Get The App

APSEZએ રચ્યો ઇતિહાસ: ગૌતમ અદાણીએ કહ્યું- '500 મિલિયન ટન તો માત્ર શરૂઆત, 2030 સુધીમાં 1 બિલિયનનો ટાર્ગેટ'

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
APSEZએ રચ્યો ઇતિહાસ: ગૌતમ અદાણીએ કહ્યું- '500 મિલિયન ટન તો માત્ર શરૂઆત, 2030 સુધીમાં 1 બિલિયનનો ટાર્ગેટ' 1 - image

APSEZ Handles 500 Million Tonnes Cargo: ભારતની સૌથી મોટી ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટી અને અગ્રણી પોર્ટ ડેવલપર 'અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ' (APSEZ) એ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેણે 500 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાનો નોંધપાત્ર આંકડો પાર કર્યો છે. આ સિદ્ધિ APSEZના વિકાસ માર્ગમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. વધુમાં તે ભારતના માળખાગત પરિવર્તનની વધતી ગતિને રેખાંકિત કરે છે. તે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા અને કાર્યકારી શિસ્તના પાયા પર બનેલા વિશ્વ-સ્તરીય લોજિસ્ટિક્સ પ્લેટફોર્મના ઉદયનું પણ પ્રતીક છે. આ સિદ્ધિ ભારતની લોજિસ્ટિક્સ અને પોર્ટ ક્ષમતામાં અદાણી ગ્રુપના વધતા વર્ચસ્વને દર્શાવે છે.

અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ગૌરવશાળી અવસરે તેમની સાથે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિ અદાણી, APSEZ ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી અને પરિધિ અદાણી પણ હાજર રહ્યા હતા. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણી માટે આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર અદાણી પરિવાર અને ગ્રુપના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગૌતમ અદાણીએ APSEZની સફળતા અને ભવિષ્યના રોડમેપ વિશે ઊંડાણપૂર્વક વાત કરી હતી. તેમણે આ સિદ્ધિને માત્ર આંકડા તરીકે નહીં, પણ એક અતૂટ વિશ્વાસની ગાથા ગણાવી હતી.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું ખાસ સંબોધન

આ ખાસ ઉપલબ્ધિની ઉજવણીના ભાગરૂપે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે(3 એપ્રિલ, 2026) ખાસ સંબોધન કર્યું છે. ગૌતમ અદાણીએ કહ્યું કે, "મારા વહાલા સહકર્મીઓ, મહાન સંસ્થાનું નિર્માણ બે તબક્કામાં થાય છે. સૌપ્રથમ મનમાં—આશા, આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય દ્વારા. અને બીજી વાર વાસ્તવિક દુનિયામાં, જ્યાં સપનાઓ મોમેન્ટ બાય મોમેન્ટ, બ્રિક બાય બ્રિક અને હેન્ડ બાય હેન્ડ..."

આંકડા નહીં, વિરાસતનું મૂલ્ય

ગૌતમ અદાણીએ APSEZની સફળતા પર વાત કરતા જણાવ્યું હતું કે, "આ સ્તરની સિદ્ધિઓ ક્યારેય માત્ર આંકડાઓ વિશે હોતી નથી. તે વિરાસત વિશે હોય છે. આંકડા પ્રદર્શનને માપે છે, જ્યારે વિરાસત કંઈક વધુ ઊંડાણપૂર્વકનું માપે છે. તે દ્રષ્ટિકોણની નિર્ભયતા, વિશ્વાસની સહનશક્તિ અને એવું લક્ષ્ય રાખવાની હિંમતને માપે છે જેની કલ્પના કરવાની પણ મોટાભાગના લોકો હિંમત કરી શકતા નથી. અદાણી ગ્રુપના દરેક વ્યવસાયમાં, અમે લક્ષ્યો હાંસલ કરીએ છીએ, અમે રેકોર્ડ તોડીએ છીએ, અમે ઉદ્યોગોને નવેસરથી વ્યાખ્યાયિત કરીએ છીએ. પરંતુ આજનો દિવસ અલગ છે, કારણ કે APSEZ ની આ સફર મારા માટે વ્યક્તિગત રીતે ખૂબ જ ખાસ છે.

