8th Pay Commission: 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટર જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ(PSGICs), નાબાર્ડ(NABARD) અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)ના કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે પગાર અને પેન્શન વધારાને મંજૂરી આપી દીધી છે. નાણા મંત્રાલયના આ નિર્ણયથી નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓના મનોબળમાં વધારો થશે અને નિવૃત્ત લોકોની સામાજિક સુરક્ષા વધુ મજબૂત બનશે.
કોને કેટલો ફાયદો થશે?
કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક સેક્ટર જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓના(PSGICs) કર્મચારીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત તેમના પગારમાં કરવામાં આવેલો ફેરફાર 1 ઓગસ્ટ, 2022થી અમલી ગણાશે. આ સુધારાના પરિણામે કંપનીઓના કુલ પગાર બિલમાં 12.41%નો વધારો થશે, જેમાં ખાસ કરીને મૂળ પગાર(Basic Pay) અને મોંઘવારી ભથ્થા(DA)માં 14% સુધીનો વધારો સામેલ છે. સરકારના આ કલ્યાણકારી પગલાથી આશરે 43,247 કર્મચારીઓને સીધો આર્થિક ફાયદો થશે, જેનાથી તેમના મનોબળમાં વધારો થવાની સાથે નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે.
2. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)
કેન્દ્ર સરકાર દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)ના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન અને ફેમિલી પેન્શનમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે, જે 1 નવેમ્બર, 2022થી અમલી બનશે. આ ફેરફાર હેઠળ બેઝિક પેન્શન અને મોંઘવારી રાહત પર 10%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે, જેના કારણે નિવૃત્ત કર્મચારીઓના મૂળ પેન્શનમાં 1.43 ગણો વધારો જોવા મળશે. આ નિર્ણયથી કુલ 30,769 લોકોને ફાયદો થશે. આ વધારા પાછળ સરકાર અંદાજે 2,696.82 કરોડ રૂપિયાનો કુલ નાણાકીય ખર્ચ કરશે, જેમાં કર્મચારીઓને બાકી નીકળતા એરિયસ પેટે 2,485.02 કરોડ રૂપિયાની એકીસાથે ચૂકવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: આંધી સાથે હિમવર્ષા : કાશ્મીર અને હિમાચલ પર સફેદ ચાદર પથરાઈ
3. નાબાર્ડ(NABARD)
નાબાર્ડના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સરકારે ખુશીના સમાચાર આપતા પગારમાં 20% સુધીનો મોટો વધારો મંજૂર કર્યો છે, જે 1 નવેમ્બર, 2022થી અમલી ગણાશે. આ નિર્ણય હેઠળ બેન્કના ગ્રુપ 'A', 'B' અને 'C' કેટેગરીના તમામ કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત, પેન્શનર્સ માટે પણ મહત્ત્વનો સુધારો કરતા જણાવાયું છે કે, જે કર્મચારીઓ 1 નવેમ્બર, 2017 પહેલા નિવૃત્ત થયા હતા, તેમના પેન્શનમાં ફેરફાર કરીને હવે તેમને પૂર્વ-RBI નાબાર્ડ નિવૃત્ત કર્મચારીઓની સમકક્ષ લાવવામાં આવ્યા છે. આ પગલાથી વર્તમાન કર્મચારીઓની સાથે હજારો નિવૃત્ત લોકોને પણ મોટો આર્થિક લાભ મળશે.


