Get The App

પબ્લીક ટ્રસ્ટ એક્ટ હેઠળ સખાવતી ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીન/મિલકત અને ગણોત/ સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની જોગવાઈઓ

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
પબ્લીક ટ્રસ્ટ એક્ટ હેઠળ સખાવતી ટ્રસ્ટોએ ધારણ કરેલ જમીન/મિલકત અને ગણોત/ સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની જોગવાઈઓ 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- જાહેર ટ્રસ્ટો / દેવસ્થાન હેઠળની જમીનોનું નિયમન જરૂરી

આઝાદી મળ્યા બાદ કુદરતી સંશાધનોની વહેંચણી અને સપ્રમાણ (Equitable) સંપતિની વહેંચણીના ભાગરૂપે જમીન સુધારા કાયદાઓ સમગ્ર દેશમાં અમલમાં મુકવામાં આવ્યા અને જેને ભારતના બંધારણની અનુસુચિમાં સમાવેશ કરવામાં આવ્યો જેનાથી બંધારણીય પીઠબળ મળવાથી અન્ય કાયદાઓ ઉપર સર્વોપરી અને કાયદાની કોર્ટો દ્વારા પણ વિપરિત અર્થઘટન કરવામાં ન આવે ૧૯૬૦ સુધી ગુજરાત / મહારાષ્ટ્ર મુંબઈ રાજ્યોનો ભાગ હતા. એટલે આઝાદી બાદના જમીન સુધારા કાયદાઓ ગણોત કાયદો ૧૯૪૮ ખેત જમીન ટોચ મર્યાદા કાયદાઓ મુંબઈ રાજ્યના સમયગાળા દરમ્યાન ઘડાયેલ તે આજે સુધારા-વધારા સાથે અમલમાં છે. સૌરાષ્ટ્ર રાજ્ય ૧૯૫૬ સુધી અલગ હતું અને કચ્છ પણ 'સી' રાજ્ય હતું. આ રાજ્યમાં પણ સૌરાષ્ટ્ર જમીન સુધારા કાયદાઓમાં સૌરાષ્ટ્ર ઘરખેડ, બારખલી, એસ્ટેટ એક્વીઝીશન વિગેરે કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યા, આ બધા કાયદાઓનો મુળભુત હેતુ જમીન ઉપરના ગણોતીયા / કબજેદારોને જમીન ઉપરના કાયમી હક્કો આપવા અને તે મુજબ ગુજરાત / સૌરાષ્ટ્રમાં સારી રીતે અમલ પણ થયો. સૌરાષ્ટ્ર રાજ્યના જમીન સુધારા કાયદાઓ સૌથી શ્રેષ્ઠ હતા અને તેનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી યુ. એન. ઢેબરને જાય છે.

જમીન સુધારા કાયદાઓના અમલીકરણના સાથે જુદા જુદા દેશી રજવાડામાં ઘણા જમીનોના સતાપ્રકાર હતા. જેમાં દેવસ્થાન / ઈનામી / ચાકરીયાત / જાગીર નાબુદી / વાંટા / પાન્ડુ મેવાસ વિગેરે. રાજ્ય સરકાર દ્વારા જમીન સુધારાના ભાગરૂપે આ વિવિધ સતાપ્રકાર રદ્દ કરીને આ જમીનો ઉપરના ગણોતીયાઓને / કબજેદારોને પણ કાયમી હક્ક આપવાના હતા. એટલે તે મુજબ સતાપ્રકાર નાબુદી અધિનિયમ ઘડવામાં આવ્યા.Tenure Abolition Act. જેમાં દેવસ્થાન / ઈનામી નાબુદી ધારો-૧૯૬૯ અગત્યનો છે. જે કાયદા હેઠળ આ ધારાઓ હેઠળ જે જમીન ધારકો હતા તેઓને ૧૫/૧૧/૬૯ની નિયત તારીખે Deemed Purchaser ગણવાના હતા. તેઓએ ધારણ કરેલ જમીનને જુની સતાપ્રકારની ગણવાની જે તે સમયે હતી. પરંતું આ સતાપ્રકારોમાં જે તે સમયે જમીન મહેસુલ માફી / અર્ધમાફી / વળતરની રકમ જેવી બાબતો હતી. તે આ કાયદાઓથી રાજ્યસરકારે મહેસુલ માફી આપી હોય તે સિવાય તમામ જમીનો મહેસુલને પાત્ર બનાવવામાં આવી છે. (Liable for Land Revenue) મોટા ભાગના સતાપ્રકાર નાબુદી કાયદાઓમાં જમીન ધારકોને કબજેદાર માલીક બનાવવા માટે ગણોતધારાની જોગવાઈઓ લાગુ કરવામાં આવી અને કલમ-૪૩ એટલે કે Restrictive tenure બિન તબદીલીને પાત્ર જમીનો ગણવામાં આવી સરકારે જે સતાપ્રકાર નાબુદી અધિનિયમો ઘડવામાં આવ્યા તેમાં જમીન જુની શરત / નવી શરત / પટ્ટની રકમ વિગેરે બાબતોમાં મોટા પાયે આજે પણ વિસંગતતા પ્રવર્તે છે અને તેને કારણે રાજ્યસરકારે સરળીકરણના પરિપત્રો કર્યા છે. પરંતું ૨૦૧૭માં મહેસુલ વિભાગે નવી શરતના નિયંત્રણો લાગુ કરતો પરિપત્ર કર્યો તેનાથી વધારે વિસંગતતાઓ પેદા થઈ એટલે સરળીકરણના પરિપત્રો તમામ સતાપ્રકારો માટે તા. ૨૭/૫/૨૦૨૨ ગણત ૧૦૨૦૨૨-૯૫૨/ઝ ના માર્ગદર્શક પરિપત્રો કર્યા છે. પરંતું મહેસુલી અધિકારીઓને વિવેકાધીન સતા આપવાથી જમીનના સાચા જમીનધારકોને જુનીશરત / નવીશરતની પળોજણમાંથી મુક્તિ મળી નથી.

