કોરોના સંકટ @ 1132 : જિલ્લામાં 39 વ્યક્તિ સંક્રમિત, 1 વૃધ્ધનું મોત
- 56 દરદી કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ
- શહેરમાં ૨૧ લોકો કોરોનાની ઝપટે ચડયાં, જિલ્લામાં ઘોઘા, પાલિતાણા, સિહોર, તળાજા, ઉમરાળા પંથકમાં કોવિડ-૧૯ના કેસ સામે આવ્યા
ભાવનગર, તા. 24 જુલાઈ 2020, શુક્રવાર
ભાવનગર જિલ્લામાં કોરોનાની રોકેટગતિની રફ્તાર રોકાવાનું નામ લેતી નથી. આજે શહેરમાં ૨૧ અને જિલ્લામાં ૧૮ મળી વધુ ૩૯ વ્યક્તિ ઝપટે ચડતાં કોરોના સંકટનો ચિંતાજનક આંચકો ૧૧૩૨ને આંબી ગયો છે. આજે પાલિતાણા પંથકના એક વૃધ્ધ કોરોના સામે જંગ હારી જતાં મોતને ભેટયા છે. તો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૫૬ દરદી કોરોનામુક્ત થતાં તેમને રજા આપવામાં આવી હતી.
કુદકે ને ભુસકે વધી રહેલા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના કેસ અટકાવાનું નામ જ લેતા નથી. ભાવનગર શહેરમાં આજે શુક્રવારે અલગ-અલગ વિસ્તારમાંથી ૧૫ પુરૃષ અને ૬ સ્ત્રી મળી ૨૧ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. શહેર ઉપરાંત જિલ્લામાં પણ મહામારીએ હાહાકાર મચાવ્યો છે. આજે ભાવનગર તાલુકાના અધેવાડા ગામના એક ૭૦ વર્ષીય પુરૃષ કોરોના સંક્રમિત થયા છે. તો ઘોઘા તાલુકામાં સાગમેટે ૬ નવા કેસ સામે આવ્યા છે. જેમાં કુડા ગામે ૩૪ વર્ષીય મહિલા, ઘોઘામાં ૨૮, ૨૯ અને ૫૩ વર્ષની મહિલા તેમજ પાલિતાણા શહેરમાં ૬૨ વર્ષના વૃધ્ધ, રંડોળા ગામે ૫૦ વર્ષના મહિલા કોરોના પોઝિટિવ થયા છે.
ઘોઘા બાદ સૌથી વધુ કેસ સિહોર પંથકમાં નોંધાયા છે. સિહોર શહેરમાં ૫૫, ૬૦, ૧૧ અને ૮૨ વર્ષીય પુરૃષ તેમજ રાજપરા (ખો) ગામના ૪૫ વર્ષીય આધેડને કોરોનાનો ચેપ લાયો છે. તળાજા શહેરમાં ૪૧ વર્ષની મહિલા, બેલા ગામે એક ૪૯ વર્ષના પુરૃષ તેમજ ૨૨ વર્ષના મહિલા અને બપાસરા ગામે ૩૦ વર્ષનો યુવક કોરોના પોઝિટિવ થયો છે. આ ઉપરાંત ઉમરાળા તાલુકાના ધારૃકા ગામે ૩૨ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જ્યારે આજે ભાવનગર શહેરના ૩૩ અને તાલુકાઓના ૨૩ મળી કુલ ૫૬ કોરોના પોઝિટિવ દરદી કોરોનામુક્ત થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદશકા પ્રમાણે આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદશકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દરદીઓને આજે ૭ દિવસ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી.
કોરોનાનો વધતા જતાં આંક વચ્ચે આજે શુક્રવારે પાલિતાણા તાલુકાના મોખડકા ગામે રહેતા ૭૫ વર્ષીય કોરોના પોઝિટિવ વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં કોરોના પોઝિટિવના અત્યાર સુધી ૧,૧૩૨ કેસ નોંધાયા છે. જે પૈકી હાલ ૩૯૭ દરદી સારવાર હેઠળ છે અને ૭૦૬ દરદીને રજા આપવામાં આવી છે. કોરોનાથી ૨૨ દરદી મોતને ભેટયા છે.