રિઝર્વ બેંકે બધી બેંકોને જન ધન ખાતાઓને ફરીથી KYC કરવા સૂચના આપી છે. આ માટે, બેંકોને ગામડે ગામડે જઈને ખાસ કેમ્પનું આયોજન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત રહેશે. આ પગલાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ખાતાધારકોની માહિતી અપડેટ રહે અને તેમના ખાતા છેતરપિંડીથી સુરક્ષિત રહે. જન ધન યોજના ૨૦૧૪માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લગભગ ૫૬ કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના ઝીરો બેલેન્સ ખાતા હતા. આ ખાતાઓ દ્વારા લોકોને સરકારી યોજનાઓનો લાભ સીધા તેમના ખાતામાં જ મળ્યો હતો. પરંતુ સમય જતાં, આ ખાતાઓની માહિતી જૂની થઈ ગઈ છે. ઘણા ખાતાધારકોના સરનામું, મોબાઇલ નંબર અને અન્ય વિગતો બદલાઈ ગયા છે, જેના કારણે બેંકોને ખાતરી કરવાની જરૂર છે કે ખાતું તે જ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેના નામે તે ખોલવામાં આવ્યું હતું. જો ખાતાધારકો સમયસર તેમના KYC અપડેટ નહીં કરે, તો તેમના ખાતા ફ્રીઝ થઈ શકે છે.

NFOમાં રોકાણ પહેલી વાર રૂ.૩૦,૦૦૦ કરોડને પાર
નવી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણકારોનો રસ નોંધપાત્ર રીતે વધ્યો છે. એમ્ફીના ડેટા અનુસાર, જુલાઈમાં કુલ ૩૦ નવા ફંડ ઑફર્સ (એનએફઓ) લોન્ચ કરવામાં આવ્યા હતા. ફંડ હાઉસોએ આ એનએફઓ દ્વારા રેકોર્ડ રૂ. ૩૦,૪૧૬ કરોડ એકત્ર કર્યા હતા. જૂનમાં નવા ફંડ ઑફર્સ દ્વારા રૂ.૧,૯૮૬ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. માસિક ધોરણે, એનએફઓ દ્વારા ભંડોળ એકત્ર કરવામાં ૧,૪૩૨% નો આશ્ચર્યજનક વધારો થયો છે. ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે આ અત્યાર સુધીની સૌથી મોટી માસિક ભંડોળ એકત્ર કરવાની સિદ્ધિ છે. જુલાઈમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ.૪૨,૬૭૨ કરોડના રેકોર્ડ પ્રવાહનું આ એક મહત્વપૂર્ણ કારણ પણ હતું. ક્ષેત્રીય અને થીમેટિક ફંડ્સ ખાસ કરીને લોકપ્રિય હતા. આ શ્રેણીમાં જ સાત નવી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, અને રૂ.૭,૪૦૪ કરોડ એકત્ર કર્યા હતા.


