ફસલ વીમા યોજનાનો ફિયાસ્કો
- અમલના બે વર્ષ છતાં પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના ધાર્યું પરિણામ લાવી શકી નથી
- વહીવટી ક્ષતિઓ અને અમલદારોની સખતાઈ સ્કીમની નિષ્ફતાના કારણો
કેન્દ્રની વર્તમાન સરકાર સત્તા પર આવ્યા બાદ ૨૦૧૪ તથા ૨૦૧૫માં દેશમાં સતત બે વર્ષ ચોમાસુ નબળું રહેવાને પગલે ખેડૂતોને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી તથા ભવિષ્યમાં આવી સ્થિતિમાં ખેડૂતોનો અસંતોષ વહોરી લેવો ન પડે તે હકીકતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે એપ્રિલ ૨૦૧૬માં પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના જાહેર કરી હતી. આ યોજના હેઠળ રવી પાક માટે ખેડૂતો માટે પ્રીમિયમનો દર ૧.૫૦ ટકા અને ખરીફ માટે બે ટકા નક્કી કરાયો છે.
બાગાયતી પાકો માટેનો દર પાંચ ટકા નિશ્ચિત કરાયો છે. નીચા પ્રીમિયમ સાથે વીમાના આવરણમાં વધારો કરાયો છે, જેથી પાકની નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને વાવેતર પાછળ થયેલા ખર્ચનું પૂરતું વળતર મળી શકે.
૨૦૧૮-૧૯ સુધીમાં ૧૦ કરોડ હેકટર એટલે કે ગ્રોસ ક્રોપ્ડ એરિયાના પચાસ ટકા વિસ્તારને વીમા કવચ હેઠળ આવરી લેવાનો કેન્દ્રએ ટાર્ગેટ રાખ્યો હતો. પરંતુ ભારતનું હાલનું વીમા કવચ ગ્રોસ ક્રોપ્ડ એરિયાના ૩૦ ટકા જેટલું છે, જ્યારે ચીનમાં આ આંક ૭૦ ટકા છે અને અમેરિકામાં ૯૦ ટકા છે.
ભારતમાં પ્રધાન મંત્રી ફસલ બીમા યોજનાનો દેખાવ નબળો રહેવા પાછળનું મુખ્ય કારણ દેશની અમલદારશાહી રહેલું છે. વહીવટી ક્ષતિઓ અને અમલદારોની સખતાઈ ખેડૂતોમાં વીમા યોજના પ્રત્યે આકર્ષણ ઊભા કરવામાં નિષ્ફળ રહ્યા છે. પાકની નુકસાનીના કિસ્સામાં ખેડૂતોએ વળતર મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે અને અનેક ધક્કા ખાવા પડતા હોય છે.
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખેડૂતો ઉપરાંત બેન્કો, વીમા કંપની, રાજ્ય તથા કેન્દ્ર સરકાર તથી રિ-ઈન્સ્યૂરન્સ કંપનીઓનો સમાવેશ થાય છે. આમાં સૌથી મહત્વની ભૂમિકા રાજ્ય સરકારની રહે છે. વીમા કંપનીની નિયુક્તિ કરીને તેને પાકની ઉપજના આંકડા પૂરા પાડવાની જવાબદારી રાજ્ય સરકારની છે. આ ઉપરાંતપ્રીમિયમની રકમ પણ નિશ્ચિત કરાવવાની રહે છે.
આ કામગીરી વેધશાળા દ્વારા ચોમાસાની પ્રથમ આગાહી થાય તે પહેલા જ થઈ જવી જરૃરી છે જેથી વીમા કંપનીઓ દ્વારા પ્રીમિયમના વ્યવહારુ દર મેળવી શકાય. જો કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લાગુ કરાયાના પ્રથમ બે વર્ષમાં મોટા ભાગના રાજ્યોમાં વીમા કંપનીની પસંદગી સમયસર થઈ નહીં હોવાનું જોવા મળ્યું હતું.
કેન્દ્ર સરકારે ૨૦૧૭ની ખરીફ મોસમમાં વીમા પોર્ટલ તૈયાર કર્યું હતું તેમાં બેન્કોને ખેડૂતોની સંપૂર્ણ વિગતો ભરવાની સૂચના અપાઈ હતી. જો કે પ્રારંભિક સમશ્યાઓને કારણે ખરીફ ૨૦૧૭ના સંપૂર્ણ ડેટા તેમાં મૂકી શકાયા નહોતા. આને કારણે આ સ્કીમ હેઠળ કેટલા વિસ્તારના પાકને આવરી લેવાયો છે તે જાણવાનું શકય બન્યું નહોતું.
૨૦૧૮ની ખરીફ મોસમથી દરેક ખેડૂતોને તેમના દ્વારા લેવાનારા પાકને કેટલું વીમા આવરણ અપાયું છે અને તેમના ખાતામાંથી કેટલું પ્રીમિયમ કપાયું છે તેની જાણકારી આપતા એસએમએસ પૂરા પાડવાના નિર્દેશ અપાયા છે. સ્કીમ લાગુ થઈ ત્યારથી અત્યારસુધી એટલે કે ૨૦૧૬ની ખરીફ મોસમથી લઈને ૨૦૧૭ની રવી મોસમ દરમિયાન ચાર મોસમને આવરી લેવાઈ છે.
