બંધારણ હેઠળ અપાયેલી સત્તા મોટી કે બંધારણ?
Updated: Jan 22nd, 2023
- બંધારણના પાર્ટ 3 પ્રમાણેના મૂળભૂત હક્કોને સંસદ દ્વારા નાબુદ અથવા ઘટાડી શકાતા નથી
- બંધારણમાં ફેરબદલ કરવાની છૂપી યોજના આકાર પામી રહી હોવાની ગંધ આવવાનું શરૂ થયું છે
ભૂતકાળમાંથી બોધપાઠ નહીં મેળવનારાઓની તેની પુનરાવર્તન કરવા બદલ નિંદા થાય છે એમ વિશ્વના કેટલાક મહાનુભવો એક અથવા બીજા શબ્દોમાં કહી ગયા છે. કાર્લ માર્કસે તો આનાથી આગળ જઈને કહ્યું હતું કે, ઈતિહાસનું પુનરાવર્તન થાય છે, પહેલા દૂર્ઘટના તરીકે અને પછી ફારસ તરીકે.
તાજેતરના સપ્તાહોમાં ત્રણ બંધારણિય નિષ્ણાતો ચર્ચાના કેન્દ્રમાં હતા. રાજ્યસભાના ચેરમેન અને ભારતના ઉપ-રાષ્ટ્રપતિ શ્રી. જગદીપ ધાનખર ( જન્મ ૧૯૫૧માં ) , લોકસભાના સ્પીકર શ્રી. ઓમ બિરલા (જન્મ ૧૯૬૨) તથા કાયદો અને ન્યાય વિભાગના પ્રધાન શ્રી. કિરણ રિજ્જુ (જન્મ ૧૯૭૧). શ્રી. ધાનખરે ૧૯૭૫થી ૧૯૭૭ની કટોકટીના દિવસોનો અનુભવ કર્યો હશે. શ્રી. બિરલાએ તેના વિશે સાંભળ્યું અને વાંચ્યુ હશે અને શ્રી. રિજ્જુએ તેના ઈતિહાસનો અભ્યાસ કર્યો હશે.
૧૯૬૭માં, ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યના એક પ્રોપર્ટી વિવાદના કેસમાં સુપ્રીમ કોર્ટે ૬ઃ૫ના પ્રમાણમાં ચુકાદો આપ્યો હતો કે ભારતના બંધારણના પાર્ટ ૩ પ્રમાણેના મૂળભૂત હક્કોને સંસદ દ્વારા નાબુદ અથવા ઘટાડી શકાતા નથી. અહીં મુખ્ય મુદ્દો મિલકત હતી અને નહીં કે સ્વતંત્રતાને લગતો. માટે આ ચર્ચા વૈચારિક બની હતી.
સુધારી ન શકાય તેવી વિશિષ્ટતાઓ
કેશવાનંદ વિરુદ્ધ કેરળ સરકાર (૧૯૭૩)ના કેસના ચુકાદામાં એવું કશું નહોતું જેનાથી ભય ઊભો થયો હોય. આ કેસમાં પણ મુખ્ય મુદ્દો મિલકતને લગતો હતો. કોર્ટે કેરળ જમીન સુધારા કાયદાને માન્ય રાખ્યો હતો અને અરજદારે કેસ ગુમાવવો પડયો હતો. બંધારણના મૂળભૂત પાયાને બચાવવાની, મૂળભૂત હક્કો સહિત બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તાને પણ કોર્ટે માન્ય રાખી હતી. મૂળભૂત પાયા બાબત કોર્ટે જે નિરીક્ષણ કર્યું હતું તેમાં વિવાદને સ્થાન નહોતું.
ફેડરલિઝમ (સંઘવાદ), બિનસાંપ્રદાયિકતા અને સ્વતંત્ર ન્યાયતંત્ર બંધારણના વિવિષ્ટ પાયા છે, તેવા નિષ્કર્ષમાં ભૂલ છે તેવું કોણ શોધી શકે? આ ચર્ચા ચાલુ હતી, પરંતુ ગોલકનાથ દ્વારા જે વિવાદ ઊભો કરાયો હતો તેના કરતા ચર્ચા ઓછી વૈચારિક હતી.
૨૫ જુન ૧૯૭૫ના કટોકટી જાહેર કરવા પાછળનું કારણ, બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા સાથે સંબંધ નહીં ધરાવતી એક ઘટના હતું. આ ઘટના એટલે ઈલેકશન ટ્રીબ્યુનલ દ્વારા વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરવાનો નિર્ણય. નાની પાલખીવાલાએ ઈન્દિરા ગાંધી વતિ આ ચુકાદો સ્વીકાર્યો હતો અને મને ખાતરી છે, કે, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને તેઓ ચુકાદાને ફેરવી તોળવામાં સફળ રહ્યા હોત. જો કે બંધારણમાં સુધારા જેવા વધુ પડતાં આક્રમક પગલાં લેવાયા હતા જેને કારણે કદાચ ભારત સરમુખત્યાર અને દમનકારી દેશ બની ગયો હોત.
