મુંબઈ : ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ-બેન્ક (એફસીએનઆર-બી) થાપણોને આકર્ષવા ભારતની બેન્કો વિદેશમાં વસતા ભારતીયોને બે ટકા જેટલું વધુ વ્યાજ ઓફર કરે તેવી શકયતા છે.
થાપણો સ્વીકારવા સામે રહેલા હેજિંગ કોસ્ટને પોતે સહન કરવાની રિઝર્વ બેન્કે ખાતરી આપ્યા બાદ બેન્કો વધુ વ્યાજ ઓફર કરવા માટે તૈયાર થઈ હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
ડોલરના સ્વરૂપની એફસીએનઆર-બી થાપણ પર ત્રણથી પાંચ વર્ષની મુદત માટે ૨.૯૦થી ૩.૫૫ ટકા જેટલું વ્યાજ ઓફર કરવામાં આવે છે જ્યારે રૂપિયાના સ્વરૂપની થાપણ પર સમાન સમયગાળા માટે ૬ ટકા જેટલું વ્યાજ પૂરું પાડવામાં આવે છે.
દેશમાં ડોલર પ્રવાહ આકર્ષવા બેન્કોને પ્રોત્સાહિત કરવા રિઝર્વ બેન્કે એફસીએનઆર-બી થાપણો પેટેના હેજિંગ કોસ્ટને પોતે ગ્રહણ કરવાનો કરેલો નિર્ણય તથા સ્વીકારેલી આવી થાપણો સામે કેશ રિઝર્વ રેશિઓ તથા સ્ટેટયૂટરી લિક્વિડિટી રેશિઓ જાળવવામાંથી બેન્કોને મુક્તિ અપાતા બેન્કોને તેમના કામકાજ પાછળના ખર્ચમાં ૩ ટકા જેટલી બચત થવાનો એક બેન્કરે અંદાજ મૂકયો હતો.
નાણાં વર્ષ ૨૦૨૫માં એફસીએનઆર-બી સ્કીમમાં થાપણની માત્રા જે ૭.૦૭ અબજ ડોલર રહી હતી તે નાણાં વર્ષ ૨૦૨૬માં ૮૭ ટકા જેટલી ઘટી ૯૪.૬૦ કરોડ ડોલર રહી હતી.
રિઝર્વ બેન્કના નિર્ણય બાદ વિદેશમાં વસતા ભારતીયો પાસેથી બેન્કો મોટી માત્રામાં રકમ આકર્ષવાની અપેક્ષા રાખી રહી છે.
રિઝર્વ બેન્ક દ્વારા છેલ્લામાં છેલ્લી જાહેર કરાયેલી એફસીએનઆર-બી સ્કીમ હેઠળની થાપણોને એક વર્ષની લોક-ઈન લાગુ થશે અને બેન્કો દ્વારા હાથ ધરાનારા વિનિમય રદ કરી શકાશે નહીં.
રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા ધોરણ પ્રમાણે, ડોલર-રુપી વિનિમય વ્યવસ્થા વર્તમાન વર્ષના ૧૬ ઓકટોબર સુધી ખુલ્લી રહેશે. વિદેશમાં વસતા ભારતીયો પાસેથી ડોલર પ્રવાહ વધારવાના ભાગરૂપ આ સ્કીમ જાહેર કરવામાં આવી છે.