અદાણી સ્પિરિટ: સંઘર્ષ અને વિજયની ગાથા

આજનો દિવસ એવો જ એક વિરામ છે, ભૂતકાળમાં ડોકિયું કરવાની એક દુર્લભ ક્ષણ છે, જે આપણે નિર્માણ કર્યું છે તેની ભવ્યતાને સમજવાની અને APSEZ દ્વારા 500 મિલિયન ટન કાર્ગો પાર કરવાની અસાધારણ સિદ્ધિઓ પર વિચાર કરવાની આ ક્ષણ છે.

વારંવાર એવું કહેવામાં આવે છે કે એક સંશોધક તેના દ્વારા પસંદ કરવામાં આવેલા માર્ગથી ઘડાય છે, જેમ માર્ગ પણ તેના લાયક સંશોધકની રાહ જોતો હોય છે. હું લાંબા સમયથી માનું છું કે સંશોધકના જીવનમાં કોઈ અંતિમ મુકામ હોતા નથી.

આ સિદ્ધિઓ આપણા સંઘર્ષો, આપણી જીત અને આપણા અવરોધોની યાદો વિશે છે, જે તમામે મળીને 'અદાણી સ્પિરિટ'ને વ્યાખ્યાયિત કરી છે. તે વર્ષોના બલિદાનમાં છુપાયેલી આપણી વાર્તાઓ વિશે છે. આ બાબતો ક્યારેય ન્યૂઝ હેડલાઇન્સમાં નથી આવી, પરંતુ મારા માટે અદાણી ગાથાની સાચી હેડલાઇન્સ આ જ હતી.

સફળતાનો શ્રેય ટીમને અર્પણ

કારણ કે 500 મિલિયન ટન સુધીની આ સફરમાં ક્યાંક ને ક્યાંક, આ સીમાચિહ્ન હવે કોઈ એક વ્યક્તિ પૂરતું મર્યાદિત નથી રહ્યું. આ સિદ્ધિ તમારા સૌને—APSEZ ના એ તમામ પુરુષો અને મહિલાઓને અર્પણ છે, જેમણે એક સાહસિક સ્વપ્ન અને હિંમતભરી સફરને એક જીવંત વિરાસતમાં પરિવર્તિત કરી છે.

જૂની કોન્ટેસા કાર અને અમદાવાદથી મુન્દ્રાની એ રાતો...

મને હજુ પણ જૂની કોન્ટેસા કારમાં અમદાવાદથી મુન્દ્રા સુધીની એ ઘણી બધી રાતોની મુસાફરી સ્પષ્ટપણે યાદ છે, જેમાં મલય મારી બાજુમાં બેઠા હતા. 1990ના દાયકામાં, મુન્દ્રા જવા માટે ખરેખર કોઈ રસ્તા નહોતા, અને તે સ્થિતિ પૂરતી ખરાબ હતી. પરંતુ તેનાથી પણ વધુ મુશ્કેલી એ હતી કે મારી બાજુમાં બેઠેલા ગભરાયેલા મલય મને જગાડવા માટે ગીતો ગાતા હતા.

કારણ કે કોઈ પણ સમજદાર વ્યક્તિ આખી રાત ગાડી ચલાવીને એવી જગ્યાએ ન ગઈ હોત, જે તે સમયે બંદરો અને ભારતીય લોજિસ્ટિક્સના ભવિષ્ય જેવી ઓછી અને ભારતની પશ્ચિમી સરહદ પરની વિશાળ, અનંત જમીન જેવી વધુ દેખાતી હતી. અને છતાં, કદાચ તે જ અમારો સૌથી મોટો ફાયદો હતો. અમે અમારી 20 વર્ષની સફરના અંતિમ વર્ષોમાં હતા, અને અમારી આશાવાદિતાએ હજુ સુધી જોખમના શિસ્તના પાઠ શીખ્યા નહોતા.

તેમણે હિન્દી પંક્તિઓ ટાંકીને તે સમયની મનઃસ્થિતિ વર્ણવતા કહ્યું કે, "વો લમ્બે રાસ્તે, વો રાતેં, વો યાર કા સાથ, અંધેરોં મેં ભી થમી નહીં, હમારે સપનોં કી બાત. થક કર રુકના તો - હમારી ફિતરત મેં ન થા, બસ દિલ મેં એક હી ઝિદ થી - મુકદ્દર... બદલના થા." 

શંકાની એ ક્ષણોમાં, મલય એવું કામ કરતા જે કોઈ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અથવા મોટિવેશનલ સ્પીકર ક્યારેય આનાથી વધુ સારી રીતે કરી શક્યા ન હોત..."

