તેલીબિયાં પાકોના વાવેતરમાં ઘટાડો
ખરીફ સિઝનના પાકોના કુલ વિસ્તારમાં વધારો થયો હોવા છતાં, તેલીબિયાં પાકોનું વાવેતર ઘટયું છે. સરકારી આંકડા મુજબ, ૧૫ ઓગસ્ટ સુધીમાં ૧૭૮.૬૪ લાખ હેક્ટરમાં તેલીબિયાં પાકનું વાવેતર થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાનના ૧૮૫.૩૮ લાખ હેક્ટરના તેલીબિયાં વિસ્તાર કરતાં ૩.૬૩ ટકા ઓછું છે. આ સિઝનના મુખ્ય તેલીબિયાં પાક સોયાબીનનું વાવેતર ૩.૮૩ લાખ હેક્ટર ઘટીને ૧૧૯.૮૨ લાખ હેક્ટર થયું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ, બરછટ અનાજનો વિસ્તાર ૪.૭ ટકા વધીને ૧૭૮.૭૩ લાખ હેક્ટર થયો છે. જે સામાન્ય વિસ્તારના ૯૯ ટકા છે. મકાઈનો વિસ્તાર વધીને ૯૧.૮૯ લાખ હેક્ટર થયો છે, જે તેના સામાન્ય વિસ્તાર ૭૮.૯૭ લાખ હેક્ટર કરતાં ઘણો વધારે છે. જુવાર, બાજરી અને રાગીનું વાવેતર ગયા વર્ષ જેટલું જ રહ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં કઠોળના પાકનો વિસ્તાર પણ સુધર્યો છે. ૧૫ ઓગસ્ટ સુધીમાં ૧૦૯.૫૨ લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયું છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો લગભગ ૧% ઓછો એટલે કે ૧૦૮.૩૯ લાખ હેક્ટર હતો.
પરિણામ-આધારિત નિયમનકારી માળખા પર RBIનો ભાર
ભારતીય રિઝર્વ બેંક ધીમે ધીમે સિદ્ધાંત અને પરિણામ-આધારિત નિયમનકારી માળખાને અપનાવવા તરફ આગળ વધી રહી છે તેમ રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર એમ. રાજેશ્વર રાવે જણાવ્યું હતું. આ અભિગમ નિયમનકારી સંસ્થાઓને તેમના કામકાજમાં વધુ સુગમતા આપે છે જેથી તેઓ નિયમનકારી અપેક્ષાઓનું પાલન કરતી વખતે તેમની પ્રવૃત્તિઓને તેમના ચોક્કસ વ્યવસાય મોડેલ સાથે મેચ કરી શકે. તેનો હેતુ ખાતરી કરવાનો છે કે કામગીરી પર વધુ પડતી કડકતા લાદ્યા વિના ઇચ્છિત નિયમનકારી પરિણામો પ્રાપ્ત થાય.


