Business

એપ્રિલ-સપ્ટે.માં કૃષિ, પ્રોસેસ્ડ ફૂડ નિકાસ 12% વધીને 12.47 બિલિયન ડોલર

By GS TEAM
22 Oct 20252 mins read
એપ્રિલ-સપ્ટે.માં કૃષિ, પ્રોસેસ્ડ ફૂડ નિકાસ 12% વધીને 12.47 બિલિયન ડોલર

નવી દિલ્હી : ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ ઝડપી ગતિએ વધી રહી છે, એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૨૫-૨૬માં શિપમેન્ટ વાર્ષિક ધોરણે ૧૨%થી વધુ વધીને ૧૨.૧૭ બિલિયન ડોલર થયું છે. 

તાજેતરમાં અમેરિકા દ્વારા કડક ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, શિપમેન્ટમાં વધારો મુખ્યત્વે ચોખા, ફળો અને શાકભાજીની નિકાસમાં તીવ્ર વધારાને કારણે થયો હતો.

એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન બાસમતી અને બિન-બાસમતી જાતો સહિત ચોખાની નિકાસ વાર્ષિક ધોરણે ૧૦%થી વધુ વધીને ૫.૬૩ બિલિયન ડોલર થઈ છે. સપ્ટેમ્બર, ૨૦૨૫માં, વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર ભારતે ૦.૯૨ બિલિયન ડોલરનું અનાજ મોકલ્યું હતું, જે સપ્ટેમ્બર, ૨૦૨૪ની નિકાસ કરતાં ૩૩% વધુ છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫માં, ચોખાની નિકાસ ૧૨.૪૭ બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે હતી, જે ૨૦૨૩-૨૪ની સરખામણીમાં ૨૦%થી વધુનો વધારો છે. જોકે, બાસમતી ચોખાના નિકાસકારોમાં અમેરિકા જેવા ઉચ્ચ મૂલ્યના બજારમાં શિપમેન્ટની સંભાવનાઓ અંગે ભય છે, કારણ કે ગયા મહિને નવી ઊંચી ટેરિફ વ્યવસ્થા અમલમાં આવી છે.

તાજેતરના યુએસ ટેરિફ છતાં, છેલ્લા ત્રિમાસિક ગાળામાં ચોખાની નિકાસમાં સ્થિર વૃદ્ધિ જોવા મળી છે જે સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે કે ભારતીય નિકાસકારોએ વૈશ્વિક પડકારોનો અસરકારક રીતે સામનો કર્યો છે અને વૈશ્વિક સ્તરે ચોખાના સૌથી વિશ્વસનીય સપ્લાયર તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે, ભારત છેલ્લા એક દાયકાથી ચોખાનો સૌથી મોટો નિકાસકાર રહ્યો છે અને હાલમાં વૈશ્વિક અનાજ વેપારમાં ૪૦% થી વધુ હિસ્સો ધરાવે છે.

૨૦૨૬ માટે વૈશ્વિક ચોખાનો વેપાર ૬૨ મિલિયન ટન થવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ ૨૬ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન ફળો અને શાકભાજીની નિકાસ વાર્ષિક ધોરણે ૯%થી વધુ વધીને ૧.૮૬ બિલિયન ડોલર થઈ હતી. કાજુનું શિપમેન્ટ ૯% થી વધુ વધીને ૧૩૮ મિલિયન ડોલરપ્રતિ વર્ષ થયું હતું.