Business

અમેરિકાના દબાણમાં આવીને ભારત ઈરાનમાં મોટી ભૂલ કરી રહ્યું હોવાનો દાવો, ચીનને મળશે મોકો!

By GS TEAM
2 Feb 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટમાં ઈરાનના વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા ચાબહાર પોર્ટ માટે કોઈ પણ પ્રકારની નાણાકીય જોગવાઈ કરવામાં આવી નથી. વર્ષો પછી આ પહેલી ઘટના છે જ્યારે આ પ્રોજેક્ટ માટે બજેટ શૂન્ય રહ્યું હોય. આ નિર્ણયને પગલે વિદેશ અને સંરક્ષણ બાબતોના નિષ્ણાતોએ ભારતની રણનીતિ સામે સવાલો ઉઠાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના દબાણમાં આવીને ભારત ઈરાનમાં મોટી ભૂલ કરી રહ્યું હોવાનો દાવો, ચીનને મળશે મોકો!

Budget 2026: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટમાં ઈરાનના વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા ચાબહાર પોર્ટ માટે કોઈ પણ પ્રકારની નાણાકીય જોગવાઈ કરવામાં આવી નથી. વર્ષો પછી આ પહેલી ઘટના છે જ્યારે આ પ્રોજેક્ટ માટે બજેટ શૂન્ય રહ્યું હોય. આ નિર્ણયને પગલે વિદેશ અને સંરક્ષણ બાબતોના નિષ્ણાતોએ ભારતની રણનીતિ સામે સવાલો ઉઠાવ્યા છે.

વ્યૂહાત્મક વિશ્લેષકે આપી મોટી ચેતવણી

જાણીતા વ્યૂહાત્મક વિશ્લેષક બ્રહ્મ ચેલાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, ‘જો ભારત ચાબહાર પ્રોજેક્ટમાંથી પાછળ હટશે, તો ત્યાં ઊભી થયેલી ખાલી જગ્યામાં ચીન ત્વરિત એન્ટ્રી કરશે. ચાબહાર પોર્ટ એ ભારત માટે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવાનો એકમાત્ર વ્યવહારુ માર્ગ છે. ભારતનું એક્ઝિટ ચીન માટે એન્ટ્રી પોઇન્ટ બની જશે.’

આ પણ વાંચો: ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર લટકતી તલવાર ! કેન્દ્રીય બજેટમાં ફંડ ન મળતા પ્રોજેક્ટના ભવિષ્ય પર સવાલો

અમેરિકી પ્રતિબંધોની તલવાર

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકાએ ભારત પર દબાણ વધાર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતને 26 એપ્રિલ સુધીમાં આ પ્રોજેક્ટથી અલગ થવા અથવા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા અલ્ટીમેટમ આપ્યું હતું. અગાઉ 2018માં ચાબહાર માટે ભારતને મળેલી વિશેષ છૂટ પણ ગયા વર્ષે પાછી ખેંચી લેવામાં આવી હતી. નિષ્ણાતો માને છે કે બજેટમાં ફંડ ન આપવું એ વોશિંગ્ટન સાથેના તણાવને ઘટાડવાની ભારતની કોઈ 'ટેક્ટિકલ' (વ્યૂહાત્મક) ચાલ હોઈ શકે છે.

ભારત માટે ચાબહાર કેમ અત્યંત જરૂરી છે?

પાકિસ્તાન પર નિર્ભરતા ખતમ: ભારતને અફઘાનિસ્તાન કે મધ્ય એશિયા જવા માટે પાકિસ્તાનના રસ્તાની જરૂર નથી પડતી.

ગ્વાદરનો જવાબ: ચીન પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ વિકસાવી રહ્યું છે, જેના જવાબમાં ભારત માટે ચાબહાર અત્યંત મહત્ત્વનું છે.

INSTC પ્રોજેક્ટ: રશિયા અને યુરોપ સાથે વેપાર કરવા માટે જે ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર બની રહ્યો છે, તેનું મુખ્ય કેન્દ્ર ચાબહાર જ છે.

આ પણ વાંચો: મધ્યપૂર્વમાં યુદ્ધના ભણકારાં, અમેરિકા-ઈઝરાયલની સિક્રેટ મીટિંગમાં ઈરાન વિરુદ્ધ રચાયું 'ચક્રવ્યૂહ'

શું ભારતનું રોકાણ જોખમમાં છે?

ભારત અત્યાર સુધીમાં ચાબહારના શાહિદ બેહેશ્તી ટર્મિનલના વિકાસ માટે અંદાજે 120 મિલિયન ડૉલર ટ્રાન્સફર કરી ચૂક્યું છે. જોકે, એવી પણ ચર્ચા છે કે જૂના ભંડોળનો ઉપયોગ હજુ બાકી હોવાથી કદાચ નવા બજેટની જરૂર નહીં પડી હોય. પરંતુ, સત્તાવાર રીતે ફંડની ગેરહાજરી એ ચીન અને ઈરાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે, જે ભારત માટે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે. બીજી તરફ એ પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે કે શું ચાબહાર પોર્ટ માટે ભારતનું રોકાણ જોખમમાં છે?

જો કે, આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી.