Get The App

ઇથેનોલની ખરીદ કિંમતમાં વધારો, ઉત્પાદકોને થોડી રાહત મળશે

- ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ તૂટેલા અનાજ અને મકાઈમાંથી બનેલા ઈથેનોલના ભાવમાં અનુક્રમે રૂ.૪.૭૫ અને ૬.૦૧ પ્રતિ લીટરે વધારો કર્યો

Updated: Aug 8th, 2023

GS TEAM


Google News
Google News
ઇથેનોલની ખરીદ કિંમતમાં વધારો, ઉત્પાદકોને થોડી રાહત મળશે 1 - image


નવી દિલ્હી : ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તૂટેલા અનાજમાંથી ઉત્પાદિત ઇથેનોલના ભાવમાં રૂ. ૪.૭૫ પ્રતિ લિટર અને મકાઈના ભાવમાં રૂ. ૬.૦૧ પ્રતિ લિટરનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા દરો આક્ટોબર ૨૦૨૩માં સમાપ્ત થતા ૨૦૨૨-૨૩ ઇથેનોલ સપ્લાય વર્ષના બાકીના મહિનાઓ માટે લાગુ થશે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ઈથેનોલ બનાવવા માટે સસ્તા દરે ચોખાનો પુરવઠો અટકાવવાને કારણે ખેડૂતોને થઈ રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આ નિર્ણય લીધો છે.

આનાથી અનાજમાંથી ઇથેનોલના ઉત્પાદકોને થોડી રાહત મળશે, જેઓ ફૂડ કોર્પોરેશન દ્વારા સસ્તા ચોખાના સપ્લાયને અચાનક અટકાવવાને કારણે સંકટનો સામનો કરી રહ્યા હતા. ઉપરાંત, ઇથેનોલ ઉત્પાદકો મકાઈનો ઉપયોગ કરવાનું ટાળતા હતા, કારણ કે શેરડીમાંથી બનેલા ઇથેનોલની તુલનામાં તેની ખરીદ કિંમત ઓછી છે.

આનાથી ડિસ્ટિલરીઓને નુકસાન થયેલા અનાજ અને મકાઈના ઊંચા ભાવની અસરથી બચવામાં પણ મદદ મળશે. ફૂડ કોર્પોરેશને ચોખાનો પુરવઠો બંધ કર્યો તે પહેલાં, ઓઇલ માર્કેટિંગ  કંપનીઓએ રૂ. ૫૮.૫૦ પ્રતિ લિટરે ઇથેનોલ ખરીદતી હતી અને તે સમયે ચોખા રૂ. ૨૦ પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતા.

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે મકાઈની પ્રાપ્તિ કિંમત રૂ. ૨૨ પ્રતિ કિલો છે, જ્યારે તાજેતરના ભાવવધારા પહેલા મકાઈમાંથી બનેલા ઇથેનોલની કિંમત રૂ. ૫૬.૩૫ પ્રતિ લિટર હતી.

આ પછી તૂટેલા ચોખા અથવા ક્ષતિગ્રસ્ત અનાજ આવે છે. તે બજારમાં રૂ. ૨૩-૨૪ પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે, પરંતુ તેમાંથી ઉત્પાદિત ઇથેનોલની કિંમત સૌથી ઓછી રૂ. ૫૫.૫૪ પ્રતિ લિટર છે. તાજેતરના ભાવવધારા પછી, જે આગામી થોડા દિવસોમાં અમલમાં આવશે, નુકસાન પામેલા અનાજમાંથી ઉત્પાદિત ઇથેનોલની પ્રાપ્તિ કિંમત પ્રતિ લિટર રૂ. ૬૦.૨૯ થશે જે અગાઉ રૂ. ૫૫.૫૪ હતી. બીજી બાજુ, મકાઈમાંથી ઉત્પાદિત ઇથેનોલની કિંમત ૬૨.૩૬ રૂપિયા પ્રતિ લિટર હશે, જે ૫૬.૩૫ રૂપિયા પ્રતિ લિટર છે.

ભારત ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકશે તેવી વિશ્વબજારમાં ચિંતા

ચોખાની નિકાસ પર પ્રતિબંધ બાદ હવે ભારત ખાંડની નિકાસ પર પણ પ્રતિબંધ લાવી દેશે તેવી   વિશ્વ બજારના ટ્રેડરોને ચિંતા સતાવી રહી છે. ખાંડનો વૈશ્વિક પૂરવઠો તંગ બનતા વિશ્વના અનેક દેશો સાકરની પોતાની જરૂરિયાત માટે ભારત પર આધાર રાખી રહ્યા છે.

ઓકટોબરથી શરૂ થનારી નવી ખાંડ મોસમમાં દેશનું ખાંડ ઉત્પાદન હાલમાં ચાલી રહેલી ૨૦૨૨-૨૩ની મોસમના અંદાજ કરતા ૩.૪૦ ટકા ઘટી ૩૧૬.૮૦ લાખ ટન રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આગામી મોસમમાં ખાંડનું ઉત્પાદન નીચું રહેશે તો તે સતત બીજુ વર્ષ બની રહેશે જેમાં ખાંડનું ઉત્પાદન ઘટી ગયું હોય. ઘરઆંગણે ભાવને અંકૂશમાં રાખવા સરકાર ખાંડની મર્યાદિત નિકાસની પરવાનગી આપે છે. વર્તમાન ખાંડ મોસમમાં ૬૧ લાખ ટન ખાંડ નિકાસ  છૂટ અપાઈ હતી. 

Tags :