- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- વોકલ ફોર લોકલનો મંત્ર ગામડામાં થતા ઉત્પાદનોને ફળ્યો છે. તહેવારો મહત્વના બન્યા
- અહીં માત્ર હોળી-ધૂળેટીના તહેવારોમાં વેચાણની વાત નથી પરંતુ ફાગણમાં ડાકોરનો મેળો, દ્રારકા, અંબાજી જેવા સ્થળોએ લાખો શ્રધ્ધાળુઓની ભીડ પણ છૂટક વેચનારાઓને બે પાંદડે સુખી કરી શકે છે.
આવતી કાલે હોળી અને ત્યારબાદ ધૂળેટીનું પર્વ આવશે. તમામ હિન્દુ તહેવારો આર્થિક તંત્રનું ચક્ર વેગવંતુ બનાવી રાખે છે. તહેવારો સમયાંતર આવતા રહે છે અને પૈસાને ફરતો રાખે છે. કેટલાક તહેવારો ્અઠવાડિયા સુધી ચાલતા હોય છે તો તેના માટેની ખરીદી એડવાન્સમાં મહિના પહેલા કરાતી હોય છે.
તહેવારો અને આર્થિક તંત્ર એક બીજા સાથે વણાયેલા છે. છૈં ના જમાનામાં પણ તહેવારો ઉજવવાનો ઉત્સાહ વધતો જોવા મળે છે. ઉત્સાહ વધે એટલે લોકોની ખરીદ શક્તિ વધે જેના કારણે પૈસો ફરતો થાય છે જે આર્થિક તંત્ર માટે બહુ ઉપયોગી બની જાય છે.
કેટલાક તહેવારો ગામડામાં અને કુટીર ઉદ્યોગમાં બનતી ચીજોના વેચાણમાં ઉછાળો લાવે છે જેના પગલે ગામડાનું આર્થિક તંત્ર મજબૂત બને છે. એક સમય હતો કે હોળીમાં વપરાતી પીચકારી ચીનથી આવતી હતી પરંતુ હવે વોેકલ ફોર લોેકલનો ચીપીયો વડાપ્રધાને પછાડતાં ગામડામાં જેનું ઉત્પાદન થાય છે તેવી ચીજોનું માર્કેટ જોવા મળે છે. ગામડાને સમૃધ્ધ બનાવવાનો આઇડયા ત્યારેજ સફળ થાય એમ હતો કે જ્યારે ત્યાં સ્થાનિક સ્તરે બનાવેલી ચીજોનું ઉત્પાદન વેચાય.
તહેવારોમાં ગામડામાં બનતી ચીજોનું ધૂમ વેચાણ થાય છે. એક અંદાજ પ્રમાણે હોળી ધૂળેટીના તહેવારોમાં સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ ૯૦,૦૦૦ કરોડને વટાવી દેશે. એમ લાગે છે કે વોકલ ફોર લોકલનો મંત્ર ગામડામાં થતા ઉત્પાદનોને ફળ્યો છે.
ગામડા અને ટાઉન લેવલે કરાતા ઉત્પાદનોમાં વેચાણ સૌથી મોટી સમસ્યા હતી. ગામડાની ચીજો જેવી કે નાના રમકડાં, માટીના રમકડાં, પીપુડાં-ફૂગ્ગા ,આંબળા-આંબોળીયા, અથાણાં, પાપડ વગેરે વેચવા માટે નજીકના શહેરમાં જવું પડતું હતું. એટલેજ સરકારે પરંપરાગત મેળાને વધુ પ્રોત્સાહન આપવું શરૂ કર્યું હતું.
મોદી સરકાર જાણતી હતી કે ગામડાના લોકોના જીવનમાં સુધારણા લાવી હશે તો તેમને આર્થિક રીતે સધ્ધર બનાવવા પડશે. સરકારે વોકલ ફોર લોકલની જાહેરાતની સાથે કુટીર ઉદ્યોગો અને ગામડાને આસાનીથી લોન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી હતી. ઉત્પાદન કર્યા પછી લોકોને માલ વેચવા માટે વિવિધ પ્રદર્શનો મારફતે પ્લેટફોર્મ ઉભા કરી આપ્યા હતા. ઇ-કોમર્સ પર પણ તે માલ વેચી શકે તેવી વ્યવસ્થા કરી અપાઇ હતી.
વિવિધ મેળા, સરકારી હાટ, પ્રદર્શનો, લોકમેળા તેમજ અવાર નવાર નિશ્ચિત સમયે આવતા ઘાર્મિક તહેવારો ગામડાની ઉત્પાદનોના વેચાણ માટેના ગઢ બની ગયા હતા. માત્ર હોળી-ધૂળેટીના તહેવારોમાં જ્યારે ૯૦,૦૦૦ કરોડ રૂપિયાનું વેચાણ થાય તો બજારમાં કેટલો પૈસો ઠલવાય છે તે કલ્પી શકાય છે. બજારના સૂત્રો અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ંઆ બિઝનેસમાં ૩૦ ટકાનો વધારો જોવા મળશે.
અહીં માત્ર હોળી-ધૂળેટીના તહેવારોમાં વેચાણની વાત નથી પરંતુ ફાગણમાં ડાકોરનો મેળો, દ્રારકા, અંબાજી જેવા સ્થળોએ લાખો શ્રધ્ધાળુઓની ભીડ પણ છૂટક વેચનારાઓને બે પાંદડે સુખી કરી શકે છે. લાખો પદયાત્રીઓ ડાકોર પદયાત્રા પહોંચશે એમ દ્રારકા પણ હજારો લોકો પદયાત્રા કરીને પહેંાચશે. આ લોકો નાની મોટી ખરીદી કરવા ટેવાયેલા હોય છે.
હોળી-ધૂળેટીના તહેવારોની ખરીદીમાં દેશી ગુલાલ, કુદરતી કલર, પિચકારી, ફૂગ્ગા,પૂજાનો માલસમાન,તૈયાર કપડાં તેમજ સુશોભનની ચીજો વગેરેનું ધૂમ વેચાણ જોવા મળે છે. આવી આઇટમો ગામડાના લેવલે ઘેર બેઠા કે કુટીર ઉદ્યોગમાં તૈયાર કરાય છે. તેમનામાં રહેલું કૌશલ્ય આર્થિક ઉપાર્જન કરી શકતું નથી પરંતુ જ્યારથી વોકલ ફોર લોકલની શરૂઆત કરાઇ છે ત્યારથી તે લોકો પોતાની પ્રોડક્ટ વેચીને ખેતી ઉપરાંતની વધારાની આવક ઉભી કરી શકે છે.
નાના ગામડાઓમાં વધતી આવક પર નજર કરીને વાત કરીયે તો ડાકોરમાં જ્યારે હોળીના તહેવારોમાં દશેક લાખ લોકો દર્શને આવશે ત્યારે નાની ચાની કીટલીથી માંડીને પાથરણા પાથરીને માટીના રમકડાં વેચનારા સુધીનાની આવક બમણી થાય છે. ખુંમચાવાળાથી માંડીને રેસ્ટોરાં અને ધર્મશાળાઓથી માંડીને નાની હોટલો સુધી સાત દિવસ માટે એડવાન્સ બુકીંગ થાય છે. લોકોની ઇન્કવાયરી જોઇને તે લોકો બેફામ ભાવ લઇને તકવાદી બની જાય છે. સામાન્ય દિવસોમાં ધાર્મિક સ્થળો ખાલી હોય છે અને કોઇને આવક થતી નથી.
કેટલાક લોકો એમ કહેતા હોય છે કે ધાર્મિક સ્થળો પર નાના વેપારીઓ વધુ ભાવ પડાવે છે અને તકનો લાભ લે છે. પંદર દિવસ અગાઉ જ્યારે દિલ્હીમાં ઇમ્પેક્ટ સમિટ યોજાઇ ત્યારે વિદેશના કે લિગેટ્સ મોટી સંખ્યામાં ઉમટયા હતા. દરેક લકઝરી હોટલો પેક હતી અને એક દિવસના સ્ટેના દશ લાખ રૂપિયા લેવાયા હતા. ત્યારે કોઇ ઉહાપોહ થયો નહોતો અને લોકોએ દિવસના દશ લાખ ચૂકવ્યા હતા.મોટી હોટલો કમાવવાની તકનો ઉપયોગ કરે તો નાના વેપારીઓ તહેવારોને તક સમજીને કમાણી કરે તે સ્વભાવિક બનતું જાય છે.ધૂળેટી સાથે વણાયેલા દોલોત્સવ, રંગોત્સવ અને હરિયાળી હોળી જેવા તહેવારોથી વૈષ્ણવ મંદિરોમાં ભક્તોનો મહાસાગર જોવા મળે છે. વોકલ ફોર લોકલ સિસ્ટમનો સૌથી મોટો લાભ એ થયો છેકે વિદેશથી ખાસ કરીને ચીનથી આવતી આઇટમો બજારમાં દેખાતી બંધ થઇ છે. લોકો પણ દેશની કંપનીઓની ચીજો ખરીદતા થયા છે.
દિલ્હીના બજારોમાં તેમજ ઓનલાઇન વેચાણ કરતી સાઇટ પર હેપીહોલીના મેસેજ આપતી ટી શર્ટનું વેચાણ જોવા મળે છે. જેનું લાખો રૂપિયાનું વેચાણ છે. હોળી -ધૂળેટીના દિવસોમાં માત્ર દિલ્હીમાંજ ૧૫,૦૦૦ કરોડનું વેચાણ થાય છે. દિલ્હીમાં ૩૦૦૦ જેટલા હોળી મિલન કાર્યક્રમ હોય છે. જેમાં હસી-ખુશી-રંગો-ખાણી-પીણી વગેરે જોવા મળે છે. મેટ્રો શહેરોમાં સામુહીક હોળી ઉજવણીનો ટ્રેન્ડ બહુ મોટા પાયે જોવા મળે છે.
આ વખતે હોળી-ધૂળેટી દરમ્યાન રમઝાન માસ પણ છે. રમઝાનમાં તૈયાર કપડાં વગેરેની ખરીદી પણ મોટા પાયે જોવા મળે છે. ખજૂર જેમ હોળીમાં વપરાય છે એમ રમઝાન માસમાં પણ તેનો ઉપયોગ વધુ થાય છે. ખજૂરના વેચાણમાં ૮૦ ટકાનો વધારો થયો છે. રમઝાનમાં ઇકોમર્સ કંપનીઓ સ્પેશયલ સેલ રાખીને તગડી કમાણી કરી લે છે. ફેશનેબલ ક્લોથ,બ્યૂટી પ્રોડક્ટ વગેરેનું વેચાણ જોવા મળે છે.


