Get The App

રૂ.76000 કરોડના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ફેરફારની ફરજ પડશે

- સેબીના ઓવરલેપ નિયમની અસર થશે

- ૫૧ સેક્ટરલ, થીમેટિક સ્કિમો મર્યાદાઓનું ઉલ્લંઘન કરતી જોવા મળ્યાનું બ્રોકિંગ હાઉસના અભ્યાસ રિપોર્ટનું તારણ

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
રૂ.76000 કરોડના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ફેરફારની ફરજ પડશે 1 - image

મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડ હાઉસોને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના નવા નિયમોનું પાલન કરવા માટે લગભગ રૂ.૭૬,૦૦૦ કરોડના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે, જેનો હેતું સ્કિમો વચ્ચે મોટાપાયે ઓવરલેપને રોકવાનો છે.

ઈલારા સિક્યુરિટીઝના એનાલિસીસ મુજબ, હાલમાં ૫૧ જેટલી સેક્ટરલ અને થીમેટિક સ્કિમો એક જ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં અન્ય ઈક્વિટી સ્કિમ સાથે ૫૦ ટકાથી વધુ પોર્ટફોલિયો ઓવરલેર ધરાવે છે. આ સરખામણીમાં લાર્જ-કેપ ફંડ્સને બાદ કરતાં અન્ય થીમેટિક ફંડ્સ અને ડાઈવર્સિફાઈડ ઈક્વિટી સ્કિમો બન્ને સાથે ઓવરલેપનો સમાવેશ થાય છે. જો કે, એવા કેસોની સંખ્યા ઘણી ઓછી છે, જેમાં અર્થપૂર્ણ પોર્ટફોલિયોમાં ફેરફાર થઈ શકે છે. રૂ.૧૦૦૦ કરોડથી ઓછી સંપત્તિ ધરાવતા ફંડોને બાદ કરતાં, ફક્ત ૧૩ સ્કિમો ૫૨ ટકાથી વધુ ઓવરલેપ દર્શાવે છે. એમ રિપોર્ટમાં જણાવાયું છે. બ્રોકરેજનો અંદાજ છે કે, લગભગ રૂ.૭૬,૦૦૦ કરોડની એસેટ્સ માટે પોર્ટફોલિયો પુન:સ્થાપનની જરૂર પડી શકે છે.

નિયમાક તંત્રએ નિયમનું પાલન કરવા માટે ફંડ હાઉસો માટે એક તબક્કાવાર અમલીકરણ સમયરેખા જારી કરી છે. ઓવરલેપિંગ એક્સપોઝરના લગભગ ૩૫ ટકાને પ્રથમ વર્ષમાં, બીજા ૩૫ ટકાને બીજા વર્ષમાં અને બાકીના ૩૦ ટકાને ત્રીજા વર્ષમાં સમાયોજિત-એડજસ્ટ કરવાની જરૂર પડશે. એકંદર બજાર પ્રવાહિતાના સંદર્ભમાં અને ગોઠવણ ત્રણ વર્ષ સુધી ફેલાયેલી છે, તે ધ્યાનમાં લેતા, એકંદર અસર ફિઝિકલી વિક્ષેપકારક લાગતી નથી, એવું બ્રોકિંગ રિપોર્ટનું કહેવું છે.

હકીકતમાં, બ્રોકરેજનો અંદાજ છે કે, વાસ્તવિક વેચાણની જરૂરિયાત ઘણી ઓછી હોઈ શકે છે. જો ફંડ હાઉસ દરેક ઓવરલેપિંગ જોડીની નાની સ્કિમમાં પ્રમાણસર રીતે પોઝિશન કાપે છે, તો સંચિત વેચાણ લગભગ રૂ.૬૧૩૫ કરોડ થઈ શકે છે. વધુ ઓપ્ટિમાઈઝ્ડ અભિગમ હેઠળ, જ્યાં સોદા ઘટાડવા માટે બધી સ્કિમોમાં ગોઠવણો કરવામાં આવે છે, વેચાણની જરૂરિયાત થોડી ઘટીને લગભગ રૂ.૫૮૯૦ કરોડ થઈ શકે છે. સૌથી વધુ ઓવરલેપિંગ એક્સપોઝર મોટાભાગે બેંકો, ટેલિકોમ અને ઈન્ડેક્સ હેવીવેઈટ જેવા અત્યંત પ્રવાહી લાર્જ-કેપ શેરોમાં કેન્દ્રિત છે, જે પ્રવાહને શોષવામાં સક્ષમ માનવામાં આવે છે.


રૂ.76000 કરોડના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ફેરફારની ફરજ પડશે 2 - image