સુરત તરફથી આવતા હિજરતીઓને મુલદ ચોકડી પાસે ઉતારી દેવાયા
-શ્રમજીવીઓના કારણે કોરોના વાઇરસ વધુ વકરવાની ભીતિ
ભરૂચ તા.28 માર્ચ 2020 શનિવાર
સુરત તરફથી ટ્રક સહિતના વાહનો આવતા હિજરતીઓને મુલદ ચોકડી પાસે ઉતારી દેવામાં આવતા વૃદ્ધો,મહિલાઓ અને બાળકો હજારોની સંખ્યામાં ઝાડેશ્વર ચોકડી સુધી આવતા ત્યાંથી અમદાવાદ તરફ જતા વાહનોમાં બેસવા માટે પડાપડી કરતા જોવા મળે છે.હવે હિજરતીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાય છે. વાહનોમાં ઘેટાં બકરાની જેમ ખીચો ખીચ ભરી હિજરતીઓને લઈ જવાથી કોરોનાનો વાઇરસ વધુ વકરે તેવા સંજોગો ઉભા થયા છે.જેની સામે તંત્ર અને સરકાર ની ગતિવિધિ ઉની ઉતરી હોય તેમ લાગી રહ્યુ છે.
ગુજરાતમાં લોકડાઉનના પગલે ટ્રાન્સપોટરેશન બંધ છે.કોરોના વાયરસ વધુના પ્રસરે તે માટે સોશ્યલ ડિસ્ટન્સીગ ઉપર ભાર મુકાય છે.આટળા દિવસે રાજ્યના ડીજી લોકડાઉન ને લઈ જાહેરાત કરે છે.પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો ગુજરાતમાં લોકડાઉનના ધજાગરા ઉડી રહ્યા છે.ગામડાઓમાંથી રોજગારી મેળવવા માટે શહેરોમાં સ્થાયી થયેલા કરોડો લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે.
સરકારે લોકડાઉન તો જાહેર કર્યું પરંતુ જે પરિસ્થિતિ ઉભી થવાની હતી.તે અંગે નું કોઈ પૂર્વ પ્લાન ન હોવાથી બેરોજગાર બનેલા લોકોની હાલત કફોડી બની છે.લોકડાઉનના કારણે ભુખમરો વેઠતા મજૂરોએ આખરે સામુહિક હિજરતનું પગલું ભર્યું હતું.છેલ્લા ચાર દિવસથી મજૂરો પરિવર સાથે હિજરત કરી રહ્યા છે.આજે ચોથા કલાકે થાકેલા,હારેલા અને ખોરાક અને પાણી થી ટરવળતા મજુર પરિવારોએ પોતાનો સંયમ ગુમાવ્યો હોય તેમ લાગી રહ્યુ છે.
ઝાડેશ્વર ખાતે ચાલતા આવતા મજૂરોએ પસાર થતી ટ્રકોમાં બેસવા માટે એકબીજા સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા . હિજરતીઓના ટોળામાં જાણે યુદ્ધ છેડાયું હતું.નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા ખાલી ટેમ્પા અને ટ્રકોમાં બેસવા માટે હિજરતીઓ ની હોડ લાગી હતી.
કોરોના વાઇરસ ને નિયંત્રિત કરવા માટે લોકો એકબીજાને ન મળે તે અત્યંત જરૃરી છે .તેના માટે જ સરકારે લોકડાઉનનું પગલે ભર્યું છે.પરંતુ જે રીતે હિજરતીઓ ટ્રકો ,ટેમ્પા સહીત ના વાહનોમાં ઘેટાં બકરાની જેમ ભરાઈને જાય છે તે જોતા ગુજરાતમાં લોકડાઉન નિષ્ફળ જાય તેવા સંજોગો ઉભા થયા છે.તેના જ કારણે ગુજરાતમાં કોરોના વાયરસ મહામારી ફેલાવે તો નવાઈ નહિ.