મનપાને રીબેટ યોજના ફળી, રૂ. 63.50 કરોડની આવક
- ચાર માસમાં 1.22 લાખ કરદાતાએ રીબેટ યોજનાનો લાભ લીધો
- ગત જુલાઈ માસમાં મહાપાલિકાને 5 અને 10 ટકા રીબેટ યોજનામાં 9 કરોડની આવક : 16,700 કરદાતાએ વેરો ભર્યો
ભાવનગર, તા. 1 ઓગષ્ટ 2020, શનિવાર
રીબેટ યોજના ભાવનગર મહાનગરપાલિકાને ફળી છે અને છેલ્લા ચાર માસમાં રીબેટ યોજનામાં મહાપાલિકાને આશરે રૂ. ૬૦.પ૦ કરોડની વેરાની આવક થઈ છે. રીબેટ યોજનાનો કરદાતાઓ બહોળી સંખ્યામાં લાભ લીધો છે. ગત જુલાઈ માસમાં રીબેટ યોજના ઘટી જતા અગાઉ ત્રણ માસની સરખામણીએ ઓછી આવક થઈ હતી. રીબેટ યોજના ઘટી જતા કરદાતાઓમાં કચવાટ ફેલાયો હતો તેમ છતાં ઘણા કરદાતાઓએ રીબેટ યોજનાનો લાભ લીધો હતો. લોકડાઉનના પગલે ભાવનગર મહાનગરપાલિકાએ વેરો ભરવા માટેની કેશબારી બંધ રાખી હતી અને માત્ર ઓનલાઈન વેરો સ્વિકારવામાં આવતો હતો. ઘણા કરદાતાઓએ ઓનલાઈન વેરો ભર્યો હતો પરંતુ કેશબારીમાં વેરો ભરવાવાળો વર્ગ મોટો હોવાથી ગત તા. ર૦ મેએ કેશબારી ખોલવામાં આવી હતી. કેશબારી ખુલ્યા બાદ મહાપાલિકાને વેરાની આવક વધી હતી.
ભાવનગર મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરદાતાઓ માટે રીબેટ યોજના શરૂ કરી હતી, જેમાં ગત એપ્રિલ માસમાં મહાપાલિકાને રીબેટ યોજનામાં રૂ. ૧૩.૮પ કરોડની વેરાની આવક થઈ હતી અને ૩૧,૩૭ર કરદાતાએ વેરો ભર્યો હતો. ગત મે માસમાં મહાપાલિકાને રીબેટ યોજનામાં રૂ. ર૬.પ૯ કરોડની આવક થઈ હતી અને ૪૮,ર૮૬ કરદાતાએ રીબેટ યોજનાનો લાભ લીધો હતો. ગત જુન માસમાં રીબેટ યોજનામાં રૂ. ૧૪.૧૧ કરોડની આવક થઈ હતી અને રપ,૭૭ર કરદાતાઓએ રીબેટ યોજનાનો લાભ લીધો હતો. ગત જુલાઈ માસમાં રીબેટ યોજનામાં આશરે રૂ. ૯ કરોડથી વધુની આવક થઈ હતી અને ૧૬,૭૦૦ કરદાતાઓએ રીબેટ યોજનાનો લાભ લીધો હતો. ચાર માસમાં મહાપાલિકાની રીબેટ યોજનામાં આશરે રૂ. ૬૩.પ૦ કરોડની વેરાની આવક થઈ છે અને કુલ ૧,રર કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ લીધો હતો તેમ આજે શનિવારે માહિતી આપતા ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યુ હતું.
લોકડાઉન હોવાના પગલે શરૂઆતમાં ઓનલાઈન વેરો સ્વિકારવામાં આવતો હતો પરંતુ મહાપાલિકાને ઓનલાઈન વેરાની ઓછી આવક થઈ હતી પરંતુ ત્યારબાદ કેશબારી ખોલતા વેરો ભરવા કરદાતાઓની કતારો લાગી હતી. ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાનગરપાલિકામાં ઘરવેરાની કાર્પેટ એરિયા કરપદ્ધતિમાં નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ની રિબેટ યોજના આપવામાં આવી હતી, જેમાં શહેરનાં કરદાતાઓ વર્ષ ૨૦૨૦-૨૧ સહિતનો તમામ બાકી વેરો એકી સાથે ભરપાઈ કરી આપશે તેઓને નિયત રીબેટ (વળતર) મળવા પાત્ર હતી જે ખાતામાં ચાલુ વર્ષનાં બિલની કુલ રકમ રૂા. ૫૦૦૦ કે તેથી ઓછી હશે તેઓને ચાલુ વર્ષનાં મિલ્કત વેરા અને સફાઈ વેરામાં ૨૦ ટકા રીબેટ (વળતર) અને જે ખાતામાં ચાલુ વર્ષનાં બિલની કુલ રકમ રૂા. ૫૦૦૦થી વધુ હોય તેઓને ચાલુ વર્ષનાં મિલ્કત વેરા અને સફાઈ વેરામાં ૧૦ ટકા રીબેટ (વળતર) મળવા પાત્ર હતુ તેમજ ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઈટ તેમજ એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લીકેશન મારફત તમામ વેરો ઓનલાઈન ભરવાથી કે પી.ઓ.એસ. મશીન મારફત ડીઝીટીલ પેમેન્ટ કરવાથી ચાલુ વર્ષના સામાન્ય કર અને સફાઈકરમાં વધારાનું બે ટકા રિબેટ મળવા પાત્ર હતાં.
ઉપરોકત રીબેટ યોજના એપ્રિલથી જુન માસ દરમિયાન શરૂ હતી. ગત જુલાઈ માસથી પ અને ૧૦ ટકા રીબેટ યોજના રાખવામાં આવી હતી. ઓનલાઈન વેરો ભરનારને બે ટકા વધુ વળતર આપવામાં આવ્યુ હતું. કોરોનાની મહામારીના પગલે રીબેટ યોજના લંબાવવામાં આવી હતી. રીબેટ યોજનાના પગલે મહાપાલિકાની તીજોરીમાં સારી આવક થઈ છે તેમ કહી શકાય. હાલ રીબેટ યોજના પૂર્ણ થઈ ગઈ છે તેથી હવે કરદાતાઓને રીબેટ મળશે નહી અને મહાપાલિકા ગમે ત્યારે વેરો વસુલવાની કાર્યવાહી હાથ ધરશે તેમ જાણવા મળેલ છે.
કોર્મશીયલ વેરામાં 20 ટકા રાહત મળશે
ભાવનગર મહાપાલિકામાં રીબેટ યોજના પૂર્ણ થઈ ગઈ છે પરંતુ સરકારની આત્મનિર્ભર રાહતના પગલે વેપારીઓને કોર્મશીયલ બીલમાં ર૦ ટકા રાહત મળશે. ચાલુ વર્ષના સામાન્ય કરના ર૦ ટકા જ મળશે તેમ ઘરવેરા વિભાગના અધિકારીએ જણાવેલ છે તેથી વેપારીઓને હજુ કોર્મશીયલ બીલમાં ફાયદો છે ત્યારે વેપારીઓએ સ્કીમનો લાભ લેવો જરૂરી બની રહે છે. આ યોજના આગામી તા. ૩૧ ઓગષ્ટ સુધી ચાલુ રહેશે.