મુંબઈ : સમાપ્ત થયેલા મેમાં ઓટો ઉત્પાદક કંપનીઓ ખાતેથી ડીલરો ખાતે ઊતારૂ વાહનોની રવાનગી વાર્ષિક ધોરણે ૨૭ ટકાથી વધુ રહી હોવાનું જોવા મળ્યું છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં સરકારે ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં કપાત કર્યા બાદ વાહનોની માગમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે.
મેમાં ઊતારૂ વાહનોની રવાનગી ૨૭.૩૦ ટકા વધી ૪,૩૮,૮૫૪ એકમ રહી હોવાનું સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના ડેટા જણાવે છે.
મે ૨૦૨૫માં ઊતારૂ વાહનોની રવાનગીનો આંક ૩,૪૪,૬૫૬ એકમ રહ્યો હતો. ટુ વ્હીલર્સની રવાનગીનો આંક ૧૪.૮૦ ટકા વધી ૧૯,૦૨,૨૦૯ રહ્યો હતો જે ગયા વર્ષના મેમાં ૧૬,૫૭,૧૧૬ જોવા મળ્યો હતો.
વર્તમાન વર્ષના મેમાં ઊતારૂ વાહનો, થ્રી વ્હીલર્સ તથા ટુ વ્હીલર્સના વેચાણમાં દ્વીઅંકી વૃદ્ધિ જોવા મળી છે એમ સિઅમના ડાયરેકટર જનરલ રાજેશ મેનને એક નિવેદનમાં જણાવ્યું હતું.
જીએસટીમાં ઘટાડા ઉપરાંત સરળ ફાઈનાન્સિંગને કારણે વાહનોની હોલસેલ રવાનગીમાં વધારો જોવા મળ્યો છે. ડીલરોને થ્રી વ્હીલર્સની રવાનગીમાં ૩૧ ટકા વધારો થઈ ૭૦૭૨૦ એકમ રહી છે, જે ગયા વર્ષના મેમાં ૫૩૯૪૨ એકમ જોવા મળી હતી.
વાહનોની એકંદર રવાનગી મેમાં ૧૬.૮૦ ટકા વધી ૨૩,૫૨,૬૯૩ એકમ રહી હતી જે ગયા વર્ષના મેમાં ૨૦,૧૪,૧૫૮ એકમ જોવા મળી હતી એમ પણ સિઅમના ડેટામાં વધુમા ંજણાવાયું હતું. આ અગાઉ મેના જાહેર થયેલા રિટેલ આંકમાં ગયા વર્ષના મેની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં વાહનોના એકંદર વેચાણમાં ૯.૫૦ ટકા વૃદ્ધિ સાથે વેચાણ આંક ૨૫,૩૧,૦૬૭ રહ્યાનું જણાવાયું હતું.


