Get The App

ઉદારીકરણ , વૈશ્વિકરણ, ખાનગીકરણના યુગમાં જમીન મહેસૂલ કાયદાની બિનખેતીની મંજૂરી નાબૂદ કરવી જરૂરી

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
ઉદારીકરણ , વૈશ્વિકરણ, ખાનગીકરણના યુગમાં જમીન મહેસૂલ કાયદાની બિનખેતીની મંજૂરી નાબૂદ કરવી જરૂરી 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- 'જમીન મહેસુલ અધિનિયમની બિનખેતીની પરવાનગીની જોગવાઈઓમાં ફેરફાર જરૂરી.'

જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૫માં ખેતીની જમીનની બિનખેતીમાં ફેરવવા માટેની જોગવાઈઓ છે. આ જોગવાઈઓ પ્રાથમિક રીતે ખેતીવિષયક જમીનનું મહેસુલ (Revenue Assessment)  આકારવામાં આવેલ હોય તેના બદલે જ્યારે ખેતી સિવાય (NA) માટે ઉપયોગ કરવામાં આવે ત્યારે બિનખેતી ધારો (NA Assessment) મહેસુલ આવક તરીકેની જોગવાઈએ છે. જમીન મહેસુલ અધિનિયમમાં દર ત્રીસ વર્ષ જમીન મહેસુલની આકારણીમાં Revised ફેરફાર કરવાની જોગવાઈઓ છે, પરંતું તે પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી. છેલ્લા કેટલાંક વર્ષોથી રાજ્ય ખેત વિષયક મહેસુલ માફ કરે છે. પરંતું તે ઉપરનો શૈક્ષણિક ઉપકર ઉઘરાવવામાં આવે છે. અગાઉ ૧૯૮૬ સુધી બિનખેતીના ઔદ્યોગિક, વાણિજ્ય વિષયક અને રહેણાંકના જુદા જુદા બિનખેતી ધારો હતો, પરંતું તે હાલ સમાન પ્રકારનો કરીને રૂપાંતરીત ધારો (Conversion Tax) વસુલ કરવામાં આવે છે અને બિનખેતી ધારા ઉપર શૈક્ષણિક ઉપકર અને અન્ય વેરા વસુલ કરવામાં આવે છે. બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન જમીન મહેસુલ અધિનિયમ ઘડાયેલ હોવાથી જે તે સમયે તેમની સીધી હકુમત હેઠળ કલેક્ટર જીલ્લા અધિકારી કલેક્ટર જીલ્લા અધિકારી તરીકે મુખ્ય મહેસુલી અધિકારી હતા એટલે બિનખેતીની પરવાનગી સાથે બાંધકામના નકશા સહિત મંજુર કરવાની જોગવાઈઓ હતી પરંતું મુળભુત જોગાવાઈઓનો ઉદ્દેશ જમીન ઉપરનું મહેસુલ ઉઘરાવવાનું વ્યવસ્થા તંત્ર અને કામગીરી તે મહેસુલ વિભાગની હતી અને તેને મહેસુલી પરીભાષામાં જમાબંધી (Revenue Recovery) તરીકે આજે પણ Revenue Account manual (RAM) તરીકે ઓળખાય છે. બિનખેતીની પરવાનગી બાદ કાયમી ઉપજ તરીકે સબંધિત જમીનના સર્વે નંબર / પ્લોટનો બિનખેતીધારો ગામના નમુના નં-૨માં તલાટીએ કાયમી ઉપજ તરીકે ચઢાવીને વસુલ કરવાનું છે અને જો સીટી સર્વે વિસ્તાર હોય તો સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટે નમુના નં-૨ અદ્યતન કરી તલાટીને રીકવર-વસુલાત માટે મોકલવાનો છે. ખરેખરતો રાજ્યને અબજો રૂપિયાની મહેસુલ આવક મળે પણ ખરેખર આ પ્રક્રિયા અસરકારક થતી નથી. પ્રવર્તમાન કમ્પ્યુટરાઈજેશન / ડિજીટલાઈજેશનના જમાનામાં અને જ્યારે જમીન મહેસુલનો રેકર્ડ અદ્યતન કરવામાં આવ્યું છે. પરંતું આજે પણ સબંધિત ખાતેદારે જમીન મહેસુલ ભરવા માટે તલાટી પાસે જવું પડે છે અને આ કર્મચારી લાખો ખાતેદાર જમીન મહેસુલ નિયમિત રીતે ભરવા તૈયાર હોવા છતાં ધક્કા ખાવા પડે છે. આ બાબત ઓનલાઈન ડીમાન્ડ કરી ઓનલાઈન પધ્ધતિ કરવી જરૂરી છે. જ્યારે મિલ્કતવેરો / ઈલેક્ટ્રીસીટી બીલ / ફોન બીલ તેમજ તમામ Transaction Online ભરવાની જોગવાઈઓ થઈ છે ત્યારે આ વ્યવસ્થા કરવાથી રાજ્યની આવક વધશે. અને સરળીકરણ પણ થશે. 

