Get The App

ગત નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણમાં 16 ટકાથી વધુ વૃદ્ધિ

- નીચા વ્યાજદરને કારણ ધિરાણ માગમાં વધારો

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
ગત નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણમાં 16 ટકાથી વધુ વૃદ્ધિ 1 - image

મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં મંદ રહ્યા બાદ સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૬.૦૮ ટકા વૃદ્ધિ જોવા મળી હતી. 

ગત નાણાં વર્ષમાં ધિરાણની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ રહી વાર્ષિક ધોરણે ૧૩.૪૭ ટકા જોવા મળી હતી, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે.

૩૧મી માર્ચના અંતે કુલ ધિરાણ આંક રૂપિયા ૨૧૩.૬૧ ટ્રિલિયન રહ્યો હતો જ્યારે થાપણ આંક રૂપિયા ૨૬૨.૩૦ ટ્રિલિયન જોવા મળ્યો હતો. સમાપ્ત થયેલા નાણાં વર્ષના અંતે  થાપણથી ધિરાણનું પ્રમાણ ૮૧.૪૩ ટકા રહેવા પામ્યુ હતું. 

તાજેતરના સમયમાં દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ ઉપાડમાં ગતિ જોવા મળી છે. ઉદ્યોગમાં એમએસએમઈ દ્વારા ધિરાણ માગ વધી છે જ્યારે રિટેલમાં પણ ખાસ કરીને ગોલ્ડ લોનમાં વધારો થયો છે. 

આરબીઆઈ દ્વારા રેપો રેટના સતત નીચા સ્તરે કારણે ઉદ્યોગો બોન્ડ અથવા અન્ય સાધનો મારફત નાણાં ઊભા કરવાને બદલે બેન્કો પાસેથી નાણાં મેળવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. 

બેન્કિંગ ક્ષેત્રમાં લિક્વિડિટીની ખેંચને કારણે બોન્ડ બજારમાંથી નાણાં ઊભા કરવાનું ઉદ્યોગો માટે ખર્ચાળ સાબિત થાય છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે મોટાભાગની બેન્કોમાં તેમના એમએસએમઈ તથા કોર્પોરેટ પોર્ટફોલિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ધિરાણ વૃદ્ધિને ટકાવી રાખવા માટે બેન્કોએ થાપણ સ્તરમાં વધારો કરવામાં આક્રમકતા અપનાવવી પડશે એમ એક રેટિંગ એજન્સીના ફાઈનાન્સિઅલ ક્ષેત્રનું રેટિંગ આપતા એનાલિસ્ટે જણાવ્યું હતું.

હાલમાં યુદ્ધની સ્થિતિને જોતા ઉદ્યોગો માટે એકસટર્નલ કમર્સિઅલ બોરોઈંગ્સ (ઈસીબી) રુટ મારફત નાણાં ઊભા કરવાનું ખર્ચાળ બની ગયું છે.