સારા પ્રશાસનનો અંતિમ માપદંડ લોકોની સુખાકારી
- વધતો ખર્ચ, બેરોજગારી અને સ્થગિત થયેલા સુધારાઃ અર્થતંત્રનું ખરુ ચિત્ર
- નાબાર્ડનો ડાટા દર્શાવે છે કે લગભગ પંચાવન ટકા કૃષિ પરિવારો દેવાના બોજ હેઠળ છે. સરેરાશ પ્રતિ પરિવાર દેવું રૂા. ૯૧,૨૩૧ છે
- મહત્વની સામાજિક સુરક્ષા યોજના - મનરેગા - ને છેલ્લા ત્રણ વર્ષમાં થતી ફાળવણીમાં કોઈ વધારો નથી થયો

આ લેખ ગત અઠવાડિયાની કોલમની સીક્વલ છે. મને આંકડાનો શોખ છે જે ચોક્કસ પણ હોય છે અને તેની ચકાસણી પણ થઈ શકે છે, જો કે અફસોસ છે કે મોટાભાગના વાચકોનું એવુ નથી થઈ શકતું. ઘણા શિક્ષિત લોકો પણ આંકડા રજૂ કરાય ત્યારે દૂર ભાગે છે. મારા મતે શબ્દો કરતા આંકડા જ અર્થતંત્રનું ખરુ ચિત્ર રજૂ કરી શકે છે.
સારા પ્રશાસનનો અંતિમ માપદંડ લોકોની સુખાકારી હોય તો મારો સવાલ છે કે શું લોકો પાસે ખોરાક, આવાસ, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, પારિવારીક મેળાવડા અને મનોરંજન માટે પૂરતા પૈસા છે? (મેં અન્ય ખર્ચ બાકાત રાખ્યા છે કારણ કે બદલાતા સમયમાં તે પ્રસ્તુત ન હોઈ શકે). શ્રેષ્ઠ સત્તાવાર ડાટા હાઉસહોલ્ડ એક્સપેન્ડીચર સરવે (એચસીઈએસ)માં ઉપલબ્ધ છે. મારા મતે સરેરાશ પરિવારના ધોરણ અને જીવનની ગુણવત્તાનું ખરું આંકલન આવક નહિ પણ ખર્ચના આધારે થઈ શકે. ૨૦૨૩-૨૪માં યોજાયેલા છેલ્લા એચસીઈએસમાં સમગ્ર દેશને આવરી લેવાયો હતો અને તેમાં ૨,૬૧,૯૫૩ ઘર (૧,૫,૩૫૭ ગ્રામીણ તેમજ ૧,૦૭,૫૯૬ શહેરી)માંથી માહિતી એકત્ર કરાઈ હતી. યોગાનુયોગે મોદી સરકારે ૨૦૨૩-૨૪માં દસ વર્ષ પૂર્ણ કર્યા છે. એચસીઈએસ ડાટા વિસ્તૃત છે.
ખર્ચઃ ખરો ડાટા
સરેરાશ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (એમપીસીઈ) પરનો ડાટા સર્વેક્ષણનું કેન્દ્ર હોય છે. એક મહિનામાં વ્યક્તિનો વપરાશ તેના જીવન ધોરણ અને ગુણવત્તાનું આંકલન કરી શકે છે, પછી ભલે તે અમીર અથવા મધ્યમ અથવા ગરીબ વર્ગનો હોય. સદ્નસીબે આંકડા જનસંખ્યાના અલગ-અલગ વર્ગોના આધાર પર ઉપલબ્ધ છે જેમાં જનસંખ્યા દસ પ્રતિશતમાં વિભાજિત કરવામાં આવી છે. આ અંગેનો ડેટા લેખ સાથેના કોઠામાં દર્શાવેલ છે.
તેમાં જોવા મળશે કે - ખર્ચ આવક અને ઉધારનું પ્રતિનિધિ છે. તળિયે દસ ટકા વ્યક્તિઓનો ખર્ચ રૂા. ૫૦-૧૦૦ પ્રતિદિન છે. હવે તમે જ વિચારો કે પ્રતિદિન ૫૦-૧૦૦માં વ્યક્તિને કેવો ખોરાક મળી શકે? કેવો આવાસ મળી શકે? કેવી મેડિકલ સેવા અથવા દવા તેને પોષાય?
