For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાળવા પડે લંકા-પતિ, આપમેળે બળે શંકા-પતિ

Updated: Oct 18th, 2022

બાળવા પડે લંકા-પતિ, આપમેળે બળે શંકા-પતિ

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી

'રાવણ' કા મહિના

પવન કરે શોર

'કજિયાળા' ઝૂમે ઐસે

જૈસે બનવામાં નાચે ઢોર.

'હાં... હાં... હાં...  પથુકાકા,  આ વળી કયું  નવું હાથબનાવટનું   ગીતે  ફફડાવો  છો?  સાવન કા મહિનાને  બદલે રાવણ કા મહિના કેમ  ગાવ છો?' 

મારો સવાલ  સાંભળી કાકા એમનું એકનું એક માથું ખંજવાળીને  બોલ્યા, 'દશેરામાં  દશ માથાળા  રાવણનું  દહન થાય  અને  પછી  રાવણ પર  રામના વિજયની, અસત પર સતના વિજયની  અને આસુરી  શક્તિ પર  દૈવી  શક્તિની  ગુંજ  આખો મહિનો  સંભળાયા કરે  છે, પણ લોકો  એની પાછળનો ભાવાર્થ   ક્યાં સમજે  છે?  આપણાં અંતરમાં જ રામ અને રાવણનું  યુદ્ધ ચાલે છે. માંહ્યલામાં  જ હાલતી  લડાઈમાં  આપણે આસુરી  શક્તિ પર દૈવી શક્તિને વિજય અપાવવાનો છે.'

મેં કહ્યું, 'કાકા, તમે આમ  અચાનક ઓલા ચેનલ  પે  ચર્ચા  કરતા અને ચેનલ પે કથા  કરતા ચેનલાનંદ  કે ટીવીશ્વરાનંદ  બાબાઓની  જેમ કેમ  આમ ઉપદેશભક્તિ દેખાડવા  માંડયા?'  

પથુકાકા  બોલ્યા, 'સવારે  રામલીલા મેદાનમાં  ગયો ત્યારે  એક માથાભારેનો ભેટો થઈ  ગયો.   એની સાથે વાત કર્યા પછી  કોણ જાણે  ભેજામાંથી  નવાં નવાં ફણગા  ફૂટવા  માંડયા.'  

મેં જરા  ગભરાઈન્  પૂછ્યું, 'કાકા, ક્યા માથાભારે  જણનો તમને  ભેટો થયો એ જરા માંડીને  વાત તો કરો?'

પથુકાકા ખોંખારો ખાઈને  બોલ્યા, 'થોડા દિવસ પહેલાં  રામલીલા  મેદાનમાં   દશેરા  વખતે દશ માથાળા રાવણના  પૂતળાનું  દહન કરતાં પહેલાં  અંદર ઠાંસી ઠાંસીને  ફટાકડા  ભરવામાં  આવેલા,  બરાબરને? હવે જોરદાર  ફટાકડા  ફૂટવા  માંડયા ત્યારે બાકીના માથા તો   (પક્ષમાંથી કોઈ કોઈ  ફૂટી જાય એમ)  ફૂટી ગયા, પણ દસમું માથું દૂર  ફંગોળાઈને  મેદાનના સાવ છેવાડે   જઈ પડયું.  આટલા દિવસ  વીત્યા છતાં  એ માથું  એમનેમ  પડયું  હતું, બોલ!'

મેં કહ્યું, 'કાકા, પછી શું  થયું  એ તો  કહો? ' કાકા કહે, 'હું  માથાની નજીક  ગયો અને  મનોમન  સવાલ  કર્યો  કે હૈ 'માથાશ્રી' તમે કેમ એકલા પડી  ગયા?' ત્યારે જાણે  માથાને વાચા ફૂટી હોય એવો  ભાસ થયો. માથું બોલ્યું, 'શું વાત કરું? મારા  જોડીદાર  માથા તો  કોણ જાણે  ફટાફટ  ફૂટી ફૂટીને  ક્યાંક ગોઠવાઈ ગયા હશે, પણ મેં ફૂટવામાં  જરા મોડુ કર્યું  એટલે  અપક્ષની જેમ દૂર ફેંકાઈ  ગયો, પણ  કાકા,  તમે મારી ચિંતા ન કરતા. ચૂંટણી આવશે ત્યારે  હું પણ ક્યાંક  ગોઠવાઈ જઈશ,   મારી  સાથે  ખોટી ધડ કરો મા,  કારણ  કે મારું ધડ તો કયારનુ  નાશ  પામ્યું છે. એક મંત્ર  ગોખી લો કેઃ 'માથાભારે' સંભવામિ  યુગે  યુગે...'

