- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- હાલના પરિપ્રેક્ષ્યમાં સીમતળના વાડા મંજૂર કરવાનો પ્રતિબંધ જરૂરી
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં ગામતળ અને સીમતળના વાડાઓ અંગે અગાઉના 'વાડા સંહિતા ૧૯૬૮'ના નિયમોમાં ફેરફાર કરતો નિર્ણય જાહેર કર્યો છે. આ 'વાડાઓ' અંગે કદાચ શહેરી વિસ્તારમાં રહેતા નાગરિકોને અથવા ગ્રામ્ય વિસ્તારમાં ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ ન હોય તેઓને આ અંગે ખ્યાલ ન હોય એ સ્વાભાવિક છે. વધુમાં જમીન મહેસૂલ વહીવટના ભાગરૂપે સર્વે અને સેટલમેન્ટ કરવામાં આવ્યું ત્યારે ગામતળ, સરકારી ખરાબો, સ્મશાન વિગેરે જેવી બાબતો વિદ્યમાન હતી તે સબંધિત ગામના મહેસૂલી નકશામાં પણ દર્શાવવામાં આવી છે અને ગામનો કાયમી ખરડો, રકબો છે તેમાં પણ આ બાબતો દર્શાવવામાં આવી છે, પરંતુ વાડા તરીકે ઉપયોગ થતી જગ્યા / જમીનનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી એટલે મહેસૂલ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વાડા તરીકે ઉપયોગ થતી જમીન / જગ્યાના નિયમન માટે 'વાડા સંહિતા-૧૯૬૮' ઘડવામાં આવી અને આ વાડાના નિયમોમાં 'વાડો' એટલે કે ગામતળમાં અને સીમતળમાં આવેલ વાડાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું અને પાયાના તત્વ તરીકે ગામતળનો વાડો એટલે કે 'ખેડુતના ઘરની આગળ-પાછળ અને બાજુમાં જે ઢોર ઢાંખર રાખવાની જગ્યા તેમજ ઘાસ રાખવાની જગ્યાનો ઉપયોગ કરવામાં આવતો હોય તેને ગામતળનો વાડા' તરીકે ઓળખવામાં આવે, જ્યારે સીમતળનો વાડો એટલે કે ગામતળની દૂર સરકારી જમીનોમાં ખેડૂતોની સર્વે નંબરની જગ્યા સિવાયના ભાગમાં પાકની લલણીની સીઝનમાં (Harvesting) ખડા તરીકે થતો ઉપયોગ અથવા ઢોરઢાંખર બાંધવા તેમજ ઘાસ રાખવાની જગ્યાને સીમતળના વાડા તરીકે ઓળખવામાં આવે છે. આમ આ બંને પ્રકારના તત્વો ધરાવતી જગ્યા / જમીનને ગામતળ અને સીમતળના વાડા તરીકે ઓળખવામાં આવે છે.
જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૩૭ મુજબ કબજેદારની સર્વે નંબર / ખાનગી જમીન સિવાયની તમામ જમીન રાજ્ય સરકારની છે એટલે આવા પ્રકારના વાડાઓ પણ સરકારી જમીન તરીકે ગણાય, પરંતુ જેમ ઉપર જણાવ્યું તેમ ગ્રામ્ય વિસ્તારમાં ખેતી સાથે સંકળાયેલ સમૂહને ગામતળમાં પોતાના રહેવાના ઘરની આજુબાજુ જે જગ્યા વાડા તરીકે લાંબા સમયથી ઉપયોગ થતો એટલે રાજ્ય સરકારે વાડાની જમીનોને નિયમન કરવાના ભાગરૂપે આવા કબજા ભોગવટાની જમીન આપવા માટે ૧૯૬૮માં નિયમો ઘડવામાં આવ્યા અને આ અંતર્ગત - ગામના તલાટી / સરપંચે ગામનું વાડા રજીસ્ટર બનાવવાનું હતું અને તે મુજબ વાડાની જમીન કબજાહક્ક તરીકે ગ્રાહ્ય રાખવામાં આવી અને આ વાડા રજીસ્ટર બનાવતી વખતે એવું બન્યું કે સંખ્યાબંધ જગ્યાઓ વાડા તરીકે ઉપયોગ થતો હોવા છતાં નોંધણી કરવાની રહી ગઈ હોવાથી રાજ્ય સરકારે પ્રત્યક્ષ ખાત્રી કરી વાડા રજીસ્ટરે ચઢાવી મંજૂર કરવા સૂચનાઓ આપી, પરંતુ સીમતળના વાડાઓમાં અમુક જિલ્લાઓમાં ખાસ કરીને કચ્છ જિલ્લા વિગેરેમાં સરકારની મોટી જમીનો વાડા તરીકે ઉપયોગ થતો ન હોવા છતાં સીમતળના વાડાઓ મંજૂર કરવામાં આવ્યા જેથી રાજ્ય સરકારે ૧૯૯૨ની આસપાસ ગામતળના વાડા અને સીમતળના વાડાઓ મંજૂર કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ઘણી જગ્યાએ એવું પણ બને કે શહેરોની હદ વધતાં જે મૂળ મહેસૂલી ગામો હતા તેની વાડાની જગ્યાઓ તરીકે ઘણી સરકારી જમીનો આ રીતે નામે કરવાના કિસ્સા ધ્યાને આવેલ. પરંતુ આ પ્રક્રિયામાં વગ ધરાવતા ઈસમોએ જે તે વખતે પણ સ્થાનિક તંત્ર (ગ્રામ્ય કક્ષાએ) સાથે મળીને વાડાઓ મંજૂર કરાવ્યા, પણ ઘણા ધારકો (Genuine Holder) રહી જવા પામેલ, એટલે રાજ્ય સરકારે અવાર નવાર સુધારા કરી મામલતદારને સ્થળ ખરાઈ કરી વાડાનું તત્વ મોજુદ હોઈ લાંબા ગાળાનો કબજો હોય તો કબજાહક્કની રકમ વસુલ લઈને વાડા મંજૂર કરવાની મુદ્દત લંબાવવામાં આવેલ અને આ અંગે નિયત નમૂનાની અરજી મામલતદારને કરવા માટે પણ નિયત કરવામાં આવેલ હતી.
