Get The App

ખેડૂત પરેશાન : આઠ કોમોડિટીનું ટેકાના ભાવથી ઓછા ભાવે વેચાણ

Updated: Oct 6th, 2024

GS TEAM

Google News
Google News
ખેડૂત પરેશાન : આઠ કોમોડિટીનું ટેકાના ભાવથી ઓછા ભાવે વેચાણ 1 - image


- એન્ટેના - વિવેક મહેતા

- કૃષિ ઉપજમાં ભેજ હોવાને નામે ઓછા ભાવ ઓફર કરી રહેલા વેપારીઓ

સરકારે નક્કી કરી  આપેલા ટેકાના ભાવ કરતાં આઠ કોમોડિટીના ભાવ બજારમાં નીચા બોલાઈ રહ્યા છે. પરિણામે ખેડૂતોની હાલાકી વધી ગઈ છે. સપ્ટેમ્બરમાં ભારે વરસાદ પડયો હોવાથી પાકમાં ભેજ હોવાને નામે ઓછા દામની ઓફર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંજોગોમાં સરકારી એજન્સીઓની ખરીદીને વેગ ન મળે તો ખેડૂતો દંડાઈ જવાની સંભાવના છે. સરકાર પાસે માર્કેટ ઇન્ટવેન્શન-માર્કેટમાં દરમિયાનગીરી કરવાની સત્તા પણ છે. આ સત્તાનો સત્વર ઉપયોગ કરવામાં આવે અને ખેડૂતોને બરબાદ થતાં અટકાવી શકે છે. અત્યારે મળી રહેલી માહિતી મુજબ આ આઠ કોમોડિટી લઘુતમ ટેકાના ભાવ કરતા આઠથી પચ્ચીસ ટકા નીચા ભાવે વેચાઈ રહી છે. પહેલી ઓક્ટોબર પછીના ભાવને આધારે નીચા ભાવની ટકાવારી કાઢવામાં આવી છે.

લઘુતમ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવથી વેચાઈ રહેલી કૃષિ ઉપજોમાં બાજરા, સોયાબિન, મગફળી, મગ, રાગી, સનફ્લાવર અને નાઈજરનો સમાવેશ થાય છે. ૧૪ કોમોડિટીના ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ ૧૪ પાકના સરેરાશ બજાર ભાવ લઘુતમ ટેકાના ભાવ કરતાં નીચે બોલી રહ્યા છે. આ પાકની લણણીની સીઝન પહેલી  ઓક્ટોબરથી જ ચાલુ થઈ છે. આઠ પાકમાં સોયાબિન, મગફળી અને સનફ્લાવરના ભાવનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ ટેકાના ભાવથી પાક ખરીદવા માટેના કેન્દ્રોના હજી ઠેકાણા જ નથી. ગુજરાતમાં ૨૫૧ જિલ્લા છે, તેની સામે ટેકાના ભાવથી ખરીદી કરવા માટેના ૧૬૦ કેન્દ્રો જ ઊભા કરવામાં આવ્યા છે. પરિણામે બે તાલુકા વચ્ચેનું અંતર ખેડૂતોને કાપવાની ફરજ પડી રહી છે. આટલું અંતર કાપીને પહોંચ્યા પછીય ટેકાના ભાવે ખરીદી કરનારાઓ જુદાં જુદાં કાગળો લાવવાની ફરજ પાડે છે અને કાગળો ન હોય તો ખરીદી કરવાની ધરાર ના પાડી દઈને ખેડૂતોની પરેશાની પણ વધારતા હોવાના કિસ્સાઓ બને છે.

મકાઈના બજાર ભાવ ટેકાના ભાવથી બે ટકા નીચા છે. જોકે ડાંગર અને કપાસના ભાવ ટેકાના ભાવની લગોલગ ચાલી રહ્યા છે. નાઈજર, અડદ, બાજરા, સોયાબિન અને મગફળી, મગ, રાગી અને સનફ્લાવરના ભાવ તેના ટેકાના ભાવથી આઠથી પચ્ચીસ ટકા નીચા ચાલી રહ્યા છે. જુવારના ભાવ ટેકાના ભાવથી ૪.૮ ટકા, તુવેરના ભાવ ટેકાના ભાવથી ૩૩ ટકા અને તલના ભાવ ટેકાના ભાવથી ૪૦ ટકા નીચા બોલાઈ રહ્યા છે. પરિણામે ખેડૂતોએ તેમનો પાક પાણીના મોલે વેચવો પડી રહ્યો છે. સરકારે હજી સુધી એમએસપીના ભાવે ખરીદી કરવા માટેના કેન્દ્રો ચાલુ કર્યા જ નથી. પરિણામે નવા પાકનું વેચાણ ખેડૂતો માટે ખોટના સોદા સમાન પુરવાર થઈ રહ્યું છે.

Tags :