ભરૂચ: પાનોલીની આર.પી ઈન્ડસ્ટ્રીઝમાં ગત રાત્રીના સમયે રીએક્ટર પ્રચંડ ધડાકા સાથે ફાટતા આગ સાથે અફરાતફરી મચી ગઇ હતી. નોટિફાઇડ એરિયા અને અન્ય કંપનીના ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં મૂળ બિહારના અને હાલ સંજાલી રહેતા 25 વર્ષીય સંતોષ લખન તાતીનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પ્લાન્ટમાં કામ કરતા અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે જ રહેતા 5 કામદારો અવની ચંદ્રદેવ શર્મા, મુન્શી જગલ કિશકુ, મન્ના ભગવાન પૈદાર, બાબુચંદ ટુડુ અને રામનાથ મીશ્રીલાલ યાદવને ઇજાઓ પોહચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. મામલા અંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સાથે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