એક ન્યાયતંત્ર હતું જે રક્ષક હતું. એડીએમ જબલપુર કેસ સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં ચર્ચામાં રહ્યો હતો. બંધારણમાં અપાયેલી સ્વતંત્રતા પર તરાપ સામે એક માત્ર ન્યાયમૂર્તિ એચ. આર. ખન્ના ઊભા રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરવાનું વડી અદાલતોના કેટલાક જજોએ નકારી કાઢયું હતું અને વ્યક્તિગત સ્વતંત્રતાને માન્ય રાખી હતી.
બે મુદ્દાઓની ભેળસેળ
હું માનું છું કે, શ્રી. ધાનખર, શ્રી. બિરલા તથા શ્રી. રિજ્જુએ ૧૯૬૭થી ૧૯૭૭ સુધીના ઈતિહાસનું વાંચન કર્યું હશે. શ્રી. ધાનખર બે અલગ મુદ્દાઓની ભેળસેળ કરી રહ્યા છે. બંધારણની દરેકે દરેક અને કોઈપણ જોગવાઈમાં સંસદ સુધારો કરી શકે કે કેમ અને તે ન્યાયતંત્રની સમીક્ષાના પરિઘની બહાર છે કે કેમ તે એક મુદ્દો છે અને ૯૯માં બંધારણિય સુધારા અને નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટસ કમિશન એકટને રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સાચો હતો કે કેમ તે અલગ મુદ્દો છે. કેશવાનંદ ભારતી માટે સાચો નિર્ણય લેવાયો હતો તેવો પણ કોઈ મત બાંધી શકે છે અને એનજેએસી કેસ પર ખોટો નિર્ણય લેવાયો હતો તેવો પણ મત કોઈ બાંધી શકે છે. અનેક કાનૂની નિષ્ણાતો આવા મતો ધરાવે છે.
શ્રી. ધાનખર દ્વારા ઊભા કરાયેલા મુદ્દાથી અનેક પ્રશ્નોએ જન્મ લીધો છે જે ભારતની એક ફેડરલ, લોકશાહી પ્રજાસત્તાક તરીકેની વિચારધારા માટે મહત્વના છે. કોલેજિયમ સિસ્ટમ જેને શ્રી. રિજ્જુ નાબુદ કરવા ઈચ્છી રહ્યા છે તેમાં સરકાર માટે બેઠકની માગણી કરીને આ ચર્ચાને તેમણે વધુ પેચીદી બનાવી દીધી છે. બંધારણમાં ફેરબદલ કરવાની છૂપી યોજના આકાર પામી રહી હોવાની ગંધ આવવાનું શરૂ થયું છે.
સંસદની સર્વોપરિતા
ધારો કે આપણે બંધારણ કરતા સંસદ સર્વોપરિ હોવાનું માનીએ તો, મારા કેટલાક પ્રશ્નો છેઃ
- એક રાજ્યના ટૂકડા કરીને અનેક કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવા સાથે તમે સહમત થશો ખરા? (જેમ કે જમ્મુ અને કાશમીર)
- વાણી સ્વતંત્રતા, દેશના કોઈપણ ભાગમાં રહેવાની છૂટ તથા કોઈપણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા નાબુદ થવી જોઈએ તે વાત સાથે તમે સહમત થશો ખરા?
- મહિલા તથા પુરુષને અસમાન ગણે તેવા કાયદાને તમે મંજુરી આપશો ખરા?
-લિસ્ટ ૨ (રાજ્યની યાદી) સાતમા પરિશિષ્ઠમાંથી દૂર થાય અને દરેક ધારાકીય સત્તાઓ માત્ર સંસદને જ મળે તેવું તમે ઇચ્છો છો?
-દરેક ભારતીયો માટે એક ચોક્કસ ભાષા શીખવાનું ફરજિયાત બનાવાય તેવું તમે ઈચ્છશો?
-કોઈ આરોપી જ્યાંસુધી કસુરવાર ન ઠરે તે પહેલા જ તેને ગૂનેગાર ગણી લેવા તમે સહમત થશો ખરા?
આજે, સંસદ આવા કાનૂનો બનાવી શકતી નથી. તેની માટે ન્યાયતંત્રની સમીક્ષા જરૂરી છે. આનાથી વિપરીત સંસદીય સર્વોપરિતા અને ન્યાયતંત્રની સહનશીલતાના સિદ્ધાંત હેઠળ આવા કાયદાઓની અદાલતો દ્વારા સમીક્ષા અથવા રદબાતલ થઈ શકતા નથી.
ચુકાદાના પચાસ વર્ષ બાદ, કેશવાનંદ ભારતીને વિવાદમાં ઘસેડાઈ રહ્યા છે, જેણે ભારતને હલાવી નાખ્યું છે અને પ્રગતિને અવરોધી છે. હું માનું છુ કે એક દેવદૂત છે, જે દેશ, બંધારણ તથા પ્રજાનું રક્ષણ કરે છે.