એરંડા હાજર, વાયદા તથા દિવેલ બજારમાં ભાવ ઉંચકાયા
- વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં પીછેહટ: સોયાતેલ તથા સોયાબીન વાયદામાં સામસામા રાહ
- નેશનલ એડીબલ ઓઈલ મિશનને કેબિનેટની મંજૂરી: હવે સરકાર દ્વારા આ દિશામાં અસરકારક પગલાં આવશ્યક
(ગુજરાત સમાચાર કાર્યાલેય) મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. નવી માગ પાંખી હતી. ઉત્પાદક મથકો તથા વિશ્વ બજારના સમાચાર નરમાઈ બતાવી રહ્યા હતા. હાજર પાછળ વાયદા બજારમાં પણ આજે ખાદ્યતેલોના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા.
મુંબઈ હાજર બજારમાં આજે સિંગતેલના ભાવ ઘટી ૧૦ કિલોના રૂ.૧૫૩૫ રહ્યા હતા. જ્યારેકપાસીયા તેલના ભાવ ઘટી રૂ.૧૫૦૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૧૫૭૦ તથા રિફાઈન્ડના રૂ.૧૬૦૦ રહ્યા હતા. ઉત્પાદક મથકોએ આજે સિંગતેલના ભાવ રૂ.૧૫૦૦ તથા ૧૫ કિલોના રૂ.૨૩૯૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે કોટન વોશ્ડના ભાવ રૂ.૧૪૬૦ રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામતેલના વાયદાના ભાવ ઘટી વિવિધ ડિલીવરીમાં ૮૩,૯૪, ૧૦૫ તથા ૧૦૨ પોઈન્ટ માઈનસમાં જતા રહ્યા હતા. જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ આજે અઢીથી પાંચ ડોલર તૂટયા હતા. જોકે સપ્ટેમ્બર માટે મલેશિયા તથા ઈન્ડોનેશિયા દ્વારા નિકાસ લક્ષી, નિકાસ ટેક્સમાં વધારો કરશે એવી ગણતરી વિશ્વ બજારના જાણકારો આજે બતાવી રહ્યા હતા. મલેશિયાથી પામતેલની નિકાસમાં જોકે તાજેતરમાં પીછેહઠ નોંધાઈ છે.
દરમિયાન, ભારતમાં ખાદ્યતેલનું ઉત્પાદન વધારવા નક્કી કરવામાં આવેલા નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ્સને આજે કેબિનેટની મંજૂરી મળી ગયાના સમાચાર મળ્યા હતા. આના પગલે હવે દેશમાં આગળ ઉપર ઉત્પાદન વૃદ્ધી માટે સરકારે દ્વારા અસરાકારક કેવા પગલાં ભરવામાં આવે છે તેના પર બજારની નજર રહી છે.
અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૭૦ પોઈન્ટ તથા સોયાતેલના ભાવ ૭૫ પોઈન્ટ તૂટયા હતા. જ્યારે સોયાતેલના ભાવ ૭ પોઈન્ટ અને કોટનના ભાવ ૮૫ પોઈન્ટ ઉંચકાયા હતા. ત્યાં આજે સાંજે પ્રોજેકશનમાં સોયાતેલના ભાવ ૬૦ પોઈન્ટ નરમ રહ્યા હતા. ઉપરાંત સોયાબીન તથા સોયાખોળના ભાવ પણ પ્રોજેકશનમાં માઈનસમાં રહ્યા હતા.
મુંબઈ હાજર બજારમાં આજે આયાતી પામતેલના ભાવ ઘટી ૧૦ કિલોના રૂ.૧૨૭૨ જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઘટી રૂ.૧૨૧૦ રહ્યા હતા. વાયદા બજારમાં આજે સાંજે સીપીઓ તથા સોયાતેલના ભાવ રૂ.૧૨થી ૧૩ તૂટયા હતા. સીપીઓમાં ઓગસ્ટ વાયદા સામે સપ્ટેમ્બરનો વાયદો નોંધપાત્ર નીચો બોલાઈ રહ્યો હતો.
ચીનના બજારોમાં આજે સોયાબીનના ભાવ વધ્યા હતા. જ્યારે સોયાતેલ, સોયાખોળ તથા પામતેલના ભાવ માઈનસમાં રહ્યા હતા. ઘરઆંગણે આજે સોયાબીન વાયદાના ભાવ સાંજે આશરે બે ટકા ઉંચા રહ્યા હતા. જ્યારે મસ્ટર્ડ સીડના વાયદાના ભાવ ધીમો સુધારો બતાવતા હતા. સોયાબીનની આવકો આજે મધ્ય-પ્રદેશ ખાતે ૧૫ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા આવકો ૩૫ હજાર ગુણી નોંધાઈ હતી.
મધ્ય પ્રદેશ ખાતે સોયાબીનના ભાવ કિવ.ના રૂ.૮૫૦૦થી ૯૧૦૦ તથા પ્લાન્ટ ડિલીવરીના રૂ.૮૯૦૦થી ૯૧૦૦ રહ્યા હતા. મસ્ટર્ડ સીડની આવકો આજે રાજસ્થાનમાં ૯૦ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા ૨ લાખ ગુણી આવી હતી તથા રાજસ્થાન ખાતે ભાવ રૂ.૭૯૭૫થી૮૦૦૦ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે સોયાતેલના ભાવ ઘટી ડિગમના રૂ.૧૩૭૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૦૦ રહ્યા હતા. જ્યારે સનફલાવરના ભાવ ઘટી રૂ.૧૪૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૯૦ રહ્યા હતા.
દિવેલના હાજર ભાવ રૂ.૧૧ વધ્યા હતા. જ્યારે હાજર એરંડાના ભાવ રૂ.૫૫ વધ્યા હતા. એરંડા સપ્ટેમ્બર વાયદાના ભાવ આજે સાંજે રૂ.૭૪ વધી રૂ.૫૯૧૯ રહ્યા હતા. દરમિયાન મુંબઈખોળ બજારમાં આજે સંગિખોળના ભાવ ટનના રૂ.૨૦૦૦ ઘટી રૂ.૫૭ હજારબોલાયા હતા. જ્યારે એરંડા ખોળના ભાવ ટનના રૂ.૧૦૦ વધી રૂ.૬૯૫૦ રહ્યા હતા. જોકે અન્ય ખોળો શાંત હતા.