વૈશ્વિક યુદ્ધના માહોલથી સોના-ચાંદી તથા ઓઈલમાં તેજીનું તોફાન
- કોમોડિટી કરંટ
- જીરા સહિત મસાલામાં નિકાસના અભાવે બજારોમાં મંદીનો માહોલ
આજકાલ સમગ્ર વિશ્વમાં ખાસ કરીને પશ્ચિમી એશિયામાં વિવિધ દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારોમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. જેના લીધે આયાત-નિકાસને ભારે અસર પડી છે. આ સંજોગોમાં સુરક્ષિત રોકાણના વિકલ્પને કારણે સોના તરફ રોકાણકારોનો પ્રવાહ ફંટાતાં ગયા અઠવાડિયે સોનાના ભાવો ઉછળીને રેકોર્ડ સ્તરે પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા એક લાખ છ હજારની ઉચાઈએ જતાં સોનાના ઈતિહાસ બન્યો છે. વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવો ૩૫૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ત્રણે ટકાના વધારા સાથે ઉછાળો નોંધાયો છે. ઈઝરાયલે ઈરાન ઉપર સૈનિક કાર્યવાહી કરીને ઈરાનના અણુમથક ઉપર ઘાતક હુમલાને પરિણામ સ્વરૂપ બુલિયન માર્કેટમાં લાલચોળ તેજીના દર્શન થયા છે. દેશમાં સોના કાયદો ૨૨૦૦ રૂપિયાની નોંધપાત્ર ઉછાળા સાથે ચાંદીના ભાવો પણ પ્રતિ કિલોએ રૂપિયા ૧૧૦૦ના વધારા સાથે એક લાખ છ હજારની સપાટીએ રહેતાં સોના-ચાંદીની બજાર એક સ્તરના ભાવે જોવા મળી છે. યુદ્ધના માહોલની અસરથી કાચાતેલની બજાર પણ ૪૦૦ થી ૫૦૦ રૂપિયાના ઉછાળા સાથે દેશમાં લગભગ ૬૫૦૦ના સ્તરે ઉચા લેવલે પહોંચી છે. કાચા તેલમાં દશેક ટકાનો ઉછાળો રહેતાં ઓઈલ કંપનીઓ ર્ંશય્ભ તથા ઓઈલ ઈન્ડિયા વગેરેમાં પણ શેરોના ભાવોમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને ખાડીના દેશોમાંથી એમેરિકાએ પોતાની ઓફિસો તથા નાગરિકોને બહાર નીકળી જવાની સુચનાઓ જારી કરતાં આગામી દિવસોમાં મામલો વધુ ભડકશે તેવી દહેશતથી બુલિયન તથા તેલ સેક્ટરમાં તેજી ઉછળશે તેવી શક્યતાઓ પ્રબળ બની છે.
બીજી તરફ સ્થાનિક સ્તરે દેશમાં ખાદ્યચીજોનો પુરવઠો જળવાઈ રહે તે માટે સરકાર આયાત-નિકાસ ઉપર સતત વોચ રાખી રહી છે. ખાસ કરીને સૌથી વપરાશ ધરાવતા અનાજ ઘઉ-ચોખા, દાળો તથા તેલીબીયાં ઉપર જરૂરિયાત પાત્ર સ્ટોક માટે સરકાર પ્રાથમિકતા આપી રહી છે. મે-૨૦૨૨થી ઘઉની નિકાસ ઉપરનો પ્રતિબંધ સરકારે યથાવત રાખ્યો છે. જો કે જરૂરિયાત મંદ દેશોને મદદ માટે સરકાર કેટલાક સંજોગોમાં ઘઉની નિકાસ માટે શરતી છુટછાટ આપે તે અલગ બાબત છે. જો કે આ વર્ષે દેશમાં ઘઉં તથા ચોખાનું પર્પાપ્ત માત્રામાં રેકોર્ડ ઉત્પાદન થયું હોવાનું કોમોડિટીના જયવદન ગાંધીએ જણાવ્યું છે.
દરમ્યાન મસાલા ચીજોમાં ખાસ કરીને જીરામાં અપેક્ષા કરતાં વધુ સ્ટોક હોવાની સામે નબળી માંગને કારણે આગામી સમયમાં મોટી તેજી થવાની શક્યતાઓ વેપારી વર્ગ નકારી રહ્યો છે. જીરા ઉત્પાદિત ગુજરાત તથા રાજસ્થાનમાં ખેડૂતો તથા સ્ટોકિસ્ટો-વેપારીઓ પણ મોટા પ્રમાણમાં સ્ટોક હોવાની ચર્ચા છે. રાજસ્થાનમાં હલકી ગુણવત્તા ધરાવતા જીરાનો વેપાર નીચા ભાવો થવાને કારણે સારી ક્વોલીટી ધરાવતા જીરાની બજારને પણ અસર પડી રહી છે. રાજસ્થાનમાં જોધપુર, બાડમેર, બિકાનેર તથા સ્થાનિક સ્તરે ઊંઝા અને સૌરાષ્ટ્ર પંથકમાં પણ જીરાનો સ્ટોક સારા પ્રમાણમાં હોવાની વકી છે. સ્ટોકિસ્ટો તથા ખેડૂત વર્ગે જુનુ જીરૂ કાઢી નાખવાની ફિરાકમાં છે પરંતુ અપેક્ષિત ભાવો નહિ મળવાને કારણે વેપાર નહિ થતા હોવાની હવા છે. વૈશ્વિક યુદ્ધ જેવા માહોલને કારણે જીરા સહિત મસાલા ચીજોની નિકાસમાં સુસ્તી પ્રવર્તી રહી છે ઉચા ભાવે દેશાવરોના વેપારીઓ પણ માલની ખરીદીમાં વેઈટ એન્ડ વોચની સ્થિતિ દર્શાવી રહ્યા છે. આ ઉપરાંત બજારમાં આજકાલ નાણાંભીડ પણ મંદીને પણ સપોર્ટેડ બની રહી છે. નાણાંના અભાવે વેપારો અટકી રહ્યા છે. ગયા અઠવાડિયે જીરા હાજરમાં પ્રતિ મણે રૂપિયા ૭૦ થી ૮૦ રૂપિયાનો સરેરાશ ભાવો તુટી જતાં ૩૮૦૦ થી ૪૦૦૦ની સરેરાશ સપાટીએ બજાર છે. ચીન, ગલ્ફ દેશો, બાંગ્લાદેશ સહિત જીરા વપરાશકાર દેશોમાંથી નિકાસ માંગના અભાવે વેપારો અટકી ગયા છે. જીરા વાયદામાં પણ ભાવો તુટીને પ્રતિ કિવન્ટલે રૂપિયા ૧૯૪૦૦ની સપાટીએ રહ્યા છે. ઉચા ભાવે જીરાની ખરીદી કરેલા કેટલાય વેપારીઓ આજે બજાર તુટવાને કારણે પડતરથી પણ નીચી બજારને કારણે નુકશાની આવી જતાં મુડ ખરાબ થઈ ગયો છે. નાણાંભીડથી વેપારી વર્ગ પરેશાન થઈ રહ્યો છે આ વર્ષે ચોમાસુ સારુ રહે અને જીરાનું વાવેતર ઉપર આગામી સમયમાં તેજી-મંદીનો આધાર રહ્યો છે. જો કે જીરાના વેપારમાં અપેક્ષિત વળતરના અભાવે ખેડૂત વર્ગ કયા પાકની ખેતી તરફ ફંટાય છે તે ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત થઈ છે.