ગણોતધારો ૧૯૪૮ અને જુદાજુદા સતાપ્રકાર અધિનિયમ અને ખાસ કરીને દેવસ્થાન / ઈનામી નાબુદી ધારામાં ૧૯૬૯માં પણ ગણોતધારાની કલમ-૮૮બી હેઠળ સાર્વજનિક / ધર્માદા / દેવસ્થાન શૈક્ષણિક સંસ્થાઓ વિગેરેને આવી જમીનો ઉપર ગણોતીયા હોય તો તેઓને કાયમી કબજા હક્ક ન આપવા અને સંસ્થાઓની સખાવતી સંસ્થાઓને મુક્તિ આપવાની જોગવાઈ છે. આ સતાઓ મામલતદાર અને કૃષિપંચને આપવામાં આવેલ, આ જોગવાઈઓને મુળભુત હેતુ સખાવતી સંસ્થાઓને તેમની રચનાત્મક પ્રકૃતિ ચાલુ રહે તે માટે ગણોતધારાની તેમજ અન્ય સતાપ્રકાર કાયદામાંથી મુક્તિ આપવામાં આવેલ, પરંતું મોટાભાગે સમયાંતરે જુના સખાવતી / સાર્વજનિક ટ્રસ્ટના સંચાલકો મૃત્યુ પામવાથી કે સંચાલક મંડળ બદલાવાથી ટ્રસ્ટોની જમીનોના અને ખાસ કરીને દેવસ્થાનની જમીનોમાં જે પુજારી કે કબજેદાર હતા તેઓએ બારોબાર જમીનો વેચી દીધી અથવા ખેડુતનો દરજ્જો ગણીને જમીનો અન્ય જગ્યાએ વેચાણ પછી આપી દીધી હતી. દેવસ્થાનની જમીનો આ રીતે બારોબાર વેચાણ કરવાના કિસ્સા બાબતમાં નિયંત્રણ લાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ગણોતધારાની કલમ-૮૮ઈ ઉમેરવામાં આવી અને ૧૯૮૭નાં સુધારા કાયદાથી આ જોગવાઈ લાગુ કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટ એસસીએ નંબર ૯૮૭૬/૧૯૯૨ માં જસ્ટીસ આર.એમ. દોશીતે ૧૩/૧૦/૨૦૦૦ થી ચુકાદો આપી દેવસ્થાન / ઈનામી / ગણોતધારાની તમામ જોગવાઈઓની સ્પષ્ટતા કરતાં જણાવેલ છે કે જે કોઈ દેવસ્થાન ઈનામી નાબુદી ધારાની ૧૯૬૯ હેઠળ Deemed Purchaser બન્યા તેઓની ૧૯૮૭ પહેલાંની જમીન જુની શરતની ગણાય અને ૧૯૮૭ બાદ જમીન ગ્રાન્ટ કરવામાં આવી હોય તો તે જમીન નવી - નિયંત્રિત સતાપ્રકારની ગણાય અને આ અંગે મહેસુલ વિભાગે ૮/૪/૨૦૨૦ના પરિપત્ર ક્રમાંક ગણત-૧૧૦૭/૩૭૪૦/ઝ અન્વયે જરૂરી સ્પષ્ટતાઓ કરી છે અને તે મુજબ સ્પષ્ટપણે દેવસ્થાન ઈનામી ધારાની અમલની તારીખ ૧૫/૧૧/૬૯ છે અને ગણોતધારાના ૮૮બી હેઠળ મુક્તિ આપેલ જમીનોમાં કે ૬૯ બાદ કબજેદાર બનાવેલના કિસ્સામાં સુધારા કાયદાની અમલની તારીખ ૨૦/૪/૧૯૮૭ છે અને તે અનુસાર જુનીશરત / નવીશરતની જમીનો ગણવાની છે.

