Get The App

એરંડા-રાયડામાં માંગ-પુરવઠાના અસંતુલનથી તેજીના એંધાણ

Updated: Oct 4th, 2021

GS TEAM

Google News
Google News
એરંડા-રાયડામાં માંગ-પુરવઠાના અસંતુલનથી તેજીના એંધાણ 1 - image


- કોમોડિટી કરંટ : જયવદન ગાંધી

બ્રાઝીલ બાદ ચીનમાં વીજ ધાંધિયાઓને કારણે નાની-મોટી કેટલીય કંપનીઓનો કારોબાર ખોરવાઈ જતાં નિકાસ ઉપર અસર કેટલીય મેટલ તથા ઉર્જા કોમોડિટી ઉપર અસર પડી રહી છે. ચીનમાં કોલસાની અછતથી જ વીજ ઉત્પાદન ઠપ થઈ ભારે વીજસંકટ થતાં પ્રોડકશન બંધ રહેતાં ધંધા-રોજગાર સહિત કોપર તથા એલ્યુમિનીયમના પ્લાન્ટ બંધ થવાની અણી ઉપર છે. એલ્યુમીનીયમ સપ્લાય ઓછો થતાં ભાવો ઉપર પ્રેસર રહેતાં ૧૩ વર્ષ બાદ આવેલી તેજી ઉપર પાણી ફરી વળે તેવી સ્થિતિ છે. બ્રાઝીલમાં પણ ભારે દુકાળથી વીજ સંકટ થવાના એંધાણ છે. બ્રિટનમાં ડ્રાઇવર વર્ગ મોટે ભાગે યુરોપમાં શિફટ થતાં મેન પાવરની અછતથી પેટ્રોલ-ડિઝલનો સપ્લાય ઉપર અસર પડતાં વાહનચાલકોની મુશ્કેલીનો પાર નથી. આ સ્થિતિમાં ભારતમાં પણ ઈંધણ કોમોડિટીઝમાં તેજીના સંકેતોને કારણે સરકાર પ્રેસરમાં છે. ભારતીય નાણાંના વિનિમય દરોમાં ઘટાડાની અસરથી સોનામાં ગયા અઠવાડિયે ૫૦૦ રૂપિયાનો ઉછાળો રહેતાં ભાવો ૪૫૫૦૦ સુધી ઉંચા થયા છે. જયારે ચાંદી ૧૦૦૦ રૂપિયાના વધારા સાથે ૫૮૪૦૦ ના લેવલે ઉંચી રહી હતી.

બીજી તરફ દેશમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો ગુસ્સો શાંત પાડવા માટે સરકાર ટેકાના ભાવોમાં સતત વધારો કરવા તેમજ કૃષિ ચીજોની સરકારી ખરીદીમાં પણ વધારો કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં દેશની કૃષિ બજારોમાંથી લગભગ ૮૫૦૦૦ કરોડ રૂપિયાની સરકારી ખરીદી થઈ છે. આ ઉપરાંત સરકારે ગત વર્ષની સરખામણીએ ઘઉંમાં ૪૦ રૂપિયા, અનાજમાં ૭૨ રૂપિયા, ચણામાં ૧૩૦ રૂપિયા, જવમાં ૩૫ રૂપિયા, મસૂર દાળ તથા રાયડામાં ૪૦૦ રૂપિયા અને સૂર્યમુખીમાં ૧૧૪ રૂપિયાનો ટેકાના ભાવોમાં વધારો કર્યો છે.

 તેલીબીયાં સોયાબીનમાં નફો રળવામાં ખેડૂતોને કોઈ ચાન્સ મળ્યો નહિ પરંતુ એરંડામાં આ વર્ષે ઉંચા ભાવોને કારણે ખેડૂતો તેમજ રોકાણકારોને નફો મળશે તેવી ગણત્રી છે. ગયા વર્ષે એરંડાના ભાવો ૩૪૦૦ થી ૩૫૦૦ આસપાસ નીચે જતાં ખેડૂતોએ એરંડાની વાવણી ઓછી કરી હતી. એરંડાનું વાવેતર તેમજ ઉત્પાદન ઓછુ થવાની સામે આ વર્ષે લોકલ તથા વિદેશી માંગ વધતાં બજારે સપોર્ટ રહેતાં ઓગસ્ટમાં ભાવો ૬૭૦૦ સુધી ઉંચા રહ્યા હતા પરંતુ નફારૂપી વેચવાલીને કારણે બજાર તુટતાં હાલમાં ૬૧૦૦ ની આસપાસ ઉંચુ બજાર છે. એરંડાનું વાવેતર સૌથી વધુ ગુજરાતમાં થાય છે. હાલમાં ચોમાસુ સક્રિય છે પરંતુ ચોમાસા બાદ એરંડાની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવે તેમ છે. તેમ છતાં એરંડામાં તેજીની શકયતાઓ વધુ રહેવાની બજારમાં શક્યતાઓ પ્રવર્તી રહી છે.

હાલમાં દેશમાં સૌથી વધુ મોંઘવારી ખાદ્ય તેલોની રહી છે. ખાદ્ય તેલોમાં આત્મનિર્ભર થવાનું હજુ બાકી છે. ખાદ્યતેલોની આયાત વધારવા માટે સરકારે આયાત ડયુટી ઓછી કરવાની સાથે સાથે સ્ટોક લિમીટ સહિત વિવિધ પગલાં લઈ મોંઘવારી કંટ્રોલ કરવા કવાયત હાથ ધરી છે. ખાદ્યતેલોની આવક જાવકનો હિસાબ માટે સરકારે એડીબલ ઓઇલ પોર્ટલ શરૂ કરી રહી છે. 

એરંડા બાદ રાયડામાં પણ તેજીની સંભાવનાઓ જોવાઈ રહી છે. ઉત્તર ભારતમાં સૌથી વધુ વપરાશ રાયડાના તેલનો રહ્યો છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં સૌથી વધુ માંગ રહે છે. રાયડાનો અન્ય કોઇ વિકલ્પ નથી. ખાદ્યતેલોમાં ભેળસેળ ઉપર પણ સરકારે પ્રતિબંધ મુકતાં ખાદ્યતેલોની વધતી ડિમાન્ડથી ભાવોમાં સુધારો થયો છે. સરકાર સહિત વેપારી-ખેડૂત વર્ગ પાસે પણ રાયડાનો નોંધપાત્ર સ્ટોક નથી. ઉંચા ભાવોને કારણે સરકારી ખરીદી નીકળી નથી. માર્કેટમાં રાયડાની ઓછી આવકો અને વધતી ડિમાન્ડને કારણે રાયડા બજાર હાલમાં ૮૫૦૦ની આસપાસ ઉંચા સ્તરે છે. રાયડામાં આગળ વધતી તેજીને કારણે ખેડૂતો તથા વેપારી વર્ગની વેચવાલી પણ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રાયડાનું ગ્લોબલ ઉત્પાદન ઘટીને લગભગ ૬૨૦ લાખ ટન આસપાસ રહે તેવી સંભાવના બજારમાં છે. દેશમાં પણ રાયડાનો પાક લગભગ ૩૦ લાખ ટનની આસપાસ હોવાનું અનુમાન છે. રાયડાનો નવો પાક આવવાને હજુ ત્રણ થી ચાર મહિનાનો સમય બાકી હોવાથી આ વર્ષે રાયડાની ખેતીમાં ખેડૂતોને આકર્ષિક નફો મળશે તેવી ગણત્રી છે.

Tags :