મેં કાકાનો  આ બોડી વિનાના  હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ  સાથેનો કાલ્પનિક  સંવાદ  સાંભળી  કહ્યું,   'કાકા, હવે મને સમજાયું કે  ચૂંટણીઓમાં  સારા ઉમેદવારોને   બદલે માથાભારે  કેમ વધુ  ચૂંટાય છે? પ્રભુ રામે  દશાનનનો  વધ કર્યા  પછી પણ  આવાં  માથાભારે  માથાં કોઈને કોઈ રૂપે  ફરી  ફૂટી જ  નીકળતા હોય  છે ને  એટલે કાકા, તમે ફરેવીને પણ સાચું જ ગાયું ઃ રાવણ કા  મહિના પવન કરે શોર... દર વર્ષે શ્રાવણ મહિનો આવે  એમ ફરી ફરી રાવણ મહિનો  આવે જને?'

અમારી વાત સાંભળી  (હો)બાળાકાકી મંદોદરી  એક્સપ્રેસની  જેમ ધમમસતા   આવ્યાં  અને તાડૂક્યાં,  'હવે  રાવણની   આ લપ મૂકો, મારું તો  માથું  દુઃખે  છે માથું.'

પથુકાકાએ  તરત ખિસ્સામાંથી  માથાનો  દુખાવો   મટાડવાની  દસ  ગોળીની સ્ટ્રીપ   કાઢી અને  કાકી સામે  જોઈને બોલ્યા, 'આ એક  સ્ટ્રીપમાં   દસ ગોળી રાખવાની પ્રથા પણ  રાવણે જ  શરૂ કરી હતી, ખબર છે? કોેઈક  દિવસ  લંકાના મહેલમાં  બેઠાં બેઠાં અત્યારે આવે છે એવી કોઈ  ફિલ્મ જોઈને  દશાનનના દસેદસ  માથામાં દુખાવો ઉપડે એટલે માથાદીઠ (પર-હેડ) એક  એક ગોળી રાવણ ગળી જતો. એટલે એવું મનાય  છે કે  એક સ્ટ્રીપમાં  દસ ગોળી  રાખવાનો રિવાજ  ખુદ રાવણે જ શરૂ કર્યો હતો. હવે બોલ મારી (હો)બાળા, તારા માથાની  પીડા હળવી  કરવા તને  દઉં ગોળી  કે બામ  દઉં ચોળી?'

કાકી વિફર્યાં, 'મને ગોળીએ  દેવાની વાત  કરતા લજવાતા  નથી? હવે ડહાપણ કરવાને  બદલે  માથે બામ  ચોળી દો  એટલે  વાત પતે.'

બામની  શીશી હાથમાં  લઈ  પથુકાકા બોલ્યા, 'જોયુંને,  રાવણના  માથાં ઉતારે  રામ અને કાકી જેવાં માથાભારેના માથાં ઉતારે  બામ... પહેલાં દિવાળીના દિવસોમાં  એક કાર્યક્રમ થતો એક શામ રામ કે નામ... અને આ તારી  કાકી રોજ મારી પાસે  બામ  ચોળાવે  છે એટલે નવો કાર્યક્રમ  શરૂ કરવો પડશેઃ   હર એક શામ બામ કે નામ...'

મેં કહ્યું, 'પ્રભુ રામજીએ  રાવણનો  વધ કર્યો, પણ રાવણવૃત્તિનો  વધ નથી થયો, બરાબરને?' પથુકાકા  બોલ્યા  'રાવણવૃત્તિનો વધ  ક્યાં થયો  છે?  મોંઘવારીની જેમ રાવણવૃત્તિમાં  વધ-ઘટ વધ-ઘટ થતી જ રહે છેને?'

ટીવીમાં જ્યારે રામાયણ  સિરિયલ  આવતી ત્યારે રામ રાવણના  યુદ્ધનાં દ્રશ્ય જોવામાં  બહુ મજા  પડતી.  પ્રભુ રામ જેવું  રાવણનું  એક માથું વાઢે કે તરત નીચે પડયા પછી  પાછું ઊડીને  મૂળ જગ્યાએ ચોંટી જાય. આ સીન યાદ  આવે ત્યારે  મનમાં થાય છે કે  રામ-રાવણ  યુદ્ધમાં   છેદાયેલા માથાં ફરી ફરીને   મૂળ જગ્યાએ  ચોંટી  જતા  અને અત્યારે   માથાભારે  નેતાઓ  ગમે એટલી વાર ઉથલાવી  નાખવામાં  આવે તો  પણ પાછા  ગમે  તેમ  કરી મૂળ ખુરશીમાં  ચોંટી જાય  છે. આને જ કહેવાય ચીપકો આંદોલન. મૂળ   ચીપકો  આંદોલન  વૃક્ષો બચાવવા છેડાયલેું, જ્યારે  અત્યારનું  ચીપકો  આંદોલન  ઝાડ  કાપીને બનાવેલી  ખુરશીઓમાં   ચોંટી  રહેવા માટે   ચલાવાય છે.  ડેમોક્રસી  શબ્દનો  હિન્દીમાં  અર્થ જ એ થાય  છેઃ  દે-મોહે-કુર્સી, એનું અંગ્રેજી થઈ ગયું ડેમોક્રેસી...'

