Get The App

નમકના ઉત્પાદન-વેચાણ બંધનું એલાન કરાયું

Updated: Oct 2nd, 2022

GS TEAM

Google News
Google News
નમકના ઉત્પાદન-વેચાણ બંધનું એલાન કરાયું 1 - image

- એન્ટેના : વિવેક મહેતા

ગુજરાતમાં બીજો નમક સત્યાગ્રહ શરૂઃ સોલ્ટ મેન્યુફેક્ચરર્સની ૫૫૦થી વધુ લેન્ડ લીઝ રિન્યુઅલના ૧૪ વર્ષથી કરવામાં આવતા ન હોવાથી નમક સોલ્ટ મેન્યુફેક્ચરર્સની સરકાર સામે લડત

ગુજરાતમાં બીજા નમક સત્યાગ્રહ શરૂ થઈ રહ્યો છે. ગુલામ ભારતને આઝાદ કરાવવા અંગ્રેજોએ નમક પર લાદેલા ટેક્સ ન ભરવા મહાત્મા ગાંધીએ દાંડી સુધીની કૂચ કરી નમક પરના વેરાનો વિરોધ કર્યો હતો. હવે કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતેથી નમક સત્યાગ્રહ સમિતિએ સરકાર સામે લડત છેડી છે. આ લડત મીઠું પકવવા માટે ભાડાં પટ્ટે અપાતી જમીનનો ભાડાં પટ્ટો ન રિન્યુ કરી આપવા માટેની છે. 'અમારી માગણીને પ્રતિભાવ નહિ આપવામાં આવે તો અમે આખા ભારતમાં નમકનું વેચાણ બંધ કરી દઈશું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે નમકના ઉત્પાદકોની સમસ્યા અંગે રજૂઆત કરી દેવાઈ છે. ગુજરાતના નમક ઉદ્યોગ થકી અંદાજે ૫ લાખ લોકોને સીધી રોજગારી મળી રહી છે. લીઝ રિન્યુઅલ ન થતાં તેમની રોજગારી સામે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. ગુજરાતની આજની તારીખે અંદાજે ૫૦૦થી વધુ લેન્ડ લીઝની અરજીઓ પેન્ડિંગ છે. ગુજરાત  સરકારને આપવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે દસથી પંદર વર્ષ મીઠાના ઉત્પાદન માટે ફાળવવામાં આવેલી લીઝ રિન્યુ કરવામાં આવતી જ નથી. ગુજરાતના મહેસૂલ ખાતાએ લીઝ રિન્યુઅલની પ્રક્રિયાને જટિલ બનાવી દીધી હોવાથી લીઝ રિન્યુઅલની પેન્ડિંગ અરજીઓ  સતત વધી રહી છે. અઢારમી જુલાઈ ૨૦૧૮ના ગુજરાત સરકારે પરિપત્ર કરીને બનાવેલા નિયમોને પરિણામે મીઠાંના લીઝધારક ભાડાંપટ્ટો તાજો કરાવવાની પ્રક્રિયા ઓછામાં ઓછા ૫થી ૧૦ વર્ષ સુધી પૂરી જ કરી શકતો નથી. આ બાબત પરત્વે મહેસૂલ મંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ સમગ્ર રજૂઆત બહેરાકાને અથડાઈ છે. છેલ્લા ચાર વર્ષથી એક પણ પત્રનો જવાબ આપવામાં આવ્યો નથી.

ભાડાં પટ્ટાની ફાળવણી કરવાની કે રિન્યુ કરવાની પ્રક્રિયા પૂરી કરવા માટે જુદાં જુદાં પાંચ ખાતાઓના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા પડે છે. પાંચેય ખાતામાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ સમયસર મળતા જ નથી. કલેક્ટર કચેરીમાં ભાડાં પટ્ટાના રિન્યુઅલ માટેની અરજી કર્યા પછી ૯૦ દિવસના સમયગાળામાં એન.ઓ.સી. આપવાનું હોય છે. દેશમાં બધું ફાસ્ટ ટ્રેક પર ચલાવવા માટે પ્રધાનમંત્રી પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જ ગુજરાતમાં લીઝ ધારકોને એનઓસી આપવામાં ૨૦૦થી માંડીને ૬૦૦ દિવસ લાગી રહ્યા છે. એનઓસી મેળવવા માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. સરકારી કચેરીઓ ઇચ્છે તો માત્ર ૩૦ દિવસમાં જ આ એન.ઓ.સી. આપી શકે તેમ છે. પરંતુ તેમનામાં ઇચ્છા શક્તિનો અભાવ છે.

