કઠોળ પર સ્ટોક લિમિટસ લાગુ કરવાનું પગલું આવશ્યક
- બજારમાં કઠોળની ઉપલબ્ધતા જાળવવા આવા નિર્ણય લેવા પડે છે
મુંબઈ : કઠોળ પર સ્ટોક લિમિટસ લાગુ કરવાના કેન્દ્રના નિર્ણયનો દેશના ટ્રેડરો એકતરફ વિરોધ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સરકારે આવી લિમિટસ લાગુ કરવાનું જરૂરી હોવાની સ્પષ્ટતા કરી હતી. બજારમાં કઠોળની ઉલબ્ધતા બની રહે માટે સ્ટોક લિમિટસનું પગલું આવશ્યક છે, એમ ગ્રાહક બાબતોના વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
કઠોળના ભાવમાં દૈનિક વધઘટ પર નજર રાખવા વિભાગે દેખરેખ યંત્રણાને મજબૂત બનાવી છે, જે મારફત હોલસેલ, રિટેલ તથા મંડીમાં કઠોળના ભાવની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકે છે એમ ઈન્ડિયા પલ્સિસ એન્ડ ગ્રેઈન્સ એસોસિએશન દ્વારા યોજાયેલા એક વેબિનારમાં વિભાગના વધારાના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
કઠોળના ભાવો પર નજર રાખવા અને તેનો અંદાજ બાંધવા સરકાર વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. કઠોળના સ્ટોક લિમિટનું પગલું લોકપ્રિય નથી પરંતુ ન છૂટકે લેવું પડે છે.
૨જી જુલાઈના એક નોટિફિકેશન મારફત સરકારે હોલસેલરો માટે ૨૦૦ ટન તથા રિટેલરો માટે પાંચ ટન કઠોળની સ્ટોક લિમિટ લાગુ કરી છે. મિલરો તથા આયાતકારો પર પણ સ્ટોક મર્યાદા લાગુ કરાઈ છે.
સરકારનો આ નિર્ણય અવ્યવહારુ હોવાનું જણાવી કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ) દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં કેઈટ દ્વારા વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલને પત્ર લખવામાં આવ્યો હોવાનું કેઈટના સુત્રોએ જણાવ્યું હતું.