા કરો છો તો હવે ખર્ચની રીત બદલવી પડી શકે તેમજ રૅકોર્ડ અને ટેક્સ પ્લાનિંગ પર ખાસ ધ્યાન આપવું પડશે.