એ વિશાળ ઉજ્જડ જમીનની વચ્ચે મુસાફરી દરમિયાન તેમના સાથી મલય ઘણીવાર ફિલ્મ 'મુકદ્દર કા સિકંદર'નું ગીત ગાતા, જે તેમનું ખાનગી ગીત બની ગયું હતું. અને કદાચ, સંપૂર્ણ ખ્યાલ આવ્યા વિના જ, આ ગીતે અમારી અંદર રહેલી કોઈ ઊંડી વાતને વાચા આપી હતી—એક અડગ વિશ્વાસ કે જો નસીબ પોતાની મેળે તમારી પાસે ન આવે, તો તમારે બહાર નીકળીને તેને જાતે જ ઘડવું પડે છે..."

મુન્દ્રા: એક અડગ વિશ્વાસ અને સાહસનું પરિણામ

મુન્દ્રા જે એક સમયે માત્ર એક તણખલું હતું, તે આજે અદાણી ગ્રુપ અને ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કેન્દ્ર બની ગયું છે. આજે અદાણી ગ્રુપ પાસે 20 પોર્ટ્સનું એક જીવંત નેટવર્ક છે, જે ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, શ્રીલંકા અને તાન્ઝાનિયા જેવા દેશો સુધી વિસ્તરેલું છે.

500 મિલિયન ટનની સિદ્ધિને કંપનીના શ્રમિકોને સમર્પિત

ગૌતમ અદાણીએ આ 500 મિલિયન ટનની સિદ્ધિને કંપનીના શ્રમિકો અને ગ્રાઉન્ડ સ્ટાફને સમર્પિત કરી હતી. તેમણે ક્રેન ઓપરેટર્સ, મરીન ટીમ અને ખાસ કરીને એ શ્રમિકોનો આભાર માન્યો જેઓ પોતાના પરિવારથી દૂર રહીને કામ કરે છે.

તેમણે ભાવુક થઈને કહ્યું કે, "અભી તો બસ ઝમીન નાપી હૈ - હૌસલોં કા આસમાન બાકી હૈ. તુમ્હારી હી બાઝુઓં કે દમ પર - કઈ ઔર બડે ઇમ્તેહાન બાકી હૈ. યે 500 મિલિયન ટન કી સિદ્ધિ - અપને શ્રમિકોં કે નામ કરતા હૂં. તુમ્હારે પસીને કી હર બૂંદ કો - ઝુકકર પ્રણામ કરતા હૂં." 

સંસ્થાકીય પરિવર્તન અને સશક્તિકરણ

ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે અદાણી ગ્રુપ ત્રણ સ્તરીય માળખું અપનાવી રહ્યું છે. આ ફેરફાર ખર્ચ ઘટાડવા માટે નથી, પણ છેવાડાના કર્મચારીને નિર્ણય લેવાની શક્તિ આપવા માટે છે. તેમનું માનવું છે કે ભવિષ્યમાં એ જ સંસ્થાઓ જીતશે જે ઝડપથી નિર્ણય લઈ શકે.

મિશન 2030: 1 બિલિયન ટનનો ટાર્ગેટ

• પ્રથમ 100 મિલિયન ટન સુધી પહોંચતા 16 વર્ષ લાગ્યા.
• ત્યારબાદના 100 મિલિયન ટન માત્ર 5 વર્ષમાં, અને પછીના ક્રમશઃ 3 અને 2 વર્ષમાં હાંસલ થયા.
• હવે કંપનીનો લક્ષ્ય 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનો છે. આ સાથે લોજિસ્ટિક્સ અને મરીન સર્વિસમાં પણ પાંચ ગણો વધારો કરવાનું આયોજન છે.

સંબોધનના અંતે તેમણે અદાણી ગ્રુપની કાર્યશૈલી વિશે આ પંક્તિઓ કહી હતી કે, "હમને મુન્દ્રા કી લહરોં સે સીખા... કિનારોં પર ઠહરના ક્યા, નિકલ પડે ઉસ રાહ પર... જહાં લક્ષ્ય હૈ આસમાં. રુકના હમારી ફિતરત નહીં... ઉઠના હમારી પહચાન હૈ, એક શિખર કે બાદ - દૂસરે કી તલાશ... યહી અદાણી કી ઉડાન હૈ." 

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે APSEZ, અદાણી ગ્રુપ અને ભારતનો સર્વશ્રેષ્ઠ સમય હજુ આવવાનો બાકી છે.