પથુકાકા બોલ્યા, 'મને તો  લાગે છે કે  રાવણના માથા  જે ધરતી પર  કપાઈને પડતાં અને પાછાં મૂળ પોસ્ટ  પર ગોઠવાઈ જતા એ ધરતીની માટીમાંથી જ આજકાલના  કેટલાય  નકટા  નેતાઓના નાક  બન્યા સાગે  છે, ગમે એટલી વાર  કપાય તોય  પાછા ચોંટી  જાય. આને  જ  કહેવાય ખતર-નાક, શર્મ-નાક, ખૌફ-નાક...'

મારી  અને કાકાની  રાવણાયણ ચાલતી  હતી ત્યાં  કાકી આવ્યાં  અને બોલ્યાં, 'તમે બન્ને રાવણાયણ ચલાવો,  હું તો  રામ-મંદિરે  દર્શને જઈ  આવું.' પથુકાકા મસ્તીના મૂડમાં બોલ્યાં, 'તું રામ-મંદિરે  જાય છ,ે પણ  આજે કેટલાય લોકો  છે જે  રાવણ-મંદિરે દર્શને   જાય  છે, બોલ તને  ખબર છે?' કાકીએ પૂછ્યું, 'રાવણનું   મંદિર ક્યાં છે જરા મને  કહો તો ખરા?' પથુકાકા હસીને   બોલ્યા, 'યોગાનુયોગ  કેવો છે?  રાવણના અનેક  મંદિરોમાંનું  એક મંદિર  જ્યાં આવેલું  છે એ  ગામ સાથે  તારું નામ જોડાયેલું છે. એ  ગામ સાથે   તારું નામ  જોડાયેલું  છે. કહું,  ક્યાં આવેલું  છે રાવણનું મંદિર? 'કાકી-નાડા'માં!' ં

કાકી  તાડૂક્યાં, 'સવારથી  તમે રાવણના  નામનું  નાડું છોડતા નથી અને કાકી-નાડાની  વાત કરો છો?'

મેં વણસેલી  બાજી સંભાળી લેતા કહ્યું, 'રાવણનું મંદિર  માત્ર કાકીનાડામાં જ નથી, કાનપુરમાં  નોઈડામાં પણ છે. મધ્યપ્રદેશના વિદિશામાં  તો આખા ગામનું નામ  રાવણગામ છે. રાવણની રાણી મંદોદરી વિદિશાની  પુત્રી હતી.  રાવણ અને મંદોદરીના લગ્ન મધ્યપ્રદેશના મંદસૌરમાં  થયાં હતાં. આ બધે  રાવણનાં મંદિરો અને વિશાળ મૂર્તિઓ છે. એટલે રાવણ તો  અત્યારના  મધ્યપ્રદેશનો જમાઈ કહેવાય.   એટલે   દશેરામાં  આ કોઈ જગ્યાએ   રાવણનું પૂતળું  બાળવામાં નથી આવતું,  રાવણ તો  પૂજાય છે.'       પથુકાકા બોલ્યાઃ

'મને એ જ સમજાતું નથી

આવું શાને થાય છે,

રામની જન્મભૂમિમાં 

રાવણ પણ પૂજાય છે.

રામમંદિર બાંધવામાં 

વર્ષોનો વિલંબ થાય છે

અને એ પહેલાં બંધાયેલાં

રાવણ-મંદિરોમાં લોકો દર્શને જાય છે.'

પછી કાકા કહે, 'જો કે મને  એક વાત  સમજાતી નથી કે દર વર્ષે રાવણને બાળવામાં  માથાભારે  લીડરો  જ કેમ  આગળ પડતો ભાગ ભજવતા હશે?'

મેં કહ્યું, ''મુખાગ્નિ' તો સગા-સંબંધીઓ જ આપેને?'

અંત-વાણી

આવા આવા 

સવાલ પૂછો શું કામ?

રાવણનું માથું કોણ ઉતારે-

બામ કે રામ?

Gujarat