Get The App

નવી વિદેશ વેપાર નીતિનો ઇંતેજાર, નિકાસકારોની અપેક્ષા સંતોષાશે ખરી?

Updated: Sep 12th, 2021

GS TEAM

Google News
Google News
નવી વિદેશ વેપાર નીતિનો ઇંતેજાર, નિકાસકારોની અપેક્ષા સંતોષાશે ખરી? 1 - image


- હાલના અનિશ્ચિતતાના માહોલ વચ્ચે નિકાસકારોને નવી એફટીપીમાં વૈશ્વિક વેપાર અને સેવાઓની નિકાસમાં ભારતની સ્થિતિ સુધારવા પગલાં લેવાય તેવી અપેક્ષા

- હાલની વિદેશ વેપાર નીતિની મુદ્દત ૩૦ સપ્ટેમ્બર સમાપ્ત થશે, તેની પહેલા નવી એફટીપીની ઘોષણા થવાની શક્યતા

ન વી વિદેશ વેપાર નીતિ ૨૦૨૧-૨૬ની ઘોષણાની ઉદ્યોગજગત અને નિકાસકારો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૬ની માટે નવી વિદેશ વેપાર નીતિ તૈયાર કરવામાં આવી છે જે કોરોના મહામારીથી અસ્તવ્યસ્ત થયેલી નિકાસને ફરી સુવ્યવસ્થિત અને વેગવંતી બનાવવા સક્ષમ હશે કે નહીં તેની ઉપર સૌની નજર છે. ભૂતકાળમાં સરકાર દ્વારા ઘડવામાં આવેલી વિદેશી વેપાર નીતિઓ (ફોરેન ટ્રેડ પોલિસી / એફટીપી)માં કેટલીક નિકાસ પ્રોત્સાહનો અને નિકાસ પ્રમોશન યોજનાઓ સહિત વિવિધ યોજનાઓ સામેલ હતી. 

આથી એક બાબત નક્કી છે કે આગામી એફટીપીમાં પણ આવી યોજનાઓ હશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકારે વિદેશ વેપાર નીતિ ૨૦૧૬-૨૦ની મુદ્દત છ મહિના વધારી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી લંબાવી દીધી હતી જે ચાલુ સમાપ્ત થઈ જશે. એફટીપીમાં આર્થિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી સ્થાનિક ઉત્પાદન અને નિકાસ વધારવા માટે સરકારી રણનીતિઓ અને પગલાંઓની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે.

એફટીપી ૨૦૨૧-૨૬ની સાથે, તેના સૌથી અપેક્ષિત અને અનુમાનિત પાસાંઓ પૈકીની એક એફટીપી ૨૦૧૫-૨૦માં સામેલ કેટલીક યોજનાઓની માવજત (જેમાં ચાલુ રાખવી, તબક્કાવાર અથવા અચાનક બંધ કરવી / લાગુ કરવી હોઈ શકે છે), શક્ય તેટલી નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.

 કેન્દ્ર સરકારે પહેલેથી જ પર્યાપ્ત અને સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ્સ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ (MEIS)ને નવી વિદેશ વેપાર નીતિમાં સ્થાન મળશે નહીં.

નિકાસ ઉદ્યોગજગત RoDTEP સ્કીમના અમલીકરણની રાહ જોઇ રહ્યુ છે જેથી તેની અનિશ્ચિતતા હંમેશા માટે દૂર થઇ જાય. MEISની સરખામણીમાં, RoDTEP ઘણા વધારે પ્રોડક્ટોને આવરી લે છે. ઉપરાંત, RoDTEP યોજના હેઠળનો લાભ હાલમાં નિકાસલક્ષી એકમો અને સેઝ એકમો સુધી વિસ્તૃત કરાયો નથી. RoDTEP યોજના સંબંધિત બીજી મોટી ચિંતા એ છે કે, આ સ્કીમ હેઠળ સૂચિત દરો MEISના દરો કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. જો કે, એવી ઘણી પ્રોડક્ટો છે કે, જેમણે તેમના MEIS રેટના ૯૦%ની હદ સુધી ઘટાડો સહન કર્યો છે, ઉદાહરણ તરીકે, જ્યાં MEIS રેટ ૫% હતો, ત્યાં RoDTEP રેટ ૦.૫% નક્કી કરાયો છે.

RoDTEP દરોની અનુપલબ્ધતા (અને MEIS રદ થવાના) ને કારણે મોટી સંખ્યામાં નિકાસકારો તેમના નિકાસ ઉત્પાદનોની કિંમતનું યોગ્ય રીતે આંકલન કરી શક્યા નથી અને તેમાંના મોટાભાગના નિકાસકારોએ MEIS નિયમ હેઠળ અપનાવેલા ખર્ચને યથાવત રાખ્યો છે. હકીકતમાં, ઘણા નિકાસકારોએ MEIS દર સાથે તુલનાત્મક દરની અપેક્ષા રાખી છે અને તે મુજબ ખર્ચ કર્યો છે.

