Gujarat

અંકલેશ્વરમાં મેઘરાજાની બેટીંગ પાંચ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા

By GS Team
3 Aug 20192 mins read
This article was originally published on 3 Aug 2019
અંકલેશ્વરમાં મેઘરાજાની બેટીંગ પાંચ કલાકમાં 4  ઇંચ વરસાદ ખાબકતા  પાણી ભરાયા

 અંક્લેશ્વર તા.3 ઓગષ્ટ 2019 શનીવાર

અંકલેશ્વરમાં સવારનાં ૮ કલાક થી વરસાદી માહોલ જામ્યો હતો .મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. પાંચ કલાકમાં ૪ ઇંચ થી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયુ હતુ . આમલાખાડી પણ ઓવરફ્લો થતા પીરામણ ગામમાં જવાનો માર્ગ બંધ થઇ ગયો હતો . તેમજ નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાવવાનાં કારણે ઘરમાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા.  

અંકલેશ્વર પંથકમાં શનિવારની સવારે ૮ કલાક થી વરસાદે  બેટીંગ શરુ કરી હતી.એક જ ધારો પાંચ કલાક મુશળધાર વરસાદ  ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.  

અંકલેશ્વર પૂર નિયંત્રણ કક્ષ માંથી જાણવા મળ્યા મુજબ  સવારનાં ૮ કલાક થી  બપોરેનાં ૨ વાગ્યા સુધીમાં ૪ ઇંચ  ે વરસાદ વરસ્યો હતો. અંક્લેશ્વર પીરામણ ગામને જોડતો આમલાખાડીનો માર્ગ, શહેરનાં નીચાણવાળા વિસ્તારો સહિત જીઆઇડીસીમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી.જેના કારણે વાહન ચાલકોએ મશ્કેલીનો સામનો કરવો પડયો હતો. 

અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પાર્ક , જલધારા ચોકડી , ગટ્ટુ ચોકડી , ગોપાલ ડેરી માર્ગ તેમજ ઉદ્યોગોમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી , જ્યારે વધુ વરસાદને પગલે શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી  પરંતુ કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને લેવા માટે વાહનનો નહિં આવતા બાળકો અટવાયા હતા. તેમજ જે સોસાયટીઓમાં કેડ સમા પાણી ભરાયા હતા તેવા બાળકોને ટ્રકમાં બેસાડીને ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.  

અંકલેશ્વર શહેરની નીચાણવાળી સોસાયટીઓ તેમજ આમલાખાડીમાં પાણીનું સ્તર વધતા પીરામણ ગામ તરફ જવાનો માર્ગ બંધ થઇ ગયો હતો , અંકલેશ્વર હાંસોટ રોડ પર પણ આમલાખાડીનાં પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો,જ્યારે રાજપીપળા ચોકડી નજીક આવેલી સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. 

બીજી તરફ પાનોલી ઔદ્યોગિક વસાહતનાં માર્ગો પર  વરસાદને કારણે પાણી ભરાયા હતા . સંજાલી ગામમાં   લોકોનાં ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. જેના કારણે ઘર વખરીને નુકશાન પહોંચ્યુ હતુ.  

વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૃચ જિલ્લા પોલીસવડા  , અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ઝાલા તેમજ શહેર પોલીસ મથકનાં પીઆઇ  સહિતનાં પોલીસ કાફલાએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જ્યારે નગર પાલિકા દ્વારા પણ વરસાદી પાણી થી પ્રભાવિત સોસાયટીઓમાંથી પાણીનાં નિકાલ માટેની વ્યવસ્થા કરી  હતી.