Gujarat

પાલેજની કાર્બન કંપની દ્વારા ફેલાવાતા પ્રદુષણ મામલે જિલ્લા કલેક્ટરને રજુઆત

By GS Team
15 Nov 20212 mins read
This article was originally published on 15 Nov 2021
પાલેજની કાર્બન કંપની દ્વારા ફેલાવાતા પ્રદુષણ મામલે જિલ્લા કલેક્ટરને રજુઆત

ભરૂચ: પાલેજ ગામનાં રહીશોએ જિલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યુ હતું. કાર્બન કંપની દ્વારા છોડવામા આવતા પ્રદુષણ મામલે રહીશોએ ઉગ્ર રજુઆત કરી હતી. કંપની સામે યોગ્ય પગલાં ભરવા લોકોએ માગ કરી હતી.


 પાલેજના રહીશો દ્વારા જિલ્લા કલેકટરને અપાયેલા આવેદનપત્ર મુજબ પાલેજમાં તા ૧૧ નવેમ્બરના રાત્રીના સમયે કાર્બન ડસ્ટ કોઈ કંપની દ્વારા છોડવામાં આવ્યુ હતું. જેના કારણે સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થયા હોવાથી જે તે બેજવાબદાર કાર્બન છોડતી કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરવા અપીલ કરાઈ હતી. 


પાલેજ ગામમાં કાર્બન પદાર્થ બનાવતી ફિલિપ્સ કાર્બન કંપની તેમજ ટ્યુબ ટાયરના રબર બનાવતી કંપનીઓ આવેલી છે. જે વારંવાર કાર્બન પદાર્થ છોડે છે. જે કાર્બન પદાર્થ પાલેજ ગામ તેમજ આસપાસના ગામોમાં રાત્રીના સમયે ફેલાય છે. વહેલી સવારે ભેજના કારણે કાર્બનની રજકણો જમીન ઉપર એક કાળી ચાદર રૂપે પથરાઈ જાય છે. જેના કારણે ઘર આંગણે રહેતાં પશુ પક્ષીઓ, ઘરમાં ઊંઘતા રહીશોમાં શ્વાસોશ્વાસની મારફતે ફેફસામાં જાય છે.  જેના પરિણામે ફેફસા અને સ્વાસ્થ્યને લગતી ગંભીર અસરો ઉભી થાય છે, જેમાં ખાસ કરીને નાના બાળકો, મોટી વયના વૃદ્ધોના શરીરમાં ગયા બાદ તેની આડઅસર થાય છે. બીજી તરફ ખેત પેદાશો ઉપર પણ અસરો થતી જોવા મળી છે. વાતાવરણમાં પ્રદુષણ ફેલાવતાં અને માનવતાના દુશ્મન એવા કંપની સંચાલકો ઉપર વહેલામાં વહેલીતકે કાયદેસરની, ઉદાહરણરૂપી કાર્યવાહી કરવામાં આવે તેમજ પર્યાવરણ અને માનવતાને થતા નુકશાનને અટકાવવામાં આવે.તે અંગે યોગ્ય કરવા વિનતી કરવામાં આવી હતી.