આ માટે ૨૦૧૬માં વીમા કંપનીઓને રૃપિયા ૨૨૧૮૯.૬૨ કરોડનું ગ્રોસ પ્રીમિયમ ચૂકવાયું હતું. જો કે ૨૦૧૬ તથા ૨૦૧૭માં દેશમાં ચોમાસું સામાન્ય રહ્યું હતું. આમ છતાં ૨૦૧૬માં દેશના કેટલાક ભાગમાં પાકને થયેલા નુકસાન પેટે વીમા કંપનીઓએ રૃપિયા ૧૨૦૦૦ કરોડના દાવા ચૂકવવાનો વારો આવ્યો હતો. દેશના કેટલાક રાજ્યોએ દાવાની પતાવટમાં ઝડપ દાખવી હતી. પરંતુ દરેક રાજ્યોમાં આ સ્થિતિ જોવા મળી નહોતી.
બિહાર, છત્તીસગઢ, કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા જેવા કેટલાક રાજ્યોએ ૨૦૧૬ના પાક માટે પ્રીમિયમ સબસિડી ચૂકવી નહી ંહોવાના દાખલા છે. આવી સ્થિતિમાં વીમા યોજના કેટલી સફળ બની શકે છે એ સમજી શકાય એમ છે. લોન નહીં લેનારા ખેડૂતો દ્વારા સ્કીમના નીચા લાભ અને દાવાની ઢીલથી ચૂકવણી અથવા ચૂકવણી જ નહીં થવા જેવા મુદ્દાઓ પ્રધાન મંત્રી ફસલ બીમા યોજનાની કામગીરી સામે અવરોધરૃપ બની રહ્યાનું કૃષિ પરની એક સમિતિએ તેના તાજેતરના રિપોર્ટમાં નોંધ્યું હતું.
દેશમાં પાકની નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને રાહત પૂરી પાડવા અગાઉ અનેક વીમા યોજનાઓ લાગુ કરવામાં આવી છે પરંતુ આ યોજનાઓના અત્યારસુધીના અનુભવને ધ્યાનમાં લેવામાં આવે તો પાક વીમા ખેડૂતો માટે ન તો લાભદાયી રહી છે યા ન તો તેમને પૂરતું રક્ષણ આપી શકે છે.
પાક વીમા યોજના જો પૂરતું વળતર આપી શકતી હોત તો પાકને નુકસાનીના સંજોગોમાં ખેડૂતોની બેન્કોની લોન માફ કરવા જેવા નિર્ણયો અવારનવાર લેવાની આવશ્યકતા ઊભી થતી ન હોત. જો કે લોનમાફીના નિર્ણયો લેવા માટે ખેડૂતોને મદદ કરવા કરતા રાજકીય સ્વાર્થ વધુ રહેતો હોવાનું અત્યારસુધી જોવા મળ્યું છે.
પાક વીમા યોજનાનું સમર્થન કરનારા એવું માને છે કે પોતાના કૃષિ ઉત્પાદનોને વીમા કવચ હેઠળ આવરી લેવા ખેડૂતો વ્યવહારુ પ્રીમિયમ ચૂકવવા તૈયાર હોય છે. કુદરતી આફતોને કારણે પાકને થતા નુકસાન સામે ભરપાઈ મેળવવા ખેડૂતો ઈચ્છતા હોય છે તે ખરું છે પરંતુ તે માટે તેઓ ઊંચા પ્રીમિયમ ચૂકવવા તૈયાર હોય છે કે કેમ તે સામે પ્રશ્ન થયા વગર રહેતો નથી.
વિશ્વના અનેક દેશો ખેડૂતોને પ્રીમિયમમાં રાહત આપે છે એ હકીકતનું અનુકરણ કરી ભારત સરકારે પણ નીચા પ્રીમિયમ સાથે ખેડૂતોને તેમના પાક માટે કવચ પૂરું પાડવાની સ્કીમ લાગુ કરી છે પરંતુ અન્ય વીમા યોજનાઓની જેમ આ સ્કીમ પણ જોઈએ એટલી આગળ ધપી શકી નથી અને નીચા પ્રીમિયમની સ્કીમ હોવા છતા છેલ્લા બે વર્ષમાં ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં ખેડૂત લોન માફ કરવામાં આવી હોવાનું ચિત્ર છે. આવી સ્થિતિમાં પાકને કવચ પૂરું પાડવા વૈકલ્પિક વ્યવસ્થા વિચારવાનો સમય પાકી ગયો છે.
પાક વીમા યોજનાઓ નિષ્ફળ રહી હોવા છતાં કૃષિ ક્ષેત્રે જોખમ સંચાલન તરીકે સરકાર હજુ પણ તેની તરફેણ કરી રહી છે. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા જોખમોને યોગ્ય રીતે હાથ નહીં ધરાવાને કારણે ખેડૂતોએ કરેલી મહેનત તથા કરેલા ખર્ચ પાણીમાં જાય છે અને ઉત્પાદનમાં થતા ધોવાણને કારણે આવક પર અસર થાય છે. કૃષિ એ ભારતનો સૌથી મોટો ખાનગી ક્ષેત્રનો વેપાર છે, પરંતુ દેશના નીતિવિષયકોએ તેના તરફ પૂરતું ધ્યાન આપ્યું નથી.
દેશના વધી રહેલા આર્થિક વિકાસદરમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો મર્યાદિત અને ઘટી રહ્યો છે તેને જોતા કૃષિ તરફ બેધ્યાન અપાઈ રહ્યું હોવાનું કહીશું તો ખોટું નહીં ગણાય. સબસિડી ચાલુ રાખીને કૃષિ ક્ષેત્રને જીવાડવાનું ભારત માટે લાભદાયી સાબિત થયું નથી એ પ્રધાન મંત્રી ફસલ બીમા યોજનાની અત્યારસુધીની નિષ્ફળતા વધુ એક પુરાવો છે.