હવે સૌરાષ્ટ્રમાં જે દેવસ્થાન ઈનામી ધારો-૧૯૬૯ અમલમાં આવ્યો તે પહેલાં બારખલી અધિનિયમ હેઠળ ધાર્મિક અને સખાવતી સંસ્થાઓએ ધારણ કરેલ જમીનોની જોગવાઈ હતી. આ ધાર્મિક અને સખાવતી સંસ્થાઓએ ધારણ કરેલ જમીનોના દેવસ્થાનમાં જે પુજારી હતા અથવા તો સંચાલકો હતા તેઓએ મંદિરના દિવા / પુજા માટે પુજારીઓના નામ બીજા હક્કમાં રાખવાના હતા પરંતું તેઓના નામ ઘણી જગ્યાએ ૭ટ૧૨માં કબજેદાર તરીકે દર્શાવતા ઘણી જગ્યાએ પુજારીઓ / સંચાલકો ખેડુતનો દરજ્જો ધારણ કરીને જમીનો વેચી દીધી / અને ખેડુત તરીકે અન્ય જગ્યાઓએ જમીનો ખરીદી લીધી આવી મોટા પાયે ગેરરીતી થતી હોવાનું અમો કલેક્ટર રાજકોટ હતા ત્યારે ધ્યાનમાં આવ્યું અને સરકારનું આ બાબતમાં ધ્યાન દોરતાં મહેસુલ વિભાગે તા. ૯/૪/૨૦૧૦ના પરિપત્ર ક્રમાંક-એસ-૩૦-૨૨૦૭-૩૩૪૭/ઝ અન્વયે ધાર્મિક અને સખાવતી હેતુ માટે ધારણ કરેલ જમીનના કબજા હક્ક અને ખેડુતના દરજ્જા અંગે માર્ગદર્શક સુચનાઓ આપી છે અને તે અનુસાર ધાર્મિક / સખાવતી સંસ્થાને જાતખેડ માટે જમીનના ભોગવટદાર ગણવામાં આવશે નહિ કે પુજારીને આજ રીતે સરકારના આ પરિપત્રના આધારે ચેરીટી કમિશનરના તા. ૧૨/૧૦/૨૦૧૦ના પરિપત્રથી આ કાયદાના અને સરકારે સ્પષ્ટતા કરી છે તેનો ભંગ કરીને કોઈ વેચાણ / તબદીલીના આધારે નોંધો હક્કપત્રકમાં પાડવામાં આવી હોય તો આવી નોંધો રીવીઝનમાં લઈ રદ્દ કરવા જણાવવામાં આવ્યું છે. આમ જમીન સુધારા કાયદાઓ અને સતાપ્રકાર નાબુદી અધિનિયમોમાં જાહેર ટ્રસ્ટો / ધાર્મિક સંસ્થાઓને મુળભુત હેતુ જળવાય અને રચનાત્મક પ્રકૃતિ ચાલુ રહે તે માટે ગણોતધારામાંથી મુક્તિ આપવામાં આવેલ, પરંતું આજકાલ જમીનોના ભાવમાં વધારો થવાથી અથવા તો ધાર્મિક સંસ્થાઓએ ધારણ કરેલ જમીનોને જાહેર ટ્રસ્ટનું સંસ્થાકીય સ્વરૂપ ન આપવાથી અને જાહેર ટ્રસ્ટોએ પણ ધારણ કરેલ જમીનો સમયાંતરે સંચાલકો બદલવાથી અથવા મુળભુત હેતુ મુજબ સંચાલન થતું ન હોવથી મુળ સારા હેતુ માટે મુક્તિ આપવામાં આવેલ તે ગેરરીતી કરી તબદીલ કરવામાં આવી રહી છે અને આ જમીનોના સતાપ્રકાર અંગે પણ અર્થઘટનના પ્રશ્નો ઉપર વિસંગતતા પ્રવર્તે છે. જે સારા અને પ્રામાણિક ટ્રસ્ટોનું હિત જળવાય અને મુળભુત હેતુ નિષ્ફળ બનાવી જમીનો તબદીલ થઈ રહી છે. તે નિયંત્રિત કરવી જરૂરી છે.