ઉદારીકરણ / વૈશ્વિકરણના જમાનામાં Ease of doing business, Ease of livingનો અભિગમ આવ્યો છે ત્યારે વિકાસની પ્રક્રિયામાં અને પ્રગતિની દિશામાં આગેકુચ ચાલતી હોય ત્યારે જમીનનો ઉપયોગ, બાંધકામની પરવાનગી, વેચાણ / તબદીલી / પરવાનગીની પ્રક્રિયામાં ઈજારા શાહી પધ્ધતિને (Licence / Permit Raj) બદલે જ્યારે Maximum-Governance and Minimum Governmentની વિભાવના વ્યક્ત કરવામાં આવતી હોય ત્યારે બિનખેતીની પ્રક્રિયા (NA) મેળવવામાં અને તેમાં રજુ કરવાના દસ્તાવેજો અને પરવાનગીના Bonafide વ્યક્તિને ખુબજ પરેશાની છે તેવી અવારનવાર રજુઆતો થાય છે અને તેને કારણે રાજ્યસરકારના મહેસુલ વિભાગે સરળીકરણના ભાગરૂપે ૨૦૦૫ થી શરૂ કરીને ઔદ્યોગિકરણના હેતુ માટે ૬૫ખ દાખલ કરીને પ્રામાણિક ઉદ્યોગના હેતુ માટે કોઈપણ બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન ખરીદીને કલેક્ટરને જાણ કરવાથી ૩૦ દિવસમાં કલેક્ટરને પ્રમાણપત્ર આપવાની જોગવાઈ કરી છે તેજ રીતે ગણોતધારાની કલમ-૬૩માં બિનખેતીના હેતુ માટે બિનખેડુત વ્યક્તિએ ખેતીની જમીન ખરીદવા માટેની કલેક્ટર પાસે પરવાનગીની જોગવાઈ હતી તેમાં પણ પ્રામાણિક ઔદ્યોગિક બિનખેતીના હેતુ માટે કલમ-૬૩એએ દાખલ કરવામાં આવી છે. 