જોકે, કેન્દ્ર સરકાર MEISને લગતા ડબ્લ્યુટીઓના ચુકાદાના પરિપ્રેક્ષ્યમાં તેની અસરોની તપાસ કર્યા વિના ઉતાવળે આવી કોઈ કાર્યવાહી કરશે નહી, ખાસ કરીને જ્યારે વિવિધ સ્થળોથી એવા અહેવાલો આવવા લાગ્યા છે કે RoDTEP ને પણ ઉ્ર્ંમાં પડકારવામાં આવી શકે છે. 

પ્રવર્તમાન અનિશ્ચિતતાના માહોલ વચ્ચે નિકાસકારોને નવી એફટીપીમાં વૈશ્વિક વેપાર અને સેવાઓની નિકાસમાં ભારતની સ્થિતિ સુધારવા અને જૂની વિદેશ વેપાર નીતિ ૨૦૧૫-૨૦૨૦ની ખામીઓને દૂર કે સુધારો કરવાના પગલાંઓ સામેલ કરાય તેવી અપેક્ષા છે.

નવી વિદેશ વેપાર નીતિમાં નિકાસકારોની અપેક્ષા:- 

ધિરાણની સરળ ઉપલબ્ધતા:-  નિકાસકારો ખાસ કરીને એમએસએમઇ લાંબા સમયથી સરળ ક્રેડિટ એક્સેસની માંગ કરી રહ્યા છે. કોલેટરલના અભાવે ઘણા એમએસએમઇને બેન્કો ધિરાણ આપતા ખચકાય છે. નવી એફટીએમાં સરળતાપૂર્વક ધિરાણ મેળવવાનો માર્ગ ખુલવાની અપેક્ષા છે, જેમ કે - ફાઇનાન્સ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ. સલાહકાર સમિતિએ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બોરોઇંગ લિમિટ વધારવા સૂચન કર્યુ છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ:- ચીન પ્રોડક્શન અને નિકાસનું પાવરહાઉસ હોવાનું એક કારણ - તેના બંદરો, હાઇવે અને હાઇસ્પીડ ટ્રેનોનું નેટવર્ક છે જે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે. ભારતે તેના પડોશી દેશ પાસેથી શીખવાની અને હાલના બંદરો, વેરહાઉસ, ગુણવત્તા પરીક્ષણ અને સર્ટિફિકેટ સેન્ટરોને અપગ્રેડ કરીને અને નવા નિર્માણ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાની જરૂર છે. ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સેક્ટર - જે નિકાસ પ્રોત્સાહન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની યોજના છે, તેને ત્રણ વર્ષ માટે ૨૦૧૭માં શરૂ કરાઇ હતી. ઉદ્યોગોને તેની મુદ્દત વધવાની આશા છે.

ઓછી સબસિડી, વધુ મદદ:-  વર્ષ ૨૦૨૦માં વાણિજ્ય મંત્રીએ કહ્યું હતુ કે ગુણવત્તા, ટેકનોલોજી અને ઉત્પાદનનું માપદંડ ભારતની વૈશ્વિક મહત્વાકાંક્ષાઓનો જવાબ છે, સબસિડી નહીં. ઘણા લોકો સહમત છે કે, સબસિડીના બદલે કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને ટેકનોલોજીકલ અપગ્રેડેશનના રૂપમાં સરકારી સહાય તેમને વધુ સ્પર્ધાત્મક બનવામાં મદદ કરશે. ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેકનોલોજી અને મેડિકલ ઉપકરણો એવા કેટલાક ક્ષેત્રો છે જે અપસ્કીલિંગ કરી શકે છે. તેવી જ રીતે, વેપાર નીતિમાં સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રોત્સાહનો સામેલ હોઈ શકે છે. જેમ કે, ટેક્નોલોજીના મોરચે ટેક્સટાઇલ સેક્ટર માટે શરૂ કરાયેલી એમેન્ડેડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમનો અમલ અન્ય ઉદ્યોગો માટે કરી શકાય છે. 

કરવેરામાં રાહત:- જો ભારત સબસિડી દૂર કરવાનું હોય તો, નિકાસકારોને હજુ પણ અમુક પ્રકારની સરકારી સહાયની જરૂર પડશે. સરળ અને ઓછો ટેક્સ આ તફાવતને દૂર કરવાનો એક માર્ગ છે. કોર્પોરેટ ટેક્સના દરમાં ઘટાડો અને ડયુટી સ્ટ્રક્ચર્સને સરળ બનાવવાની લાંબા સમયથી માંગ છે. સીઆઇઆઇ એ આયાત જકાતનું માળખું સરળ બનાવવાનું સૂચન કર્યું છે. ઇપીસીજી અને ડયુટી ડ્રોબેક સ્કીમ જેવી હાલની યોજનાઓમાં સુધારાની માંગ પણ થઇ છે. આ ઉપરાંત ડિજિટલાઇઝેશન, નિકાસ મોરચે જાગૃતિ તથા વિશલિસ્ટ જેવા અન્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.

Tags :