અલનીનોની ચિંતા છતાં અનાજનો પૂરતો સ્ટોક

- ચોખાનો સ્ટોક રેકોર્ડ સપાટીએ : યુધ્ધની અસર નિકાસ બજાર પર
દેશમાં ઘઉં- ચોખા તથા વિવિધ અનાજની બજારોમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. આ વર્ષે ઉનાળામાં ગરમી તથા તાપમાન નોંધપાત્ર ઉંચી રહ્યા પછી હવે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદ અપેક્ષાથી ઓછો રહેતાં તથા અલનીનોની અસર ચોમાસા પર દેખાશે એવી ભીતી બતાવાતી થતાં અનાજ બજારમાં અજંપો પણ વધ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, દેશમાં અનાજનો સ્ટોક રેકોર્ડ હોતાં ચોમાસાની છત- અછત છતાં ચિંતાનું કારણ જણાતું નથી એવું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. ચોખાનો સ્ટોક રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે તથા ઘઉંનો સ્ટોક વધી પાંચ વર્ષની ટોચે પહોંચ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. સરકારી ગોદામોમાં ચોખાનો સ્ટોક ૧૫ ટકા વધી જૂનના આરંભમાં રેકોર્ડ સપાટીને આંબી ગયાના વાવડ મળ્યા હતા. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ઘઉં ચોખાની ખેડૂતો પાસેથી સરકારી ખરીદી આ વર્ષે નોંધપાત્ર વધી છે.
સરકાર પાસે ચોખાનો સ્ટોક વધી તાજેતરમાં ૬૮૪થી ૬૮૫ લાખ ટનની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો છે. આ સ્ટોકમાં મિલીંગ નહિં કરવામાં આવ્યા હોય એવા ડાંગરના સ્ટોકનો પણ સમાવેશ રહ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. હકીકતમાં ચોખાનો સ્ટોકનો સરકારનો ટારગેટ ૧૩૫ લાખ ટનનો રહ્યો છે એ જોતાં હકીકતમાં સરકારી ખરીદી આ ટારગેટ કરતા નોંધપાત્ર ઉંચી રહી હોવાનું બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ઘઉંનો સ્ટોક વધી ૫૩૪થી ૫૩૫ લાખ ટને પહોંચ્યો છે. આની સામે સરકારનો ટારગેટ ૨૭૬ લાખ ટનનો રહ્યો છે. સરકાર પાસે ઘઉંનો આવો જંગી સ્ટોક છેલ્લે ૨૦૨૧માં જોવા મળ્યો હતો. આવા માહોલમાં અનાજના પુરવઠાની બાબતમાં સરકારી તંત્રમાં સંતોષ જોવા મળ્યો છે. ભારતમાંથી ચોખાની નિકાસ શિપમેન્ટો પણ જળવાઈ રહેવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક કુલ વેપારમાં ભારતનોહિસ્સો આશરે ૪૦ ટકાનો રહ્યો છે તથા ભારત સરકારે ચોખાની નિકાસ પરના બધા અંકુશો ૨૦૨૫માં માર્ચ મહિનામાં દૂર કર્યા હતા. દરમિયાન, ઘઉંમાં સરકારી ખરીદી આશરે ૩૫૦ લાખ ટનની નોંંધાઈ છે. આના પગલે હવે જરૂર પડશે તો સરકારી ઘઉંમાં ઓપન માર્કેટ સેલ શરૂ કરી ખુલ્લા બજારમાં ઘઉંનો પુરવઠો જાળવી રાખી શકશે એવો અંદાજ અનાજ બજારમાં બતાવાઈ રહ્યો હતો.
ભારતમાં ઘઉં તથા ચોખાનું ઉત્પાદન ૨૦૨૫- ૨૬ના પાક વર્ષમાં રેકોર્ડ વધ્યું છે. ઘઉંનું ઉત્પાદન વધી ૧૨૦૬થી ૧૨૦૭ લાખ ટન તથા ચોખાનું ઉત્પાદન વધી ૧૫૪૦થી ૧૫૪૧ લાખ ટન થયાનું જાણકારોએ જણાવ્યું હતું. જોકે હવે આ વર્ષે ખરીફ મોસમમાં અલનીનોની અસર ચોખા તથા મકાનના પાક પર દેખાવાની ભીતી પણ બજારનો અમુક વર્ગ બ તાવી રહ્યો હતો. દરમિયાન, ઈરાન તથા અમેરિકા હવે ઈઝરાયલના યુધ્ધના પગલે ભારતથી ચોખાની નિકાસનો તાજેતરમાં પ્રતિકૂળ અસર પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સામાન્ય સંજોગોમાં ભારત ખાતેથી બાસમતી ચોખાની નિકાસ વેસ્ટ એશિયાના દેશોમાં વિશેષ થાય છે પરંતુ આ વર્ષે યુધ્ધના પગલે આવી નિકાસ બેકફૂટ પર દેખાઈ હતી. બાસમતીની નિકાસમાં યુધ્ધના કારણે આશરે ૨૦થી ૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઈરાક, ઈરાન, કતાર અને સાઉદી અરેબીયા તરફ ભારતના બાસમતી ચોખાની નિકાસને ફટકો પડયો છે. માર્ચમાં આવી નિકાસમાં ૨૭થી ૨૮ ટકાની પીછેહટ નોંધાયા પછી એપ્રિલમાં આ આંકડો ૨૦થી ૨૧ ટકાન પીછેહટ દર્શાવી રહ્યો હતો.માર્ચ તથા એપ્રિલમાં આવી નિકાસ ગયા વર્ષે ૧૧૦થી ૧૧૧ કરોડ ડોલર થઈ હતી તે આ વર્ષે ઘટી ૮૩થી ૮૪ કરોડ ડોલરની થયાનું નિકાસકારોએ જણાવ્યું હતું.









