Inflation India: દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. 'અચ્છે દિન'નો વાયદો કરીને સત્તા પર આવેલી ભાજપ સરકારના શાસનમાં મોંઘવારીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગ અત્યંત કફોડી સ્થિતિમાં મુકાયો છે તેવો આકરો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
સામાન્ય જનતાના ખિસ્સા ખંખેરી મૂડીપતિઓને લાભ કરાતો હોવાનો આરોપ
કોંગ્રેસે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, 'ભાજપ સરકાર સામાન્ય જનતાના ખિસ્સા ખંખેરી રહી છે અને આ નાણાંથી માત્ર અમુક મૂડીપતિઓને જ ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. વર્ષ 2014ની સરખામણીએ આજે વર્ષ 2026માં જીવનજરૂરી તમામ ખાદ્ય ચીજવસ્તુઓ, દૂધ તેમજ ઈંધણના ભાવો બે ગણાથી લઈને ત્રણ ગણા સુધી વધી ગયા છે. આ ચિંતાજનક ભાવવધારો જ દર્શાવે છે કે સરકાર આર્થિક મોરચે અને મોંઘવારી અંકુશમાં લેવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.'

ભાવ નિયંત્રણની વાતો માત્ર કાગળ પર: કોંગ્રેસ
હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બહાના હેઠળ સરકાર પોતાની જવાબદારીઓમાંથી છટકી રહી છે. જનતાને વાસ્તવિક રાહત આપવાના બદલે જીવનજરૂરી વસ્તુઓ પર ભાવ નિયંત્રણ લાવવાની મોટી મોટી વાતો માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે. સામાન્ય પરિવારોના મુખ્ય અને રોજિંદા ખોરાક એવા લોટ, દાળ, ચોખા અને દૂધના ભાવમાં 50 ટકાથી લઈને 95 ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બની રહ્યું છે.


