રાજપારડી પંથકના ગામોમાં વીજબિલ નહીં ભરાતા ૩૫૦ વીજ જોડાણો કપાયા
-વીજ કંપનીની કડક ઉઘરાણીઃગ્રાહકો પાસે ૧૬ લાખના નાણાંની વસૂલાત કરાઇ
રાજપારડી,તા.24 ફેબ્રુઆરી 2019 રવીવાર
રાજપારડી પંથકના ગામોમાં વીજગ્રાહકોના બાકી પડતા બીલોની રકમની વસુલાત માટેની કામગીરી માટે વીજકંપનીની ૧૩ જેટલી ટીમોએ આ ઔગામોમાં ફરી બાકીદારો પાસે વસૂલાતની કાર્યવાહી કરી હતી.
રાજપારડી પંથકના સારસા, રાજપારડી, સંજાલી, પાણેથા, વેલુગામ, અશા, ઇંદોર, ભાલોદ, વણાકપોર, ફીચવાડા, રાયસીંગપુરા, ઉમલ્લા, તવડી, વિ. ગામોમાં વીજબીલના બાકી પડતા નાણાંની વસુલાતની કાર્યવાહી આરંભવામાં આવી, જે અન્વયે સ્થળ પર ૧૬ લાખથી વધુ રકમની રીકવરી કરી હતી.વીજબીલ ભરવામાં કસુરવાર વીજગ્રાહકો પૈકી ૩૫૦થી વધુના વીજ જોડાણો કાપી નાંખ્યા હતા.
વીજબીલ ભરવામાં વિલંબ કરતા વીજગ્રાહકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. પાછલા નવેમ્બર માસમાં ગુજરાત સરકારે માફી યોજનાની જાહેરાત કરેલી છે .તેમાં ફક્ત વીજચોરીમાં પકડાયેલા અને નવેમ્બર પહેલા કાયમી ધોરણે કપાઇ ગયેલા વીજગ્રાહકોને માફી મળવાપાત્ર છે, છતાં હાલના ચાલુ વીજજોડાણવાળા ગ્રાહકો પણ વીજબીલ ભરપાઇ ન કરતા હોવાનું જાણવા મળે છે. આગામી માર્ચ મહિના સુધી કડક કાર્યવાહી હાથ ધરાશે.