પરિણામે નમકનું મેન્યુફેક્ચરિંગ કરનારાઓને તેમના કામકાજ વધારવા માટે જોઈતી બેન્ક લોન જ મળતી નથી. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના બણગાં ફૂકતી ગુજરાત સરકાર આ મુદ્દે સાવ જ નિષ્ક્રિય છે. તેથી મીઠાંના ઉત્પાદકો નમક સત્યાગ્રહ કરવા તૈયાર છે. ઓક્ટોબર મહિનાથી અમારે નમકનું વેચાણ દેશભરમાં બંધ કરી દેવાની તૈયારીમાં છે. દેશમાં મીઠાંના થતાં ઉત્પાદનમા ૮૦ ટકા ઉત્પાદન ગુજરાતમાં થતું હોવાથી નમક સત્યાગ્રહ સમિતિ દ્વારા નમકનું વેચાણ બંધ કરવાના નિર્ણયની મોટી અસર જોવા મળશે.

બીજું મીઠાંની ભાડાં પટ્ટે આપેલી જમીનનું હેક્ટરદીઠ ભાડું રૂ. ૧૫૦થી વધારીને રૂ. ૩૦૦ કરી દેવામાં આવ્યું છે. સરકારે જ નક્કી કરી આપેલા નિયમ મુજબ દર ત્રણ વર્ષે લીઝના ભાડાંમાં ૧૦ ટકાનો વધારો કરવાનો હોય છે. પરંતુ આ નિયમનો કોઈપણ જાતનો વિચાર કર્યા વિના મનસ્વી રીતે વધારી દેવામાં આવ્યો છે. તેમાંય વળી ૨૦૧૪ની સાલથી આ વધારાનો બોજ નાખી દેવામાં આવ્યો છે. ઓક્ટોબર ૨૦૧૪માં એક પરિપત્રના માધ્યમથી ભાડાંની રકમ ૧૦ ટકાને બદલે ૧૫ ટકા વધારો કરીને તેના પર ચક્રવૃદ્ધિ વ્યાજદર લેવામાં આવી રહ્યો છે. આ બાબત નમકના ઉત્પાદકોને ભારે પડી રહી છે. આ મુદ્દે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાંય સરકાર સાંભળતી જ નથી. નમક સત્યાગ્રહ સમિતિની માગણી છે કે લીઝના ભાડાંમાં ૧૦ ટકાનો જ વધારો કરવો જોઈએ.

કલેક્ટર કચેરીમાં લીઝ રિન્યુઅલ માટેની કાર્યવાહી કરવામાં આવે ત્યારે જિલ્લાના મહેસૂલ વિભાગ અને ગાંધીનગર ખાતેના મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈને કોઈ કારણો આપીને મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેનાથી સોલ્ટ મેન્યુફેક્ચરર્સની હાલાકી વધી રહી છે. લીઝ રિન્યુઅલ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ પણ હોવી જરૂરી છે. આ પદ્ધતિનો સરળ અમલ થાય તે માટે એક સર્વસામાન્ય માર્ગદર્શિકા પણ સરકારે તૈયાર કરી લેવી જોઈએ. જેથી વરસો સુધી અરજીઓ અટકીને પડી રહે તેવી સમસ્યા જ ઊભી થાય નહિ. અત્યારે

ગુજરાત સિવાયના રાજ્યોમાં લીઝ રેન્ટ-પટ્ટાના ભાડાં ઉપરાંત કોઈ જ અન્ય વેરા તેમાં ઉમેરવામાં આવતા નથી. ગુજરાતમાં ભાડાં પટ્ટા ઉપરાંત પંચાયત કર, પંચાયત ઉપકર અને શિક્ષણ કર પણ ભાડાં પટ્ટા ધારકો પાસેથી ઉઘરાવવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં નમકના ઉત્પાદન સાથે સંકળાયેલા ૧૪ જિલ્લામાં કરવેરાના દર અલગ અલગ છે. તેનું ઉદાહરણ આપતા નમક સત્યાગ્રહ લડત સમિતિ જણાવે છે કે ભાવનગર અને ભરૂચમાં હેક્ટરદીઠ રૂ. ૩૦૦ના ભાડાં પટ્ટાના ચાર્જ ઉપરાંત જુદાં જુદાં કરવેરા પેટે હેક્ટરદીઠ રૂ. ૧૫૦૦ હેક્ટરદીઠ ઉઘરાવામાં આવી રહ્યા છે. અમારી માગણી છે કે દરેક જિલ્લામાં એક સમાન રેટ જ લેવાવા જોઈએ. ગુજરાતના નમકનું ઉત્પાદન કરતાં તમામ ૧૪ જિલ્લાના કલેક્ટરની બેઠક યોજીને સમાન દર થાય તેવ પ્રયાસ કરવા જોઈએ.

Tags :