ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પાણીની લાઇનમાં લીકેજ થતાં ગંદકીનું સામ્રાજ્ય
-મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળાનો ભય
ભરૂચ,તા.18 ઓગષ્ટ 2019 રવીવાર
ભરૂચ સિવિલ હોસ્પીટલમાં પાણીની લાઇન લીકેજ થતા ભોયતળીયા સહિત અન્યત્ર પાણીનો ભરાવો થતા ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. તંદુરસ્ત વ્યકિત પણ બિમાર થઇ જાય તેવી સ્થિતિ સર્જાવા પામી છે.
ભરૃચ જિલ્લાની ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો માટે આર્શીવાદરૃપ સિવિલ હોસ્પિટલ પાછળ કરોડો રૃપિયાનું આંધણ કર્યા બાદ તેનુ સંચાલનને ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યુ છે.
આમ છતા સિવિલ હોસ્પીટલની સમસ્યાઓ અને વિવાદ યથાવત જ રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળે છે. સારવારમાં બેદરકારીની હોય કે તબીબોની અછત જેવી કાયમી સમસ્યાઓ ઉપરાંત સમયાંતરે લાઇટ, જનરેટર, શબઘરની મરામત પ્રત્યે બેદરકારી તેમજ પાણી અને ગંદકીની સમસ્યાઓ જોવા મળે છે. જે અંગે વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે.
હાલમાં પાણીની લાઇનમાં લીકેજ થતા ભોયતળીયા સહિત અન્યત્ર પાણીનો ભરાવો થતા ગંદકીએ માઝા મુકી છે. જેથી મચ્છરોનો ઉપદ્રવ પણ ખુબ વધી જતા રોગચાળાનો ભય અહી સારવાર માટે આવતા દર્દીઓ તથા તેમના પરિવારજનોને સતાવી રહ્યો છે. કરોડો રૃપિયા ખર્ચ બાદ પણ સિવિલ હોસ્પિટલની વહીવટી બેદરકારીના કારણે દર્દીઓની સારવાર કરતી સિવિલ હોસ્પીટલ ખુદ માંદગીનું ઘર બની ગઇ હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે બિમાર પડેલ ભરૃચ સિવિલ હોસ્પિટલની સારવાર જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક કરવામાં આવે તે આવશ્યક છે.