Get The App

સુધારાઓ સાથેનો નવો નોટરી એક્ટ આવી રહ્યો છે

Updated: Feb 25th, 2024

GS TEAM


Google News
Google News
સુધારાઓ સાથેનો નવો નોટરી એક્ટ આવી રહ્યો છે 1 - image


- એન્ટેના-વિવેક મહેતા

- નોટરી તરીકે નિમણૂક મેળવવા ૫૦ ટકા ગુણ સાથે પરીક્ષા પાસ કરવી પડશે : નોટરી કરાવવા માટેના દર નિશ્ચિત થશે, મન ફાવે તેમ ફી વસૂલી શકશે નહિ

નોટરી એક્ટમાં પણ નવા સુધારા આવી રહ્યા છે. તેથી પરિસ્થિતિ ધરમૂળથી બદલાઈ રહી છે. ઓછામાં ઓછા દસ વર્ષ સુધી વકીલ તરીકે પ્રેક્ટિશ કરનાર  અને ઓછામાં ઓછા સો કેસ લડયા હોય તેવા વકીલને જ નોટરી તરીકેની નિમણૂક અપાશે. હા, મહિલા વકીલ હોય તો તેણે ઓછામાં ઓછી સાત વર્ષ સુધી વકીલ તરીકે પ્રેક્ટિશ કરી હોવી જરૂરી છે. તો જ તેને નોટરી તરીકે પ્રેક્ટિશ કરવાની છૂટ આપવામાં આવશે. નવા નોટરી એક્ટમાં નોટરી દ્વારા વધૂ ફી લેવા સહિતની આચરવામાં આવી રહેલી ગેરરીતિને ડામવા માટે આ સુધારા કરવામાં આવી રહ્યા છે.

બીજીતરફ નોટરી તરીકે નિમણૂક આપતા પૂર્વે દરેક વકીલે પરીક્ષા પાસ કરવાની વ્યવસ્થા પણ દાખલ કરવામાં આવી રહી છે. નોટરી બનવા માટેની પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૫૦ માર્ક્સ મેળવેલા હોવા ફરજિયાત કરવામાં આવી રહ્યા છે. આમ ૧૦૦માંથી ૫૦ માર્ક્સ પાસિંગ માર્ક્સ ગણાશે. તેનાથી ઓછા માર્ક્સ મેળવનાર વ્યક્તિને નોટરી તરીકેની નિમણૂક મેળવવા માટે ઇન્ટરવ્યુ આપવાની પણ તક મળશે નહિ. 

અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટની ભલામણને આધારે નોટરી તરીકેની નિમણૂક આપી દેવામાં આવે છે. તેઓ જે પ્રેક્ટિશનું પ્રમાણપત્ર આપે છે પ્રેક્ટિશના પ્રમાણપત્ર પણ માત્ર કાગળ પરના લખાણ જેટલું જ મૂલ્ય ધરાવતા હોય છે. 

આ કાગળની સચ્ચાઈનું ક્યાંય ક્રોસવેરિફિકેશન થતું નથી. તેમ જ તેમની નિમણૂક માટે એક દિવસમાં ૧૫૦ જણના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. આ ઇન્ટરવ્યુમાં કોઈ જ ભલીવાર હોતા નથી. પરિણામે અયોગ્ય ઉમેદવારોની પસંદગી થાય છે. તેને પરિણામે જ નોટરીનો વ્યવસાય વગોવાય છે. નોટરીઓ આજે રસ્તા પર કે તેમની મોટરમાં બેસીને પ્રેક્ટિશ કરતાં જોવા મળે છે. આ તેમને વ્યવસાયની ગરિમાને ધક્કો પહોંચાડે છે. પરિણામે દરેક કોર્ટ પરિસરમાં નોટરીઓના બેસવા માટે અલાયદી જગ્યા ઊભી કરવાની જોગવાઈ પણ સુધારેલા કાયદા મારફતે લાવવામાં આવે તેવી સંભાવના છે.  

કાયદા અન્ય ન્યાય મંત્રાલયે આ સંદર્ભમાં દેશભરમાંથી હિતધારકોની એક બેઠક બોલાવીને તેમના સૂચનો લીધા હતા. આ બેઠકમાં ગુજરાતમાંથી આપવામાં આવેલા સૂચનોના નવા સુધારેલા કાયદામાં સ્વીકારવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્રીજું, નોટરી તરીકેનું રજિસ્ટ્રેશન લાઈફમાં એક જ વાર મેળવે તેવી પણ જોગવાઈ દાખલ કરવામાં આવી રહી છે. હા, નોટરીએ પેન્શનર્સની માફક દર વર્ષે તેની હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. અત્યાર ેદર પાંચ વરસે નોટરી તરીકેનું રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવાની સિસ્ટમ છે. નોટરી માટે પહેલીવાર અરજી કરતી વેળાએ ૧૦ વર્ષનો અનુભવ હોવાની નોંધ આપવામાં આવે છે તે માત્ર કાગળ પર જ હોય છે. 

તેની ખરાઈ કરવામાં આવતી જ નથી. આ સિસ્ટમમાં સાડા ચાર વર્ષ થયા પછી અરજી કરવાની હોય છે. પરંતુ છ મહિનામાં તે રિન્યુ થઈને આવતી નથી. પરિણામે નોટરીએ કાયદેસર તેના કામકાજ બંધ કરી દેવા પડે છે. પરિણામે નોટરી તરીકે પ્રેક્ટિશ કરનારની આવક બંધ થઈ જાય છે. 

ચોથું રજિસ્ટ્રેસન રિન્યુ ન થાય તો નોટરીની ઇમેજને પણ ધક્કો પહોંચે છે. તેણે કોઈ ગરબડ કરી હોવાથી જ તેનું રજિસ્ટ્રેશન રિન્યુ થઈને ન આવ્યું હોવાની છાપ ઊભી થાય છે. તેથી રજિસ્ટ્રેશન રિન્યુ કરવાની સિસ્ટમ રદ કરીને એક વાર રજિસ્ટ્રેશન આપ્યા પછી રિન્યુ કરવાની જફામાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ દર વર્ષે તેમણે હયાતીનું પ્રમાણપત્ર મોકલવાનું ફરજિયાત કરવામાં આવી રહ્યું છે.

નોટરી તરીકે પ્રેક્ટિશ કરનારને અત્યારે રૃા. ૫૦ની આસપાસની ફી આપવામાં આવે છે. આ ફીને ફુગાવા સાથે જોડી દેવાની માગણી કેન્દ્રના ન્યાય ખાતા સાથેની બેઠકમાં કરવામાં આવી હતી. આ માગણીને ધ્યાનમાં રાખીને ફીના ધોરણોમાં વર્તમાન સંજોગો પ્રમાણે સુધારો કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

 પરિણાામે અત્યારની જેમ આડેધડ ફી વસૂલી શકશે નહિ. અત્યારે નિશ્ચિત કરેલી ફી કરતાં વધી રકમ નોટરીઓ દ્વારા વસૂલવામાં આવી રહી છે. તેમને રજિસ્ટરમાં કરવી પડતી ૧૧ જેટલી નોંધના પ્રમાણમાં ફી ઘણી ઓછી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લે ૨૦૧૪માં તેમની ફીના દરમાં સુધારો કરવામાં આવ્યો હતો. હવે નવો સુધારો પણ આવે તેવી સંભાવના છે.

Tags :