Get The App

યુદ્ધના પગલે ભારતના ચા નિકાસકારોમાં વધેલો અજંપો

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
યુદ્ધના પગલે ભારતના ચા નિકાસકારોમાં વધેલો અજંપો 1 - image


- ઊભી બજારે - દિલીપ શાહ

- દેશમાંથી થતી ઓર્થોડોક્સ ચાની એક્સપોર્ટને ફટકો પડવાની ભીતિ

દેશમાં ચા બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ઇઝરાયેલ તથા ઈરાન વચ્ચે ઓચિંતા ફાટી નિકળેેલા યુદ્ધના પગલે ભારતના ચા નિકાસકારોમાં અજંપો તાજેતરમાં વધ્યાના વાવડ મળ્યા હતા.  સામાન્ય સંજોગોમાં ભારતથી ઈરાન તરફ ચાની નોંધપાત્ર નિકાસ થતી હોય છે અનેહવે યુદ્ધના માહોલમાં આવી નિકાસને અસર પડવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ખાસ કરીને ઓર્થોડોક્સ  ચાની બજાર પર આની વિશેષ અસર પડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

ભારતથી ચાની નિકાસ ઈરાક તથા ઈરાન તરફ વિશેષ થાય છે. ભારતથી ઓર્થોડોક્સ ચાની નિકાસ ઈરાન તરફ વિશેષ થાય છે. એવું ઈન્ડિયન ટી એક્સપોર્ટર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ચાની નિકાસ ૬૯૨થી ૬૯૩ લાખ  કિલો જેટલી થઈ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આ ગાળામાં આવી નિકાસમાં આશરે અઢી ટકાની વૃદ્ધી થઈ છે. ઈરાન તરફ ચાની નિકાસમાં આ ગાળામાં વૃદ્ધી જળવાઈ રહી હતી. જો કે હવે સિનારિયો બદલાયો છે. ૨૦૨૪માં દેશમાંથી ચાની નિકાસ આશરે ૧૦ ટકા વધી  ૨૫૪૬થી ૨૫૪૭ લાખ કિલો જેટલી થઈ હતી જે ૨૦૨૩માં આશરે ૨૩૧૬થી  ૨૩૧૭ લાખ કિલો થઈ હતી. ૨૦૨૪માં ભારતની ચામાં ઈરાક તથા ઈરાનની માગ નોંધપાત્ર જોવા મળી હતી. હવે યુદ્ધના માહોલમાં અમેરિકા દ્વારા જો ઈરાન પર વધુ પ્રતિબંધો મૂકવામાં આવશે તો ભારતના ચા નિકાસકારોને વધુ માઠી અસરનો સામનો કરવો પડશે એવી ગણતરી ચા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

આ  વર્ષે પ્રથમ ચાર મહિનામાં ભારતના ચા બજારોમાં ભાવ આશરે ૧૭થી ૧૮ ટકા જેટલા વધ્યા હતા. આ ગાળામાં ભારતની ચામાં ઈરાન તથા ઈરાક  ઉપરાંત રશિયા તથા યુનાઈટેડ આરબ અમિરાતના દેશોની માગ વિશેષ જોવા મળી હતી.

સરકાર હસ્તકના  ટી-બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ચાના જથ્થાબંધસરેરાશ બજાર ભાવ જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન કિલોદીઠ વધી રૂ.૧૬૦થી ૧૬૧ થયા  હતા જે ગયા  વર્ષે આ ગાળામાં સરેરાશ રૂ.૧૩૬થી ૧૩૭ જેટલા નોંધાયા હતા. આ સૂત્રોના જણાવ્યા મુજબ  પ્રીમિયમ ઓર્થોડોક્સ  (હેન્ડરોલ્ડ) ચા તથા કોમન સીટીસી ડસ્ટ ચા અન ે લીફ-ચા (સાઉથ ઈન્ડિયા, આસામ તથા પશ્ચિમ બંગાળની) આ વિવિધ ચાના સરેરાશ ભાવને ગણતરીમાં લઈ આ સરેરાશ ભાવ નક્કી કરવામાં આવે છે. ભારતમાં આ  વર્ષે પ્રથમ વાર મહિનામાં પ્રીમિયમ ઓર્થોડોક્સ ચાની વિશેષ  નિકાસ  થઈ હતી. આસામમાં ઓક્શનોમાં ઓર્થોડોક્સ ચાના કિલોદીઠ  રૂ.૩૧૪થી ૩૧૫ના રેકોર્ડ ભાવ આ  વર્ષે ઉપજ્યા હતા.

જો કે જૂનમાં ગૌહત્તી તથા કલકત્તા ખાતે ચાના ઓક્શનોમાં ચાના બગીચાઓમાંથી સેકન્ડ ફલશના નવા માલોની સપ્લાય શરૂ થઈ છે એવા સમાચાર પણ આવી રહ્યા હતા. ગયા વર્ષે ભારતે ચાની આશરે રૂ.૭૧૧૦થી ૭૧૧૫ કરોડની નિકાસ કરી હતી અને શ્રીલંકાને પાછળ મુકી ભારત ચાની નિકાસમાં ચોથા ક્રમાંકથી આગળ વધી ત્રીજા ક્રમાંકે આવી ગયું હતું.  દરમિયાન, આ વર્ષે પ્રથમ ચાર મહિનામાં દેશમાં ચાનું ઉત્પાદન ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ આશરે ૨૮૯થી ૨૯૦ લાખ કિલો વધી ૨૦૩૧થી ૨૦૩૨ લાખ કિલો થયું છે.સરકારે સો ટકા સીટીસી ડસ્ટ ચામાં ઓકશનો ફરજીયાત બનાવ્યા પછી ઓકશનોમાં માગ વધી હોવાનું કલકત્તા ટી ટ્રેડર્સ એસોસીયેશનના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, ટી-બોર્ડ દ્વારા દેશવ્પાયી ધોરણે  ચાના ઓકશનોના નિયમોમાં ફેરફાર કરાયા  છે તથા સેમ્પલીંગના ધારાધોરણો પણ બદલાયા હોવાનું તાજેતરમાં બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રામસેશન કમિટી દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તથા સજેશનોના પગલે સરકાર હસ્તકના ટી-બોર્ડ દ્વારા ઓક્શનોના નિયમો તથા સેમ્પલીંગના નિયમોમાં તાજેતરમાં ફેરફારો કરવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા.

Tags :