કઠોળની વ્યાપક આયાતથી હેબતાઈ ગયેલો ખેડૂત વર્ગ
- ઊભી બજારે - દિલીપ શાહ
- કઠોળની આશરે 70 લાખ ટનની આયાત થતાં સાડા પાંચ અબજ ડોલરનું હુંડિયામણ ખર્ચાઈ ગયું
દેશમાં આ વર્ષે મોન્સૂનનું આગમન અપેક્ષા કરતાં વહેલું થતાં કૃષી બજારોમાં રાહત તથા આનંદની લાગણી જોવા મળી છે.ચોમાસાનો આરંભ ધમાકેદાર થયો છે અને હવે આગળ ઉપર વરસાદની પ્રગતી કેવી રહે છે તેના પર કૃષી બજારોના ખેલાડીઓની તથા ખેડૂત વર્ગની નજર રહી છે. દરમિયાન, દાળ-કઠોળની બજારના સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદની આગાહી પ્રોત્સાહક થઈ રહી છે એ જોતાં આગળ ઉપર ઘરઆંગણે વિવિધ કઠોળનો પાક સારો આવશે એવી આશા બંધાઈ છે. દેશમાં વિવિધ દાળ-કઠોળની એકંદર સપ્લાય સારી રહેવાની તથા બજાર ભાવ વ્યાજબી મથાળે રહેવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ખરીફ પાકના સંજોગો આશાસ્પદ જણાઈ રહ્યા છે. આ વર્ષે દાળ-કઠોળ બજારમાં તેજી આવવાની શક્યતા ઓછી જણાય છે, એવું ઈન્ડિયા પલ્સસિ એન્ડ ગ્રેઈન એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું. વિવિધ કઠોળના બજાર ભાવ ઉત્પાદક મથકોએ મિનિમમ સપોર્ટ ભાવ આસપાસ તથા ઘણા કિસ્સાઓમાં તો ટેકાના આવા ભાવથી પણ નીચા બોલાતા થયાના વાવડ મથકોએથી મળી રહ્યા હતા. દરમિયાન, સરકારે આશરે સાડા પાંચથી છ લાખ ટન તુવેરની ખરીદી કરી હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યા છે, સરકારની ખરીદી છતાં તુવેરના ભાવ ટેકાના ભાવથી નીચા જોવા મળ્યા છે એ વાત આશ્ચર્યજનક ગણાઈ છે. હકીકતમાં પુરવઠો વ્યાપક રહ્યો છે ત્યારે સરકારની ખરીદી છતાં બજાર ભાવ પર દબાણ જળવાઈ રહ્યું છે.
દરમિયાન સરકારે વિવિધ કૃષી ચીજોના ટેકાના ભાવ તાજેતરમાં જાહેર કર્યા છે એને તેને કૃષી બજારોમાં ખાસ્સો આવકાર મળ્યાના સંકેતો મળ્યા હતા. અડદના આવા ટેકાના ભાવ કિવ.ના રૂ.૭૪૦૦ વાળા રૂ.૭૮૦૦ કરવામાં આવ્યા છે. જ્યારે તુવેરના ટેકીના ભાવ રૂ.૭૫૫૦ વાળા રૂ.૮૦૦૦ કરાયા છે. મગના સપોર્ટ પ્રાઈસ રૂ.૮૬૮૨ થી વધી ૮૭૬૮ કરાયા છે. અન્ય વિવિધ કૃષી ચીજોના આવા ટેકાના ભાવ વધારવામાં આવ્યા છે. દેશમાં કૃષી ઉત્પાદન વધારવા તથા આયાત પર આધાર ઘટાડવા સરકાર કટીબદ્ધ બની છે. ખાસ કરીને કઠોળની આયાત તથા ખાદ્યતેલોની આયાત ઘટાડવા અને ઘરઆંગણે ઉત્પાદન વધારવા સરકારે વિવિધ પગલાંઓ તાજેતરમાં ભર્યા છે અને હવે તેની અસર આગળ ઉપર કેવી કારગત નિવડે છે તેના પર કૃષી બજારોના ખેલાડીઓની નજર રહી છે.
દરમિયાન, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય-પ્રદેશ, કર્ણાટક વિ.ની વિવિધ મંડીઓમાં તુવેરના ભાવ જાતવાર કિવ.ના રૂ.૬૦૦૦થી ૭૨૦૦ આસપાસ તાજેતરમાં જોવા મળ્યા હતા. સરકારે વિવિધ કઠોળની ઈમ્પોર્ટ નિતી હળવી રાખી છે. આના પગલે દેશમાં તાજેતરના સમયમાં તુવેર, અડદ, મસુર, પીળા વટાણા વિ.ની ઈમ્પોર્ટ વ્યાપક થઈ છે અને બજાર ભાવ ઘરઆંગણે દબાણ હેઠળ રહ્યા છે. આવી છૂટથી આયાત થતી રહેશે તો દેશના ખેડૂતોને વધુ ફટકો પડશે એવી ગણતરી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલસીડસ મર્ચન્ટ એસોસીએશનના સૂત્રો બતાવી રહ્યા હતા. પીળા વટાણાની ડયુટી -ફ્રી આયાતની વિન્ડો મે મહિનાના અંતે પુરી થઈ રહી છે. તુવેર તથા અડદ માટે આવી ઈમ્પોર્ટ નિતી આવતા વર્ષના માર્ચ મહિના સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યાના સમાચાર તાજેતરમાં મળ્યા હતા.
દેશમાં ૨૦૨૪-૨૫માં પીળા વટાણાની ઈમ્પોર્ટ ૧૧થી ૧૨ લાખ ટનથી વધી ૨૧થી ૨૨ લાખ ટન થઈ છે જ્યારે તુવેરની આયાત થી ,૮ લાખ ટનથી વધી ૧૨થી ૧૩ લાખ ટન થઈ છે. અડદની આયાત ૬થી ૭ લાખ ટનથી વધી ૮થી ૯ લાખ ટન થઈ છે. ચણાની આયાત અનેકગણી વધી ૧૪થી ૧૫ લાખ ટન થઈ છે. જોકે આ ગાળામાં મસુરની ઈમ્પોર્ટ ૧૬થી ૧૭ લાખ ટનથી ઘટી ૧૨થી ૧૩ લાખ ટન થયાના વાવડ મળ્યા હતા. વિવિધ કઠોળની કુલ આયાત ૪૪થી ૪૫ લાખ ટનથી વધી ૬૮થી ૬૯ લાખ ટન થઈ છે. ઘરઆંગણે આયાતી કઠોળના ઢગલા થતાં ખેડૂતવર્ગ પણ હેબતાઈ ગયો છે. ૨૦૨૪થી ૨૦૨૫માં કઠોળની આયાત પાછળ આપણે આશરે સાડા પાંચ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે!