લાખો લોકોની નોકરી જોખમમાં AI ની સીધી અસર લે-ઓફ,પાણીચું,રવાના કર્યા
- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- 2025માં અત્યાર સુધીમાં 61,220 જેટલા લોકોને પાણીચું આપી દીધું છે
- ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલી કંપનીઓ પોતાના સ્ટાફને રાતોરાત તગેડી મૂકવામાં બહુ પાવરધી હોય છે. પોતાનો સ્ટાફ જોબ વિના શું કરશે કે તેમનું ઘર કેવીરીતે ચાલશે જેવી સંવેદના તે કંપનીઓમાં ભાગ્યેજ ફૂટે છે
- આઇબીએમએ તાજેતરમાં ૮૦૦૦ લોકોને લે-ઓફ આપીને તેમને જોબ
વિહોણા બનાવી દીધા હતા. કહે છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના (AI) કારણે જોબ પર
કાતર ફેરવવામાં આવે છે. મોટી કંપનીઓ લે-ઓફ માટે બહાનાં શોધતી હોય છે..
લે ઓફ એટલેકે નોકરીમાંથી પાણીચું આપવાની ધટના નામાંકીત ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં વધુ બને છે. મૂળ ભારતની હોય એવી કંપનીઓમાં લે ઓફ જોવા મળે છે પરંતુ નામાંકીત વિદેશી કંપનીઓ કરતાં તે ઓછા પ્રમાણમાં હોય છે. લે ઓફ માટે વિવિધ કારણો બતાવાય છે તેમાંય સૌથી મોટું કારણ કંપનીને પોષાતું નથી. તેનો બીજો અર્થ એવો પણ થાય કે કંપનીની આર્થિક સ્થિતિ સારી નથી. લે-ઓફ એટલે જોબમાંથી દુર કર્યા છે જેને આપણે પાણીચું કહી શકીયે.
મોટી કંપનીઓ વિવિધ બહાના હઠળ લે-ઓફનો ઉપયોગ કરી રહી છ તેમાં સૌથી સાચું અને મહત્વનું આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ના કારણે કપાતી જોબ છે.લાખો લોકોની નોકરી સામે જોખમ
સ્ટાફ બહુ સમજદાર હોય છે. તે લે-ઓફની નોટીસ મળતાંજ સમજી જાય છે કે બીજી જોબ શોધવાની છે. કરોડોમાં કમાણી કરતી કંપનીઓ જ્યારે એમ કહે કે પોષાતું નથી માટે કર્મચારીઓ ઓછા કરવામાં આવી રહ્યા છે ત્યારે તેમની લોકોને મૂરખ બનાવવાની નિતી લોકોની નજરમાં આવી જાય છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલી કંપનીઓ પોતાના સ્ટાફને રાતોરાત તગેડી મુકવામાં બહુ પાવરધી હોય છે. પોતાનો સ્ટાફ જોબ વિના શું કરશે કે તેમનું ઘર કેવીરીતે ચાલશે જેવી સંવેદના તે કંપનીઓમાં ભાગ્યેજ જોવા મળે છે. પડદા પાછળની હકીકત એ હોય છે દરેક કંપનીએ કોન્ટ્રાક્ટ પર લીધેલા જોબ વર્કને પુરૂં કરવા યોગ્ય લોકોને જોબ પર રાખે છે. જ્યારે જોબ વર્કનું કામ પુરૂં થાય કે તરતજ તેને લે-ઓફનું લેબલ બતાવી દેવાય છે.
કોરોનાના કાળમાં અનેક કંપનીએાએ તેમના સ્ટાફને કામ નથી એમ કહીને સ્ટાફ ઓછો કરે છે કે નથી પોષાતું એમ કહીને જોબ આંચકી લેતા હોય છે.
કોમ્પ્યુટર જાયન્ટ માઇક્રોસોફ્ટે પંદર દિવસ અગાઉ તેની રેડમોન્ડ ઓફિસમાંથી ૬૦૦૦ લોકોને લે-ઓફ હેઠળ હટાવી દીધા હતા.માઇક્રોસોફ્ટનો કુલ સ્ટાફ ૨,૨૮,૦૦૦ જેટલો છે.
માત્ર માઇક્રોસોફ્ટ નહીં પણ આઇટી જાયન્ટ ગુગલ અને એમેઝોને પણ ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૬૧,૨૨૦ જેટલા લોકોને પાણીચું આપી દીધું છે. આ આંકડા પરથી કહી શકાય કે ડિસેમ્બર ૨૦૨૫ના અંત સુધીમાં પાણીચું મેળવનારની સંખ્યા બમણી થઇ જવાની છે.
૧૩૦ જેટલી કંપનીઓ લે-ઓફની તલવાર વિંઝતી રહી છે.જ્યારે સ્ટાફને જોબ અપાય છે ત્યારે તે ટેમ્પરરી કહીને અપાય છે. જાન્યુઆરી ૨૦૨૩માં ગુગલની મૂળ કંપની આલ્ફા બેટે જ્યારે એક સાથે ૧૨,૦૦૦ લોકોને પાણીચું આપ્યું ત્યારે હાહાકાર મચી ગયો હતો.
મોટી કંપનીઓ તેમની પ્રેસનોટમાં લે-ઓફને વિવિધ રીતે વર્ણવીને લોકોને મૂરખ બનાવે છે. જેમકે ડાઉન સાઇઝ (ખર્ચ ધટાડવો),જોબ કટ્સ(નોકરીની સંખ્યા ધટાડાવી),હાયરીંગ ફ્રીઝ (કોન્ટ્રાક્ટ આપવાના બંધ કર્યા છે) જેવા શબ્દો વાપર્યા કરે છે. કંપનીના લે-ઓફના નિર્ણયથી ગ્રાહકોને કોઇ તકલીફ નહીં પડે એમ જણાવાય છે.
લે-ઓફનો અર્થ અવો સમજાવાય છે કે જરૂર પડે તમને પાછા બોલાવીશું પરંતુ જેની જોબ અચાનક લઇ લેવાય છે તે જાણે છે કે તેમને વિદાય આપી દેવાઇ છે. નામાંકીત આઇટી કંપનીઓમાં કામ કરતું એચઆર ડિપાર્ટમેન્ટ જેટલો સમય કામ કર્યું હોય છે તેનો હિસાબ પણ ત્વરીત પગાર પેટે ટ્રાન્સફર કરી નાખે છે.
આઇબીએમએ તાજેતરમાં ૮૦૦૦ લોકોને લે-ઓફ આપીને તેમને જોબ વિહોણા બનાવી દીધા હતા. કહે છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના (AI)કારણે જોબ પર કાતર ફેરવવામાં આવી છે. મોટી કંપનીઓ લે-ઓફ માટે બહાનાં શોધતી હોય છે. AI તેમાનું એક છે. AI ના કારણે જોબ નહીં જાય અને જે સ્ટાફ હશે તેને AIની સ્કીલવાળો બનાવાશે, દરેક માટે AI રિફ્રેશમેન્ટ કોર્સ શરૂ કરાશે વગેરે વગેરે વાતો લે-ઓફનું શસ્ત્ર ઉગામતી વખતે કંપનીઓ ભૂલી જતી હોય છે.
મોટી કંપનીઓ પાસે જ્યારે કોઇ મોટું જોબ વર્ક આવે છે ત્યારે મોટાપાયે સ્ટાફની ભરતી કરે છે. જેમની ભરતી કરાય છે તેમને વિવિધ પ્રલોભનો અપાય છે અને કામ પુરૂં થયા પછી વિવિધ બહાના હેઠળ તેમને પાણીચું આપવામાં આવે છે. ચાર-પાંચ લોકોને લે-ઓફ અપાય તો બહુ ધ્યાનમાં નથી આવતું પરંતુ જ્યારે એક સાથે ૩૦૦૦ લોકોના ઇમેલ બોક્સમાં લે-ઓફનો લેટર આવે ત્યારે તે સમાચાર બની જાય છે.
અચાનક આવી પડેલો નોકરી છોડવાનો લેટર અનેક ફેમિલી માટે આધાત સમાન બની જાય છે. તાત્કાલીક બીજી યોગ્ય જોબ મળતી નથી અને એકાદ મહિના સુધી પ્રયાસો કરવા પડે છે.
આઇબીએમ કંપનીના સૂત્રો કહે છે કે હ્યુમન રિસોર્સીસ (HR department) ડિપાર્ટમેન્ટમાં જ્યારથી AI સિસ્ટમ અમલી બનાવાઇ છે ત્યારથી તે ખાતામાંથી ૨૦૦ લોકોને પાણીચું આપી દેવાયું છે.
આઇબીએમના સીઇઓેએ કહ્યું હતું કે કંપનીના વિવિધ ખાતાની કાર્યક્ષમતા વધારવાના પ્રયાસના એક ભાગ રૂપે અપનાવેલી AI સિસ્ટમ ચમત્કારીક પરિણામો આપી રહી છે.જે કંપનીઓ પાસે બે થી અઢી લાખનો સ્ટાફ છે, તેમના માટે ૨૦૦-૪૦૦ લોકોને જોબ પરથી કાઢી મુકવા આસાન હોય છે.
ઘણીવાર કંપની ફડચામાં જાય કે કોર્ટના આદેશના કારણે બંધ કરવી પડે તો પણ સ્ટાફ જોબ વિહોણો બની જાય છે. ઉદાહરણ તરીકે ગયા મહિને જગ્ગી બંધુઓ નાણાની ગેરરીતીના સંદર્ભમાં સેબીના સાણસામાં આવી ગયા ત્યારે તેમની ટેક્ષી રાઇડ કંપની બ્લ્યૂ સ્ટારના ૧૦,૦૦૦ ડ્રાઇવરો અને ૮૦૦ જેટલો સ્ટાફ રાતોરાત બેકાર થઇ ગયો હતો.
જ્યારે કોઇ કંપની નાદારી નોંધાવે છે ત્યારે પણ તેનો સ્ટાફ નોકરી વિહોણો બની જાય છે. આવી નાદાર કંપનીને કોઇ ખરીદે છે ત્યારે તે પણ જુના સ્ટાફની છટણી કરીને કંપનીને વફાદાર સ્ટોફને જોબ પર રાખે છે.
કોઇને નોકરીમાંથી દુર કહીને ગૌરવ અનુભવતી કંપનીઓએ ગુજરાતની કંપનીઓ પાસેથી બોધપાઠ લેવાની જરૂર છે. કોરોના કાળમાં પણ ગુજરાતની કંપનીઓએ લે-ઓફનું શસ્ત્ર ઉગામ્યું નહોતું જે પ્રશંસનીય કહી શકાય.
- તાજેતરના લે-ઓફ પર એક નજર.. કોઇને મંદી નડી , તો કોઇએ કરકસર કરી
* ગઇ ૨૨ મે ૨૦૨૫ના રોજ વોલમાર્ટે ૧૫૦૦ જેટલા સ્ટાફને લે-ઓફ હેઠળ લાવીને તેમને પાણીચું આપી દીધું હતું.
* ૨૧ મે ના રોજ શ્રીડિંગર નામની કંપનીએ ફૂલ ટાઇમ કામ કરતા ૬૦ લોકોને રવાના કર્યા હતા તે તેમના કુલ સ્ટાફના ૭ ટકા જેટલા હતા.
* ૧૭ મે ના રોજ યુ કેર નામની કંપનીએ ૮૦ લોકોને જોબ પર આવવાની ના પાડી દીધી હતી.
* ૧૭ મે ના રોજ અમેરિકી સરકારમાં કામ કરતા કર્મચારીઓ પૈકી દોઢ લાખ લોેકોને કાઢી મુકવાની નોટીસ ફટકારાઇ હતી અને દરેકને જવાબ આપવાનું કહ્યું હતું.
* ૧૯ મે ના રોજ બ્લિન્ક નામની કંપનીએ પોતાની આર્થિક સ્થિતિ સારી નથી એમ કહીને ૨૦ ટકા જેટલા સ્ટાફને સોરી કહી દીધું હતું
* ગઇ ૧૭ માર્ચે રેવલોને (જેક્સ ફેસિલીટી) તેના સ્ટાફમાંથી ૧૨૭ લોકોને લે-ઓફની સ્લીપ બતાવી દીધી હતી.
* જાપાનની કાર બનાવતી કંપની નિસાને ૧૧૦૦૦ જેટલો સ્ટાફ દુર કર્યો ત્યારે મોટાપાયે ઉહાપોહ થયો હતો. કંપનીએ કારણ બતાવ્યું હતું કે કારના વેચાણમાં મંદી હોઇ ખર્ચમાં ધટાડો કરવા પગલું ભરાયું છે.
* માઇક્રોસોફ્ટે ૬૦૦૦ જેટલા સ્ટાફને લે-આઉટની યાદીમાં સમાવી લીધા હતા.
* કન્ઝ્યુમર ગુડ્સ બનાવતી કંપની બરબેરીએ ૧૭૦૦ જેટલા સ્ટાફને દુર કર્યો હતો. લક્ઝરી સામાન ખરીદીમાં મંદીના કારણે સ્ટાફ ઓછો દુર કર્યો હતો. લક્ઝરી સામાન ખરીદીમાં મંદીના કારણે સ્ટાફ ઓછો કરવાનું કારણ દર્શાવાયું હતું.
* ઇલેક્ટ્રીલ વ્હીકલ રાઇડર કંપની બ્લ્યૂ સ્ટારના માલિકો જગ્ગી બંધુઓ જ્યારે સેબીમાં પકડાયા ત્યારે કંપની બંધ કરાઇ હતી જેના કારણે ૧૦,૦૦૦ ડ્રાઇવરોે નોકરી ગુમાવી હતી.
* અમેરિકાની ચાર એકાઉન્ટીંગ કંપનીઓેએ ૧૫૦૦ જેટલો સ્ટાફ રવાના કરી દીધો હતો.
* સાયબર સિક્યોરિટી જાયન્ટ ક્રાઉડ સ્ટ્રાઇકે તેના પાંચ ટકા જેટલા સ્ટાફ પર કાતર ફેરવી છે
* ફોક્સવેગને ૭૦૦૦ જેટલા સ્ટાફને પાણીચું આપી દીધું છે.
* માઇક્રોસોફ્ટે ચીનની કંપની સાથે મળીને શરૂ કરેલ કંપની વિક્રોસોફ્ટે ૨૦૦૦ જેટલો સ્ટાફ દુર કર્યો છે.
સિનીયરોનો અનુભવ લઇને ગુજરાતની કંપનીઓ ધમધમતી હોય છે
ભારતમાંની અનેક કંપનીઓમાં સ્ટાફને કાઢી મુકવાની કે લે-ઓફ જેવા હુલમણા નામનો ઉપયોગ કરવાની પ્રથા નથી. જે કર્મચારી સાથે કંપનીને નથી ફાવતું તેને સુધરવાની તક અપાય છે અને તેની કામગીરીમાં ફેરફાર કરવામાં આવે છે. તેમ છતાં પણ જો કર્મચારી ના સુધરે તો તેને મહિનામાં અન્ય નોકરી શોધવાનું કહેવાય છે. ગુજરાતની અનેક કંપનીઓ ખાસ કરીને સમાચાર માધ્યમોમાં સ્ટાફની ઉંમરનો નહીં પણ તેની બુધ્ધિ શક્તિનો ખ્યાલ રાખીને તેમને જોબ પર ચાલુ રખાય છે. આવી કંપનીઓ સ્ટાફને નિયમોનુસાર નિવૃત્ત કરવા તેનું રાજીનામું લઇ લે છે અને પછી તેને વાઉચર સિસ્ટમ પર ચાલુ રાખે છે. અનેક કંપનીઓ વિચારે છેકે સિનીયર સ્ટાફનો ઉપયોગ કરવાથી કંપનીમાં વફાદારી કરતા સ્ટાફની સંખ્યા વધે છે. કંપનીઓ વિચારે છે કે કોઇ જુનિયર સ્ટાફને લેવાશે તો તેને તૈયાર કરવો પડશે અને તેની પાસે કંપની માટે કોઇ પ્રકારની વફાદારીની અપેક્ષા રાખી નહીં શકાય.
નાની કંપનીઓ કે જ્યાં ૧૫ કરતાં પણ ઓછો સ્ટાફ હોય છે ત્યાં સિક્યોરિટીથી માંડીને ક્લાર્ક સ્તરનો સ્ટાફ નિવૃત્તિની ઉંમર૬૦ વર્ષ ઉપરની હોય છે તે વટાવી ગયો હોય છે. આવી કંપનીઓનું સિનિયર સિટીઝન ક્લબોએ જાહેરમાં સન્માન કરવું જોઇએ. સરકાર માને છેકે નિવૃત્ત થયેલાઓને જોબ પર રાખવાથી બેકારી વધે છે પરંતુ સિક્કાની બીજી બાજુમાં માનવતા છૂપાયેલી છે. પ્રાઇવેટ સેક્ટરમાં પેન્શન સ્કીમ જેવું કશું નથી હોતું એટલે ૬૦ વર્ષ પછીના સ્ટાફને કુટુંબના સંતાનો જોકે કોર્પેારેટ કંપનીઓ પણ હવે અનુભવી સ્ટાફને રાખે છે. કેટલાક સ્ટાફે કંપનીની ત્રણ ત્રણ પેઢી જોડે કામ કર્યું હોય છે.