રાજ્ય સરકારે ગામતળના વાડાઓ વચગાળામાં મંજૂર કરવાનો, સમયગાળો મુદ્દત લંબાવવામાં આવેલ, પરંતુ સીમતળના વાડાઓ મંજૂર કરવા પ્રતિબંધ હતો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વાડાની જગ્યાઓ, ચવ રાવળા, ઉધડ તરીકે ઓળખાતી અને આવી જગ્યાઓ આપવા માટે અલગ રીતે ઠરાવ કરીને જોગવાઈ કરવામાં આવેલ.
રાજ્ય સરકારે તાજેતરમાં સીમતળના વાડા અને ગામતળના વાડાઓ મંજૂર કરવાની જોગવાઈ અંગે જાહેરાત કરી છે અને જેમાં સીમતળના વાડાઓનો પણ સમાવેશ થાય છે. હવે મૂળ વાડા સંહિતાની જોગવાઈઓમાં સીમતળના વાડાઓનું તત્વ હતું તે હાલ મોટાભાગની જગ્યાએ મોઝુદ નથી એટલે કે હાલ ગામના સીમતળના વિસ્તારમાં ખડા (Harvesting Space) તરીકેનો ઉપયોગ બંધ થયો છે અને મોટા ભાગે હવે ટેક્નોલોજીના માધ્યમથી મિકેનીકલ હાર્વેસ્ટર, ટ્રેક્ટર વિગેરેના ઉપયોગના કારણે ખેતરમાં જ પાકની લલણી થતાં ખડાનો ઉપયોગ રહ્યો નથી એટલે જેમ સીમતળના વાડાઓ મંજૂર કરવામાં મોટા ક્ષેત્રફળવાળી જગ્યા આંતરીને દબાણ કરીને ખેતી થતી હોઈ તેવું બની શકે છે. આ ઉપરાંત સીમતળના વાડાના નામે દબાણ કરવાના આશયથી પશુઓના ઢોરવાડા તરીકે કે તબેલા રાખવા માટે ઉપયોગ થતો હોય અને નિયમબધ્ધ કરવાનો આશય પણ હોઈ શકે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં માલધારી પુનઃવસન યોજના હતી અને આ હેઠળ માલધારીઓના પશુઓને રાખવા માટે ઢોરવાડાનો વાડો તરીકે મંજૂર કરવામાં આવતો, પરંતુ તેમાં પણ ગેરરીતી થતાં ૧૯૫૬થી પુનઃવસન યોજના પણ બંધ કરવામાં આવેલ છે.
જેથી ઉપર્યુક્ત જણાવેલ સ્થિતિ મુજબ હાલના પરિપ્રેક્ષ્યમાં સીમતળના વાડાઓ મંજૂર કરવામાં જો મૂળ સીમતળના વાડા મુજબનું તત્વ (Characteristics) જળવાતું ન હોય તો તેનો અર્થ નથી, વધુમાં શહેરો અને શહેરી વિસ્તારના સત્તા મંડળ વિસ્તારોમાં આવેલ જગ્યામાં વાડાઓ મંજૂર કરવાનો જે પ્રતિબંધ છે તેમાં શહેરી વિસ્તાર સત્તા મંડળનો વિસ્તાર મોટા ભાગે શહેરની નજીક આવેલ ગામડાઓમાં પણ સમાવેશ થાય છે, પરંતુ આ સત્તા મંડળના દૂરના ગામોમાં પણ આ પ્રતિબંધ છે તે યોગ્ય નથી. ખરેખર તો જેમ શહેરની હદથી પાંચ કિલોમીટર સુધીનો Agglomeration Area વિસ્તાર તરીકે ઓળખવામાં આવે તેમજ શહેરી જમીન ટોચ મર્યાદા કાયદામાં શહેરની હદથી પાંચ કિલોમીટર સુધી લાગુ પડતો તે મુજબ જોગવાઈ કરવી જરૂરી છે. જેથી સાચા ગામતળના વાડા ધારકોને તેમને કબજાહક્ક મળી શકે.