- વસતીનો દસ ટકા હિસ્સો નજીવી સંખ્યા નથી, તે ચૌદ કરોડ લોકો છે. તે અલગ દેશ હોત તો તેને વસતીની ગણતરીએ વિશ્વમાં દસમાં ક્રમનું સ્થાન મળ્યું હોત. છતાં નીતિ આયોગ અને સરકારનો દાવો છે કે ગરીબની સંખ્યા કુલ વસતીના માત્ર પાંચ ટકા અથવા તેનાથી ઓછી છે. આ દાવો ક્રૂર અને અપ્રમાણિક છે.
- સૌથી સુસંગત સરખામણી ટોચના પાંચ ટકા અને તળિયાના પાંચ ટકાની માથા દીઠ ખર્ચનો અનુપાત છે. બાર વર્ષ અગાઉ તે આશરે બાર ગણી હતી, ૨૦૨૩-૨૪માં તે હજી આશરે ૭.૫ ગણી છે.
ખેડૂતો અને ખોરાકઃ હતાશાજનક ડાટા
સરકારનો દાવો છે કે કૃષિ વિકાસ જોરદાર થયો છે, પણ શું ખેડૂતોના જીવનમાં સુધારો થયો છે? નાબાર્ડ (૨૦૨૧-૨૨)નો ડાટા દર્શાવે છે કે લગભગ પંચાવન ટકા કૃષિ પરિવારો દેવાના બોજ હેઠળ છે. સરેરાશ પ્રતિ પરિવાર દેવું રૂા. ૯૧,૨૩૧ છે. ૩જી ફેબુ્રઆરી, ૨૦૨૫ના રોજ લોકસભામાં આપેલા એક જવાબ મુજબ ૧૩.૦૮ કરોડ ખેડૂતો પર કમર્શિયલ બેન્કોની રૂા. ૨૭,૬૭,૩૪૬ કરોડનું દેવું છે. ૩.૩૪ કરોડ ખેડૂતો પર સહકારી બેન્કોનું રૂા. ૨,૬૫,૪૧૯ કરોડનું દેવું છે અને ૨.૩૧ કરોડ ખેડૂતો પર પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું રૂા. ૩,૧૯,૮૮૧ કરોડનું દેવું છે.
પ્રધાનમંત્રી કિસાન યોજનામાં અનેક ક્ષતિઓ છે. સૌથી વધુ નામાંકન એપ્રિલ-જુલાઈ ૨૦૨૨માં ૧૦.૪૭ કરોડ થયા હતા. ૨૦૨૩માં તે ઘટીને ૮.૧ કરોડ થયા (૧૫મો હપ્તો) અને સરકારના દાવા મુજબ ફેબુ્રઆરી ૨૦૨૫ (૧૯માં હપ્તા)માં તે વધીને ૯.૮ કરોડ થયા. આ ગૂંચવણો સમજાવી ન શકાય તેવી છે. ગેરવાજબી રીતે ભાડૂતી ખેડૂતો તેના માટે લાયક નથી.
પાક વીમા યોજનામાં સુધારા કરાયા અને યુપીએ સરકાર દ્વારા તેને ફરી રજૂ કરવામાં આવી. ખાનગી વીમા કંપનીઓને મંજૂરી આપવામાં આવી અને સરકારે વીમા કંપનીઓને નફો નહિ, નુકસાન નહિ ધોરણે કામ કરવાનો આદેશ આપ્યો. બીજી તરફ એનડીએ દ્વારા રજૂ કરાયેલી પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય) વસૂલી કરાતી યોજના બની ગઈ છે. પ્રીમિયમના ધોરણે ચૂકવાતા દાવા ૨૦૧૯-૨૦માં ૮૭ ટકાથી ઘટીને ૨૦૨૩-૨૪માં ૫૬ ટકા થયા છે.
