વર્તમાન મોસમમાં એપ્રિલ સુધી 4.24 લાખ ટન ખાંડની નિકાસ કરાઈ
- ૯૨૭૫૮ ટન સાથે સોમાલિયા ખાતે સૌથી વધુ નિકાસ
મુંબઈ : ૨૦૨૪-૨૫ની ઓકટોબરથી સપ્ટેમ્બર સુધીની વર્તમાન ખાંડ મોસમમાં ભારતે અત્યારસુધીમાં ૪.૨૪ લાખ ટન ખાંડની નિકાસ પૂરી કરી છે. સાકરની સૌથી વધુ નિકાસ ૯૨૭૫૮ ટન સાથે સોમાલિયા ખાતે થયાનું ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન દ્વારા જણાવાયું હતું.
વર્તમાન ખાંડ મોસમમાં કુલ ૧૦ લાખ ટન ખાંડ નિકાસની છૂટ આપવામાં આવી છે. ૩૦મી એપ્રિલ સુધીમાં મિલોએ કુલ ૪,૨૪,૦૮૯ ટન ખાંડની નિકાસ કરી હોવાનું એસોસિએશને એક યાદીમાં જણાવ્યું હતું.
સોમાલિયા ઉપરાંત ૬૬૯૨૭ ટન ખાંડ અફઘાનિસ્તાન ખાતે રવાના કરાઈ છે. આ ઉપરાંત શ્રીલંકા પણ ભારતની ખાંડનો મોટો આયાતકાર દેશ છે.
હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા વર્તમાન મોસમમાં દસ લાખ ટનની પરવાનગી છતા ભારતમાંથી આઠ લાખ ટન ખાંડ નિકાસ શકય બનશે એમ યાદીમાં વધુમાં જણાવાયું હતું.