ગુજરાતમાં ૨૦૦૪થી મહેસુલી રેકર્ડનું કમ્પ્યુટરાઈજેશન કરવાથી ઓનલાઈન Entries Record of Rightsમાં પાડવા માટે ઈ-ધરા કેન્દ્ર દરેક તાલુકા મામલતદાર કચેરીમાં કાર્યાન્વિનત કર્યા છે અને તેના ભાગરૂપે મહેસુલી રેકર્ડનું તમામ ૭/૧૨ અને હક્કપત્રકની તમામ નોંધોનું કમ્પ્યુટરાઈજેશન કરીને ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યું  છે. જે અંગે સરળતા થઈ છે તેવું કહી શકાય કે અગાઉ તલાટી સબંધીત ગામના મહેસુલી રેકર્ડના Custodian હતાં અને તેઓ ગામે ઉપલબ્ધ ન રહેતાં એટલે સંખ્યાબંધ ફરીયાદો થતી. સરકારે મહેસુલ વિભાગમાંથી મેળવવામાં આવતી પરવાનગીઓમાં જમીન વેચાણના Transaction ઈ-ધરા કેન્દ્રમાં થાય છે અને તેની નોંધો પણ પડે છે. પરંતું રાજ્ય સરકારે બિનખેતીની પરવાનગરીમાં ઓનલાઈન અરજીમાં જે દસ્તાવેજોની ખરાઈ કરવા માટે ખાસ કરીને હક્કપત્રકની નોંધો અને તેના ઉતરોત્તર Transaction સૌથી અગત્યના છે. જેમાં ખેડુત ખરાઈનો મુદ્દો સૌથી અગત્યનો છે. એટલે કે ખેતીની જમીનનો ધારક ઉતરોત્તર જમીનમાં વ્યવહાર થયા છે તે સાચો ખેડુત ખાતેદાર છે કે કેમ ખરેખ જ્યારે આ બાબત મહેસુલ રેકર્ડનું કમ્પ્યુટરાઈજેશન થવાથી અને ઓનલાઈન ઉપલબ્ધ કરવાથી મહેસુલી અધિકારીઓ ચકાસી શકે છે પરંતું ખેડુત ખરાઈ પ્રમાણપત્ર અને ખરાઈના મુદ્દા ઉપર ખેતીની જમીનોના વેચાણની નોંધો અને બિનખેતીની પરવાનગીના કિસ્સાઓ, ખેડુત ખાતેદાર હોવા અંગે, નોંધ રીવીઝનમાં લેવા બાબતે, ક્ષેત્રફળમાં તફાવત અંગે, જુદા જુદા મહેસુલી અધિકારીઓના અભિપ્રાય ન આવવાના મુદ્દે ૯૦ દિવસની સમય મર્યાદાના છેલ્લા દિવસોમાં બિનખેતીની પરવાનગીની અરજીઓ ઓનલાઈન કરવા છતાં નામંજુર કરવામાં આવતા. 

જેથી રાજ્યસરકારના મહેસુલ વિભાગે તાજેતરમાં તા. ૧૩-૯-૨૦૨૪ના પરિપત્ર ક્રમાંક-બખપ/૧૦૨૦૧૮/૪૨૫/ક અન્વયે બિનખેતી પરવાનગી તથા પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી મેળવવાની કાર્ય પધ્ધતિમાં સરળીકરણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે અને જેમાં ૧૯૫૧થી શરૂ કરીને પરવાનગી માંગવામાં આવી ત્યાં સુધીના હક્કપત્રકની તમામ નોંધોનો ઉતારા અને રેકર્ડની ચકાસણી કરવાને બદલે તા. ૬-૪-૯૫ બાદનું રેકર્ડ ચકાસવાની બાબતો ઉમેરવામાં આવી છે. પરંતું તે સાથે 'ખેડુત ખરાઈનો પ્રમાણપત્ર' અંગે સરકારે સોગંધનામું આપવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. હવે જ્યારે તા. ૬-૪-૯૫ બાદની નોંધોનો ચકાસણી કરવાની બાબતને ધ્યાનમાં લેવાની સાથે અગાઉની બિનખેડુત દ્વારા ધારણ કરેલ ખેતીની જમીન અને ઉતરોત્તર જમીન ખરીદેલ હોય તે અને આ બાબતે સ્પષ્ટતા ન કરેલ હોવાથી મહેસુલી અધિકારીઓ દ્વારા વિવેકાધીન (Discretionary) સત્તા યથાવત રાખેલ હોવાથી સ્પષ્ટ જોગાવાઈઓના અભાવે, અગાઉ જેમ બિનખેતીની નોંધો રીવીજનમાં લેવાના મુદ્દા ઉપર નામંજુર કરવામાં પણ આવી શકે છે. પ્રવર્તમાન સમયમાં બિનખેતીની પરવાનગી કેટલી પ્રસ્તુત અને જ્યારે Ease of doing businessના અભિગમની વાતો કરવામાં આવતી હોય ત્યારે બિનખેતીની પરવાનગી શા માટે રદ કરવી જોઈએ અને રાજ્ય સરકારને જમીન મહેસુલ વસુલ કરવાનું મુળભુત હિત કઈ રીતે જાળવી શકાય તે આગામી લેખમાં વિવરણ કરીશું.

(ક્રમશઃ )