ખાંડમાં આંતરીક પુરવઠો 340થી 345 લાખ ટનનો અંદાજાયો
- ઊભી બજારે - દિલીપ શાહ
- વાર્ષિક માગ 280 લાખ ટનઃ સરકારે શેરડીના એફઆરપી ભાવ વધારતાં હવે ઈથેનોલના ભાવ પણ વધારવા શરૂ થયેલી માગણી
દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. દેશમાં તાજેતરમાં ઉનાળાની મોસમમાં તાપમાન ખાસ્સું ઉંચું રહેતાં તથા ગરમી વધતાં વિવિધ ઠંડા પીણાની માગ વધતાં આ ક્ષેત્રો તરફથી ખાંડ બજાર તથા ઉદ્યોગમાં ખાંડની માગ નોંધપાત્ર ઉંચી રહી હતી. જો કે હવે ઉનાળો પુરો થતાં તથા વરસાદની મોસમ નજીક આવતાં ખાંડની માગમાં વૃદ્ધી ધીમી પડવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. આની અસર બજાર ભાવ પર દેખાવાની શક્યતા બતાવાતી હતી. દરમિયાન, ભારતમાં ૨૦૨૪-૨૫ની મોસમમાં ખાંડનું ઉત્પાદન (વર્તમાન મોસમમાં) ૧૫મી મે સુધીના ગાળામાં આશરે ૨૫૭થી ૨૫૮ લાખ ટન જેટલું થયું હોવાનું ઈન્ડિયન સુગર એન્ડ બાયોએનર્જી મેન્યુફેકચરર્સ એસોસીયેશન ઈસ્માના સૂત્રોએ જણાવ્યું હતું.
દેશમાં શેરડીની પિલાણ મોસમ પુરી થવાની અણીએ પહોંચી છે. જો કે તામિલનાડુમાં હજી અમુક ખાંડ મિલોમાં શેરડીના પિલાણની કામગીરી ચાલુ રહી હોવાના સમાચાર દક્ષિણ ભારત ખાતેથી મળ્યા હતા. વર્તમાન ખાંડ મોસમ ૨૦૨૪ના ઓકટોબર મહિનામાં શરૂ થઈ હતી તથા આ વર્ષે સપ્ટેમ્બર અંતે આ મોસમ પૂર્ણ થશે ત્યારે ૨૦૨૪-૨૫ની સંપૂર્ણ ખાંડ મોસમમાં દેશમાં ખાંડનું કુલ ઉત્પાદન ૨૬૧થી ૨૬૨ લાખ ટન સુધી પહોંચવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ૨૦૨૪-૨૫ની વર્તમાન ખાંડ મોસમ જ્યારે ઓકટોબર ૨૦૨૪માં શરૂ થઈ હતી એ વખતે પાછલી મોસમનો સિલ્લક ખાંડનો સ્ટોક આશરે ૮૦ લાખ ટનનો નોંધાયો હતો. આ જોતાં ૨૦૨૪-૨૫ની મોસમમાં ખાંડનો કુલ આંતરિક ઉપલબ્ધ પુરવઠો (સપ્લાય) આશરે ૩૪૦થી ૩૪૫ લાખ ટનનો રહેવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, દેશમાં ખાંડની વાર્ષિક માગ સ્થાનિક ડિમાન્ડ આશરે ૨૮૦ લાખ ટનની ગણાય છે તથા વાર્ષિક ધોરણે નિકાસ આશરે નવ લાખ ટન ગણતાં ૨૦૨૪-૨૫ની વર્તમાન ખાંડ મોસમ જે સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે પૂરી થશે ત્યારે દેશમાં ખાંડનો સિલ્લક સ્ટોક આશરે ૫૨થી ૫૩ લાખ ટન જેટલો રહી જવાનું અનુમાન જાણકારો બતાવી રહ્યા છે. તાજેતરમાં એપ્રિલ અંત સ ુધીના આંકડા જોતાં આશરે ૨૭ લાખ ટન ખાંડ ઈથેનોલના ઉત્પાદન તરફ વળ્યાના સમાચાર મળ્યા હતા તથા મોસમના અંત સુધીમાં આ આંકડામાં આશરે ૬થી ૭ લાખ ટનનો ઉમેરો થવાની શક્યતા જણાય છે. એવું ખાંડ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં પાછલી મોસમમાં ખાંડની વાર્ષિક ધોરણે સ્થાનિક માગ ૨૯૦ લાખ ટન નોંધાઈ હતી તે આ વર્ષે ૨૮૦ લાખ ટન આસપાસ અંદાજાઈ રહી છે. દરમિયાન, સરકારે સુગર (કન્ટ્રોલ) ૨૦૨૫ રજૂ કર્યો છે જે હેઠળ દેશમાં ખાંડના કુલ સ્ટોકના આંકડામાં રો-સુગરનો પણ સમાવેશ કરવાનું નક્કી કરાયું છે. આ પૂર્વે ખાંડસરી તથા ઓર્ગેનિકના નામે આવી રો-સુગર દેશમાં વેંચાતી હતી અને સરકારે નવા કાયદા હેઠળ આવી પ્રવૃત્તિને કાબુમા રાખવાના પ્રયત્નો શરૂ કર્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ભારતમાં આવા ખાંડ સરીના ઉત્પાદક એકમો આશરે ૩૭૦થી ૩૭૫ જેટલા ગણાય છે. આવા ઉત્પાદક એકમોને શેરડીનો પુરવઠો પુરો પાડતા શેરડી ઉગાડતા ખેડૂતોને હવે નવા સુગર કન્ટ્રોલ કાયદા હેઠળ શેરડીના વ્યાજબી ભાવ મળતા થવાની શક્યતા સરકારી સૂત્રો બતાવી રહ્યા હતા. આ પૂર્વે દેશમાં ખાંડસરીની બજાર તથા ઉદ્યોગ અનિયંત્રીત હતો તે હવે નિયંત્રીત થવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, દેશમાં ૨૦૨૩-૨૪ની મોસમમાં આશરે ૨૧થી ૨૨ લાખ ટન ખાંડ ઈથેનોલ (બાયો-ફયુઅલ)ના ઉત્પાદન તરફ વાળવામાં આવી હતી.