મહત્વની સામાજિક સુરક્ષા યોજના - મનરેગા - ને છેલ્લા ત્રણ વર્ષમાં થતી ફાળવણીમાં કોઈ વધારો નથી થયો. દોઢ કરોડથી વધુ જોબ કાર્ડ રદ કરાયા છે. કામના સરેરાશ દિવસ વચન મુજબના ૧૦૦ની બદલે ૫૧ રહ્યા છે. માગ પ્રેરિત યોજનાના સ્થાને તે ભંડોળથી વંચિત યોજના બની ગઈ છે.
૮૦ કરોડ વ્યક્તિને પાંચ કિલો મફત અનાજ આપવાથી દસ કરોડ યોગ્યતા ધરાવતા નાગરિકો બાકાત રહી ગયા છે. મફત અનાજ અને મધ્યાહ્ન ભોજન યોજના છતાં બાળકોમાં કુપોષણ ૩૫.૫ ટકા રહ્યું છે અને ૧૯.૩ ટકા અત્યંત નબળા છે. વૈશ્વિક ભૂખ માનાંકમાં ૧૨૭ દેશોમાંથી ભારતનું સ્થાન ૧૦૫ છે.
ઉત્પાદનઃ નબળી કડી
જીવીએમાં ઉત્પાદનનો હિસ્સો ૨૦૧૧-૧૨માં ૧૭.૪ ટકાથી ઘટીને ૨૦૨૪-૨૫માં ૧૩.૯ ટકા થયો છે. બહુ વખાણાયેલી પ્રોડક્શન-લિન્ક્ડ ઈન્સેન્ટીવ સ્કીમ ઘોર નિષ્ફળતા છેઃ ૧૪ ક્ષેત્રોને રૂા. ૧,૯૬,૪૦૯ કરોડ ફાળવાયા હતા પણ તેમાંથી માત્ર રૂા. ૧૪,૦૨૦ કરોડ વિતરીત થયા છે.
સૌથી ઝડપથી વિકસતુ વિશાળ અર્થતંત્ર હોવાનો અર્થ એ નથી કે ભારતની આર્થિક સ્થિતિ સારી હતી અથવા ગરીબી નાબૂદ થશે અથવા ભારત એક વિકસીત દેશ બની જશે. દર દસ વર્ષે ભારતને માળખાકીય સુધારાના બીજા ડોઝ, રાજ્યોને સત્તાના વિકેન્દ્રીયકરણ, મોટા પાયે નિયમન મુક્તિ, વધુ સ્પર્ધા અને સરકારના માર્ગમાંથી બહાર નીકળવાની જરૂર પડશે.
(એમપીસીઈના ભિન્ન વર્ગો) |
૨૦૧૧-૧૨ રૂ.માં
|
૨૦૨૩-૨૪ રૂ.માં |
||
ગ્રામીણ |
શહેરી |
ગ્રામીણ |
શહેરી |
|
૦
- ૫ % |
૫૨૧ |
૭૦૧ |
૧,૬૭૭ |
૨,૩૭૬ |
૫
- ૧૦ % |
૬૬૬ |
૯૦૯ |
૨,૧૨૬ |
૩,૦૯૩ |
૨૦ - ૩૦ % |
૯૦૫ |
૧,૩૬૩ |
૨,૮૩૩ |
૪,૩૫૩
|
૪૦ - ૫૦ % |
૧,૧૩૬ |
૧,૮૮૮ |
૩,૪૯૮ |
૫,૬૨૨
|
૭૦
- ૮૦ % |
૧,૬૪૫ |
૩,૦૬૩ |
૪,૮૮૫ |
૮,૩૫૩
|
૯૦
- ૯૫ % |
૨,૫૫૬ |
૫,૩૫૦ |
૬,૯૨૯ |
૧૨,૮૧૭ |
૯૫
- ૧૦૦ % |
૪,૪૮૧ |
૧૦,૨૮૨ |
૧૦,૧૩૭ |
૨૦,૩૧૦ |
સમગ્ર ભારતની સરેરાશ |
૧,૪૩૦ |
૨,૬૩૦ |
૪,૧૨૨ |
૬,૯૯૬ |